Abtak Media Google News

પેન્શન કેસોમાં અપનાવ્યો હતો સાંપ્રદાયિક અભિગમ : જેહાદી શિક્ષણ આપવા સહિત અન્ય આરોપો પણ લાગ્યા

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાણા વિભાગના વર્ગ 3ના કર્મચારીને પેન્શન કેસોમાં સાંપ્રદાયિક અભિગમ અપનાવવા અને જેહાદી શિક્ષણ આપવા તથા અન્ય કારણોસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. રાજ્યની નોકરશાહીમાં કદાચ આ પહેલો કિસ્સો છે કે જ્યાં કોઈ કર્મચારીને જેહાદી શિક્ષણ આપવા અને અન્ય રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોય. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ટ્રેઝરી ઓફિસર ગુલાબશા ભીખુશા જાડેજાના સસ્પેન્શનના આદેશમાં જણાવાયું છે કે, પેન્શનના કેસોમાં સાંપ્રદાયિક અભિગમ અપનાવવા, કોચિંગના નામ હેઠળ જેહાદી શિક્ષણ આપવા, કાયદાને પડકારવા અને અન્ય રાષ્ટ્ર વિરોધી ગિતિવિધીઓ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, જાડેજાને ગુનાહિત તપાસનો સામનો પણ કરવો પડી શકે છે. રાજ્ય સરકારના સૂત્રોએ એવું પણ કહ્યું કે, રાજ્ય સરકાર સસ્પેન્ડેડ કર્મચારી વિરુદ્ધ એફઆરઆઈ પણ નોંધાવવાનું વિચારી રહી છે. સસ્પેન્શન ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, જાડેજાએ સોશિયલ મીડિયા પર ધર્મ સંબંધિત પોસ્ટ પર ધમકીભર્યા મેસેજ પોસ્ટ કર્યા અને તેમનું વર્તન સેવા નિયમોનું ઉલ્લંઘન કરે છે. સસ્પેન્શન દરમિયાન તેમનો રિપોર્ટિંગ જિલ્લો ડાંગ રહેશે.

પેન્શનના કેસો સાથે કામ કરતી વખતે જાડેજાએ સાંપ્રદાયિક અભિગમ અપનાવ્યો હતો. સસ્પેન્શન ઓર્ડરમાં કહેવાયું છે કે, સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ સાંપ્રદાયિક સૌહાર્દને બગાડનારી હતી. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કરતા પહેલાં જાડેજાના વિવિધ કાર્યો પર વિચાર કર્યો હતો અને તે ફોજદારી કાર્યવાહીનો સામનો પણ કરી શકે છે.

સસ્પેન્શન ઓર્ડર મુજબ, જાડેજાએ તેમના સસ્પેન્શનના સમયગાળા દરમિયાન ડાંગ જિલ્લામાં જ રહેવાનું રહેશે. આ દરમિયાન ડાંગ ટ્રેઝરી ઓફિસને પોતાનું એડ્રેસ અને અન્ય સંપર્ક વિગતો આપવાની રહેશે. એટલું જ નહીં વિભાગની પરવાનગી વગર તેઓ જિલ્લો છોડી શકશે નહીં. જો તેઓ સસ્પેન્શનના સમયગાળા દરમિયાન કોઈ પણ શરતોનું ઉલ્લંઘન કરશે તો તેના સસ્પેન્શન દરમિયાન જે ભથ્થાં મળવાપાત્ર હશે તે પણ બંધ કરવામાં આવશે, એવું આદેશમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.