Abtak Media Google News

રાજ્ય સરકારમાં પરિવર્તન આવતા બદલાતા ડોનભાઈ જાન તો પકડાઈ ગયા અને તેનું એન્કાઉન્ટર પણ થઈ ગયું

ખંડણી

ગોળ હોય ત્યાં નાખીઓ આવે જ તેમ જયાં અઢળક સમુધ્ધિ હોય તે વિસ્તારમાં પરોપજીવી ગુનેગારો દુરના વિસ્તારોમાંથી આવીને કામ ઉતારી જતા હોય છે.

Advertisement

ઉંઝા નો એક પ્રોહીબીશન (દારૂ)નો બુટલેગર વાલીયો મારવાડી રાજસ્થાનથી ઉંઝાના પ્રખ્યાત ગંજ બજારમાં મજુરીએ આવેલો પણ ચાલાક વાલીયાએ જોયુ કે આમ મજુરીથી કાંઈ નહી વળે તેથી રાજસ્થાન સસ્તો ઈંગ્લીશ દારૂ ઉંઝામાં લાવી ઉંચા ભાવે વેચીને પુષ્કળ નફો કરવા લાગ્યો વળી ગુજરાતમાં દારૂબંધી આથી આવા પ્રતિબંધીત માલની ડીમાન્ડ પણ પુષ્કળ હતી તેથી તેનો આ દારૂનો ધંધો દિવસ ના ન વધે તેટલો રાતના વધવા માંડયો. સાથે સાથે પોલીસના કેસો પણ થતા રહેલા અને તેથી પોલીસે તે બુટલેગર તરીકે જાહેર કરીને ‘પાસા’ની જેલયાત્રામાં સુરત જેલમાં પણ મોકલેલો. પરંતુ હાડમારી અને મુશ્કેલી વેઠેલા વાલીયાને જેલ કે ઉંઝાના તેના ઝુંપડપટ્ટી વિસ્તારના મકાનમાં કોઈ ખાસ ભેદ જણાયેલ નહિ. દારૂના ધંધામાં ખુબ જ નફો અને મોજ સાથે પોતાની કક્ષા પ્રમાણે મોભો પણ મળતો હોય આ બુટલેગરનો વ્યવસાય વધાર માફક આવી ગયો હતો. લગભગ સમગ્ર ગુજરાતના જથ્થાબંધ દારૂના સપ્લાયર આબુ સ્થિત ડીએસની કંપની સાથે તેનો સંપર્ક થતા તે ધંધાનો માહિર થઈ ગયેલો અને તેથી પૈસા પાત્ર અને સમૃધ્ધ પણ થઈ ગયેલો આથી તેના કુટુબીજનો ના નામે ઉંઝા ગંજ બજારમાં ઝીરાના વેપારની શરાફી પેઢી પણ ચાલુ કરી દીધેલી તેમ છતા પણ પોતાનો મુળદારૂનો વ્યવસાય ચાલુ રાખેલો.

આવો માલ ખાઈને વિકસી ગયેલો વાલીયો અમદાવાદની ગુનેગાર ગેંગના ધ્યાનમાં મોટા શિકારના રૂપે વસી ગયો હતો કે જો તેને ઉપાડી લેવામં આવે ( એટલે કે અપહરણ કરી લેવામાં આવે)  તો આ વાલીયાને છોડવાના બદલામાં ખંડણી રૂપે મોટો માલ મલીતો મળે. પરંતુ મહેસાણા જિલ્લાના પોલીસવડા નિષ્ઠાવાન કડક અને ખુબ જ સક્રિય હતા. તેથી જિલ્લામાં તે સમયે બે નંબરની તમામ પ્રવૃતિ ઉપર જબરદસ્ત બ્રેક હતી. ઉપરાંત જો વાલીયાને ઉંઝા કે મહેસાણા જિલ્લામાંથી ઉઠાવીને અપહરણ કરે તો ગુન્હો પણ મહેસાણા જિલ્લામાં જ દાખલ થાય અને તપાસ પણ મહેસાણા પોલીસ જ કરે તો આ કડક અને નિષ્ઠાવાન પોલીસવડાની ફોજ ગમે તે હદે જઈ અપહરણ કર્તાઓની ઓખાત બગાડી નાખે તેમ હતી. આથી મહેસાણા જિલ્લા બહાર કયાંક વાલીયો મારીવાડી મળી જાય તો કામ થઈ જાય તેવા આયોજનમાં આ અમદાવાદ ના ગેંગસ્ટરો હતા.

