Abtak Media Google News

વર્ષ 2013ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર : અન્ય 6 આરોપીઓનો નિર્દોષ છુટકારો

આસારામ સામે દુષ્કર્મ કેસમાં ગાંધીનગરની કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો છે.  વીડિયો કોન્ફરન્સના માધ્મથી આસારામને કોર્ટમાં હાજર કરાયો હતો. ગાંધીનગર કોર્ટ આજે સજા સંભળાવશે. વર્ષ 2013ના દુષ્કર્મના કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.

આસારામ હાલમાં જોધપુર જેલમાં બંધ છે. હાલ આસારામ દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે અને જોધપુર જેલમાં કેદ છે ત્યારે અન્ય એક દુષ્કર્મ કેસમાં પણ આસારામ દોષિત જાહેર થતા વધુ એક આજીવન કેદની સજા ફટકારવામાં આવે તેવી પ્રબળ શકયતા છે.

ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને આઈપીસીની કલમ 362(2)સી, 377, 354, 342, 357, 506(2) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સ્પેશિયલ સરકારી વકીલ આર.સી.કોડેકરે કહ્યું હતું કે, આ કેસમાં દોષિતને મહત્તમ સજા થાય તે માટે અમે કોર્ટમાં પ્રયાસ કરીશું.

આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપ લગાવવામાં આવ્યા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત છે. જેમાં મહિલાએ પોતાનું શારીરીક શોષણ થયાનો આરોપ મુક્યો હતો.

1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે શારીરીક શોષણ થયું હોવાનો આરોપ છે.

મહત્વનું છે કે, બંને બહેનોમાંથી એક બહેને આસારામ પર જ્યારે બીજી બહેને નારાયણ સાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મોટી બહેને આસારામ સામે યૌન શોષણની ફરિયાદ કરી છે. ઘટના બની ત્યારે આ બંને બહેનો અમદાવાદમાં રહેતી હતી. જેલમાં બંધ આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કેદની સજા થઈ હતી.

અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.આસારામને દુષ્ક્રમના અન્ય કેસમાં સજા પડી હોવાથી હાલ તે રાજસ્થાનમાં જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમના દ્વારા જામીન પણ માગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે જામીન અરજી ફગાવી દિધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.