Abtak Media Google News

દર વર્ષે મે અને ઓક્ટોબર મહિનામાં તપાસણી હાથ ધરવામાં આવશે : સરકારે હાઇકોર્ટ સમક્ષ બ્રિજ જાળવણી માટે તૈયાર કરેલી નીતિ રજૂ કરી

હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે સોગંદનામું કર્યું છે. જેમાં સરકારે બ્રિજની મરામત માટે તૈયાર કરેલી યુનિફોર્મ પોલિસી રજૂ કરી હતી. પોલિસી અતંર્ગત રાજ્યના તમામ નાના- મોટા બ્રિજની વર્ષમાં બે વખત ચકાસણી કરાશે. તમામ બ્રિજના રિપેરિંગ માટે અલગથી રેકોર્ડ રજિસ્ટર કરવામાં આવશે તેવું જણાવાયું છે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 લોકોને વળતર સહિતના મામલે હાઇકોર્ટમાં સુઓમોટો કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટની ફટકાર બાદ સરકાર એક્શનમાં આવી છે અને બ્રિજની જાળવણી માટે નીતિ ઘડી છે.સરકારે જાહેર કર્યા મુજબ બ્રિજના ફાઉન્ડેશન,સ્ટ્રકચર, પિલરની મરામત અંગે તપાસ કરવામાં આવશે. ચોમાસા પહેલા મે અને ચોમાસા બાદ ઓકટોબર મહિનામાં નિરીક્ષણ કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જેની તમામ જવાબદારી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની રહેશે. તદઉપરાત સરકારે તૈયાર કરેલી માર્ગદર્શિકા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 120 અસરગ્રસ્તો તરફથી એડવોકેટ ઉત્કર્ષ દવે અને ખેમચંદ કોષ્ઠીએ વળતરની રકમ માટે જાહેરહિતની અરજી કરી હતી. તેમા અસરગ્રસ્તોને વળતરની રકમ વધારવા અને જવાબદારો સામે પગલા લેવા દાદ માગી છે. ખંડપીઠે  કંપની તરફથી વળતર કયારે આપવામાં આવશે? તે અંગે સવાલ કર્યો હતો. કંપની તરફથી એવો જવાબ આપ્યો હતો કે કંપનીના ડીરેકટર હાલ જેલમાં છે. ખંડપીઠે કંપનીને 22 માર્ચ સુધીમાં વળતર ચુકવી દેવા આદેશ કર્યો છે. સુનાવણી 27 માર્ચ પર મુકરર કરી છે.

બ્રિજની તપાસ બાદ ખામી હોય તો રિપોર્ટ કરાશે

બ્રિજના નિરીક્ષણ માટે રાજ્ય સરકારે 15 મુદ્દાની માર્ગદર્શિકા રજૂ કરી હતી. જે મુજબ નિમાયેલા ઓફિસરે બ્રિજ, સ્ટ્રકચર, પિલર, આરસીસી સ્લેબ, ઢાળ ઢોળાવ, બંને તરફની રેલિંગની તપાસ કરી ખામી દેખાય તો રિપોર્ટ કરવાનો રહેશે.

ઓવરબ્રિજ ઉપરથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવાશે

પુલ દરમ્યાન પુલની નીચે પાણીનો રસ્તો અને તેના નિકાલની વ્યવસ્થા અંગે નિરીક્ષણે રિપોર્ટ આપવાનો રહેશે. દરેક બ્રિજ નીચે પૂરની સ્થિતિ કયા સ્તર પર પછી જોખમી છે? તેની ઉંચાઇ તપાસવાની રહેશે.

બ્રીજમાં વપરાતા બેરિંગની પણ તપાસ થશે

બ્રિજમાં કયા બેરિંગ વપરાયેલા છે તેનું નિરીક્ષણ કરવાનું રહેશે. પૂલની પહેલા અને પછીની સ્થિતિએ આવા બેરિંગનું તાપમાન કેટલું રહે છે? ભુંકપ દરમ્યાન, ભારે ટ્રાફિક દરમ્યાન આ બેરીંગના ટકાઉપણાનું નિરીક્ષણ કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.