ઉંઝાથી સિધ્ધપુર તેર કિલોમીટર દુર થાય સિધ્ધપુર પાટણ જિલ્લાનો તાલુકો હતો. ઉંઝાના બ્રાહ્મણ વાડા ગામથી થોડે દુર એટલે કે ઉંઝાથી સાતેક કીલોમીટર દુર નેશનલ હાઈવે ઉપર આવેલ પળી ચાર રસ્તાથી સિધ્ધપુરની હદ ચાલુ થતી હતી. આ સિધ્ધપુર ના પળી ચાર રસ્તા પાસે આવેલ એક ફાર્મ હાઉસમાં આંતર જિલ્લા જીમખાના કલબ ચાલુ થઈ હતી. આમ તો તે જુગાનો અડ્ડો જ હતો. ત્યાં આંતર જિલ્લા જુગારીઓ સાથે આંતર જિલ્લા ગુનેગારો પણ આવતા હતા. વાલીયો મારવાડી પણ હાલમાં ઉંઝામાં નવરો હોઈ અહિં કયારેક કયારેક મોજ મજા કરી જતો. વાલીયાનો ધંધો ચાલુ હતો. ત્યારે આ કલબમાં ઈંગ્લીશ દારૂનો પુરવઠો વાલીયો જ પુરો પાડતો. ગેંગસ્ટરોને આ બાબત ખ્યાલ ઉપર આવતા પળી ચાર રસ્તાની કલબમાં પોતાના ફન્ટરીયા ગોઠવી દીધેલા અને એક દિવસ વાલીયા મારવાડીને આ કલબમાંથી જ રીવોલ્વર-છરીની અણીએ કારમાં નાખીને ઉપાડી લીધો અને અપહરણ કરીને નાસી ગયા.

કલબવાળાઓની હાલત પેલા “ચોરની માં કોઠી માં માથુ રાખીને રુએ તેવી થઈ , ફરીયાદ કરે તો જુગારની કલબનું ભોપાળુ ઓન રેકર્ડ છતુ થાય અને તો જાકુબીની ધંધો બંધ કરવો પડે જે તેમને કે ખાતાને કોઈને પોસાય નહીં આથી કલબના ભાગીદારો વચેટીયા મારફતે પતાવટની વાત ચલાવતા હતા.પરંતુ ગેંગસ્ટોએ વાલીયા મારવાડીના બદલામાં ખુબ મોટી ખંડણીની માંગણી કરેલી પણ મારવાડી વાલીયો બનેલો ગુનેગાર અને હાલમાં તેના બે નંબરી ધંધા પણ બંધ તે સંજોગોમાં ખંડણી માટેની રકમના નાણા પણ કોણ ધીરે ? વળી વાલીયાના અપહરણ, ખંડણી માંગણીની કોઈ ફરીયાદ પણ કરતું ન હતું અને ગેંગસ્ટરો વાલીયાને છોડતા ન હતા આમ ને આમ ચાર દિવસ નીકળી ગયા. આવા જુગારના અડ્ડામાં બનેલા બનાવની વાત પણ અંધારી આલમમાં ખુબ ઝડપથી પ્રસરી જતી હોય છે અને જનતાને ખબર પડે તે પહેલા પોલીસને પણ ખબર પડી જતી હોય છે. પરંતુ પાટણ જિલ્લાના ખાતાને આ અંગે કાંઈ પડી ન હતી.કેમ કે ભોગ બનનાર વાલીયો પણ બહાર ઉંઝાનો અને ગુનેગારો પણ બહારના ગેંગસ્ટરો,  જો કે કોઈ ફરીયાદ કરવા પણ જતુ ન હતુ. તેથી હાથે કરી ને પગ ઉપર કુહાડો મારવા જેમ જાતેથી ફરીયાદ પણ કોણ લે ?

પરંતુ મહેસાણાના નિષ્ઠાવાન પોલીસવડાને આ બાબતની માહિતી મળતા તેમણે નકકી કર્યુ કે ભલે બીજા જિલ્લાની હદ હોય પણ ગુનેગારો ને કોઈ હિસાબે બક્ષાય નહીં કેમ કે તો તો ગુનેગારોને પેલી કહેવત જેમ “આંધળી ભેંસે મોઢવુ ભાળ્યુ માફક વારંવાર આવી પ્રવૃતિ કરી આમ જનતા ઉપર ત્રાસ અને રંજાડ વધારી છે. તેથી તેમણે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ ચૌધરીને હુકમ કર્યો કે તમે પળી ચાર રસ્તે જાવ અને આ બનેલ અપહરણના ગુન્હા અંગે ફરીયાદ લેવરાવીને ઉંઝા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવો.

