Abtak Media Google News

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ

પટેલ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની જાહેરાત

 

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ સીમાંકન અને વોર્ડ ખાતે સમાવિષ્ટ વિસ્તારોમાં થયેલ ફેરફારોને ધ્યાનમાં લઇ, સમયાંતરે રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાની કાર્ય પદ્ધતિ અને સ્ટાફ ફાળવણીમાં ફેરફાર કરવાની તાતી જરૂરિયાત જણાતી હોય, વેરા વસુલાત શાખાની કામગીરી એકાગ્રતાથી, સમયસર અને ગુણવત્તાપૂર્વક થાય આ હેતુથી આકારણી અને વસુલાત માટે અલગ અલગ એસેસમેન્ટ અને રીકવરી સેલની રચના કરવામાં આવી છે, તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા આકારણી માટે કાર્પેટ એરિયા પદ્ધતિ અમલી છે. “કાર્પેટ એરિયા પદ્ધતિ” અમલવારી રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગતના તમામ 18 વોર્ડમાં લાગુ કરેલ છે. આ પદ્ધતિ અંતર્ગત રાજકોટ શહેર ખાતે રહેણાંક અને બિન રહેણાંક મળીને કુલ 5,25,000 અંદાજે મિલકતોની આકારણી કરવામાં આવેલ છે.

વધુમાં સને 2020માં, ગુજરાત સરકાર દ્વારા રાજકોટ શહેરનાં ભાગોળે આવેલ કુલ 4 (ચાર) ગામો મુંજકા, મોટા મવા, માધાપર, (મનહરપુર-1) અને ઘંટેશ્વરનો સમાવેશ રાજકોટ શહેરમાં કરેલ છે. આ ગામો ખાતે અંદાજીત કુલ 30,000 જેટલી મિલકતોનો સમાવેશ થતા રાજકોટ મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા હસ્તક કુલ અંદાજે 5,55,000 મિલકતો થયેલ છે.મેયર ડો. પ્રદિપ ડવે એમ જણાવ્યું હતું કે, મિલકત વેરા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વાહન વેરો અને વ્યવસાય વેરો પણ વસૂલવામાં આવે છે. આમ, રાજકોટ શહેરનો વિસ્તાર વધતાં, વેરા વસુલાતની કામગીરીમાં પણ બહોળો વધારો થયેલ છે. શહેરના વિકાસની પ્રક્રિયા અવિરત જાળવી રાખવા મહાનગરપાલિકાની આર્થિક બાજુ પણ મજબુત હોવી જરૂરી છે. મહાનગરપાલિકા શહેરમાં લોકોને પીવાનું પાણી ખુબ જ નજીવા અને સબસીડાઈઝડ દરે ઘેર ઘેર પહોંચાડે છે. આ સંજોગોમાં લોકોએ પણ નાગરિક ફરજ બજાવી “કરવેરા એ કરજ નહી પણ ફરજ છે” એ સૂત્રને અનુરૂપ તંત્રની સાથે રહી શહેરની વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં સહભાગી બનવું જોઈએ તેવી મારે અપીલ છે.

આમ વધતી જતી કામગીરી તથા વોર્ડ સીમાંકન અને વોર્ડ ખાતે સમાવિષ્ટ વિસ્તારોમાં થયેલ ફેરફારોને ધ્યાનમાં લઇ, સમયાંતરે રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાની કાર્ય પદ્ધતિ અને સ્ટાફ ફાળવણીમાં ફેરફાર કરવાની તાતી જરૂરિયાત જણાતી હોય, વેરા વસુલાત શાખાની કામગીરી એકાગ્રતાથી, સમયસર અને ગુણવત્તાપૂર્વક થાય આ હેતુથી આકારણી અને વસુલાત માટે અલગ અલગ એસેસમેન્ટ અને રીકવરી સેલની રચના કરવામાં આવેલ છે. આ સેલમાં ઝોનના આસીસ્ટન્ટ મેનેજર, ટેક્ષ ઇન્સ્પેકટર, ડીમાન્ડ ક્લાર્કો તથા સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થશે. આ સેલ દ્વારા સબંધિત વોર્ડની તમામ મિલકતોનો મિલકતવેરો નિયમીત રીતે ભરપાઈ થયેલ છે તે સુનિશ્ચિત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.