Abtak Media Google News

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા શોભાયાત્રા કાઢવા તેમજ આ પર્વની ઉજવણી કરવા અંગે મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા સમગ્ર મોરબી જિલ્લા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર સ્થાનિક વહીવટી તંત્રએ સબંધિત મંદિર/ટ્રસ્ટ/આયોજકો સાથે ચર્ચા કરી ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે. રથયાત્રા/શોભાયાત્રા નક્કી કરેલ માર્ગ ઉપર મહત્તમ 5 (પાંચ) સંખ્યાના રથ/વાહન સાથે નિકળશે. અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરે રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લઇ શકશે નહીં. કેટલીક રથયાત્રાઓ/શોભાયાત્રાઓ યાંત્રિક વાહનો ઉપર અથવા યાંત્રિક વાહનો/ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવે છે.

જેથી, સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાતોને ધ્યાને રાખી રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેનાર ખલાસીઓની સંખ્યા ઓછામાં ઓછી રાખવાની રહેશે. કોઇપણ સંજોગોમાં એક સાથે 60 થી વધારે ન થાય તે સુનિશ્વિત કરવાનું રહેશે.

રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો/સંચાલકો અને પુજાવિધિમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના 48-કલાક પહેલા કરાવેલ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ હશે તેઓ જ સામેલ થઇ શકશે. આ તમામે કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઇશે. જો કે બંને ડોઝ લીધેલા હોય તે હિતાવહ રહેશે. તમામે કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.

ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા/શોભાયાત્રાના પ્રસ્થાન અગાઉ તથા પુનરાગમન બાદ કરવામાં આવતી ધાર્મિક વિધીમાં, રાજય સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સંખ્યા કરતા વધારે લોકો એકત્ર ન થાય તે અંગે આયોજકોએ કાળજી લેવાની રહેશે. રથયાત્રા દરમિયાન રથયાત્રામાં સામેલ રથ/વાહન વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે. સમગ્ર રથયાત્રા/શોભાયાત્રા દરમિયાન સ્થાનિક જરૂરીયાત મુજબ સંબંધિત સત્તાધિકારીઓ/ માહિતી વિભાગ અને સબંધિત મંદિર/ટ્રસ્ટ/આયોજકોએ ફોટોગ્રાફ તથા જીવંત પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક /સોશ્યલ મિડિયા પ્લેટફોર્મને વિડિઓ ઉપલબ્ધ કરવા માટે જેટલું શક્ય હોય તેટલું આયોજન કરી શકશે.

કોવિડ-19 ના સંક્રમણને ધ્યાને લેતા રથયાત્રા/શોભાયાત્રા દરમિયાન માર્ગ ઉપર પ્રસાદ વિતરણ થઇ શકશે નહી. ઉપરાંત સબંધિત સત્તાધિકારી પરવાનગી આપતી વખતે સ્થાનિક પરિસ્થિતિ અને જરુરીયાતોને ધ્યાને લઇ અન્ય શરતો મુકી શકશે. ઉપરના નિયંત્રણો/શરતો તા.11/07/2021 તથા તા.13/07/2021ના રોજ યોજાનાર રથયાત્રા/શોભાયાત્રા માટે પણ અમલી રહેશે. સમગ્ર જિલ્લામાં યોજાનાર રથયાત્રાઓ/શોભાયાત્રાઓનું આયોજન ઉપરોક્ત શરતો તથા કોવિડ-19 સંક્રમણ-નિયંત્રણ માટે  બહાર પાડેલ માર્ગદર્શક સુચનાઓના પાલન સાથે થાય તે હેતુથી હેલ્થ ઓથોરિટીસ, મ્યુનિસિપલ ઓથોરિટીસ અને અન્ય સંલગ્ન વિભાગો/સંસ્થાઓ સાથે સંકલનમાં રહીને કરવાનું રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ કોવિડ-19 અંગેના પ્રોટોકોલની અન્ય સબંધિત જોગવાઇઓને અનુસરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.