Abtak Media Google News

અબતક-રાજકોટ

જામનગર નજીકના ખીમલીયા ગામે ગુરૂવારે મોડી રાત્રે એક યુવાનની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી. અગાઉ દારૂ પ્રકરણમાં પોલીસને બાતમી આપવાના મનદુઃખમાં ગામના જ શખ્સોએ યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા કર્યાનું સામે આવ્યું છે. પોલીસે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી ઢીમ ઢાળી દીધું: ચાર શખ્સો સામે નોંધતો ગુનો

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરની ભાગોળે આવેલા ખીમલીયા ગામે ગુરુવારે મોડી રાત્રે સીમ વિસ્તારમાં મહેશભાઈ કાનજીભાઈ વાઘોણા (ઉ.વ.૩૩) નામના યુવાન પર હુમલો કર્યો હતો. બોથડ પદાર્થ વડે હુમલો કરી આરોપીઓએ યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

મહેશભાઈ વાઘેલાને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારતા યુવાન લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. હત્યાના ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથધરી છે. લોહીના ખાબોચિયામાં નિષ્પ્રાણ થયેલ યુવાનનાં દેહનો કબજો સંભાળી પોલીસે સ્થળ પંચનામું કરી મૃતદેહને જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે કોળી પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે. પી.આઇ. સી.એસ. કાટેલીયા સહિતના સ્ટાફે ત્વરિત તપાસ હાથ ધરી હતી.

પોલીસ પ્રાથમિક તપાસમાં મૃતક મહેશભાઈ વાઘેલા જામનગરના ભોઈના ઢાળીયા પાસે આવેલા કોળીવાસમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાન આરોપીઓની દારૂ સંબંધીત બાતમી પોલીસને આપતો હોવાના મનદુ:ખને લઇને આ હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જામનગરના જ હત્યા નિપજાવી નાશી ગયેલા ત્રણ આરોપીઓ અમિત અશોકભાઈ પીપલિયા, સાગર ઉર્ફે ધમભા મહાકાલ, જયસુખ કારડિયા અને આકાશ ઉર્ફે બબન પરેશભાઈ કોળીની ઓળખ થતા તેની સામે હત્યા સંબંધિત ફરિયાદ નોંધી છે. ચારેય આરોપીઓના સગડ મેળવવા માટે પોલીસ દ્વારા હાલ જુદી-જુદી ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. આ મામલે મૃતક યુવાનની પત્ની પૂનમે પોલીસ મથકે શુક્રવારે સવારે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.