પીઆઈ ચૌધરીએ પળી ચાર રસ્તાની કલબમાં આવી ફરીયાદ આપવા એક ફન્ટરીયાને સમજાવી પટાવી (અન્ય રીતે પણ)ને તૈયાર કરી આ વાલીયા મારવાડીનું અપહરણ અજાણ્યા લોકો કરી ગયાની ફરીયાદ લખી લીધી અને ઉંઝા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩,૩૬૫, ૩૬૮,૧૧૪,૧૨૦ મુજબનો ગુન્હો નોંધાવ્યો અને આ ગુન્હાની તપાસ પીઆઈ જયદેવ પાસે આવી. જયદેવે મહેસાણા પોલીસવડાના નિર્દેશ મુજબ ગુન્હો સિધ્ધપુર ટ્રાન્સફર નહિ કરતા તપાસ ઉંઝામાં જ ચાલુ રાખી, પળી ચાર રસ્તે જઈ પંચનામું નિવેદનો વિગેરે નોંધ્યા. જયદેવે અજાણ્યા અપહરણ કર્તાઓ અંગે તપાસ શરૂ કરી પીઆઈ ચૌધરીને આ ગુન્હો સુઆયોજીત કાવત્રુ કરીને આચરાયો હોવાનું જણાતુ હોય કોઈ ગેંગની સંડોવણી પણ જણાતી હોય અમદાવાદ ખાતે વાલીયા મારવાડીને સંતાડયાનું જણાતા અમદાવાદ અસામાજીકોના અડ્ડાઓમાં તપાસ શરૂ કરી.

પોલીસની ભીંસ વધી કે અન્ય કાંઈક બન્યુ પણ ગુનેગારોએ વાલીયાને પાછો પળી ચાર રસ્તે મુકત કર્યો. જો કે વાલીયાની ખાતીર બર્દાસ્ત અને સરભરા સર્વિસ તો ગુનેગારોએ સારી એવી  કરી જ હતી. પણ વાલીયો પણ કાઠો અને પાકકો મારવાડી હતો, તેણે કલબમાં જ જઈને કલબ ના વહિવટદારોને રાવ કરી કે તમારે ત્યાં આવુ બને અને તમે ફકત જોઈ રહો તે કેમ ચાલે ? ધંધા (બે નંબરના) વાળાની પણ કાંઈક જવાબદારી હોય છે. કલબમાંથી એક ઉંઝાના પન્ટરે પીઆઈ જયદેવને જાણ કરી કે વાલીયાને ગુનેગારો કલબમાં નાખી ગયા છે. આથી જયદેવ તાબડતોબ પળી ચાર રસ્તે આવ્યો.

જયદેવે વાલીયાનું વિગતવારનું નિવેદન નોંધ્યુ પુછપરછ કરી આરોપીઓના વર્ણન નામ ઠામ પુછતા વાલીયાએ કહ્યુ કે આરોપીઓ અંદરો અંદર એક બીજાના નામ તો બોલતા ન હતા પણ ભાઈજાન, ભાઈજાન કહીને વાતો કરતા હતા. એક ઈસમ તો પીસ્તાલીસ પચાસ વર્ષનો મોટો જાડીયો પાડીયો હતો સરખી રીતે ચાલી પણ શકતો ન હતો. બીજો સામાન્ય કદનો ૩૦-૩૫ વર્ષનો એક તો સાવ જુવાન   હતો. જયદેવે વાલીયાને બનાવ કઈ રીતે બન્યો તેની વિગતે વાત કરવા કહેતા વાલીયા એ કહ્યુ કે પોતે રાત્રીના સાડા નવ દસ વાગ્યે પળીચાર રસ્તે કલબમાં હતો ત્યારે એક વેઈટર દ્વારા મને બહાર ફળીયામાં બોલાવેલો અને ત્યાં જ મને રીવોલ્વર છરીની અણીએ આંખે પાટા બાંધી દીધેલ અને મને એક કારમાં નાખીને બે એક કલાક સુધી કાર ચાલતી રહેલી ત્યારબાદ એક મકાનમાં લાવી ઓરડામાં પુરીને મારા હાથ પગ પણ બાંધી દીધેલા. બીજે  દિવસે સવારે મેં ગુનેગારોને આજીજી ભાઈસાબી કરતા મારી આંખે થી પાટા ખોલી નાખેલા પણ હાથ પગ બાંધેલા રાખેલા  મેં જોયુ તો આ ઓરડો કોઈ જુનુ બંધ કે ખંડેર મકાનનો એક ભાગ હતો. દરવાજામાંથી બહાર ફળીયામાં જોયું તો ઓસરી સુધી ઘાંસ પર ઉગી નીકળેલુ હતુ કાંઈ અવર જવર જ ન હતી. પરંતુ મકાનથી સાવ બાજુમાંથી સમયાંતરે ટ્રેન પસાર થતી હતી તેવુ જમીનમાં લાગતા થડકા અને ટ્રેનની વહીસલના અવાજ ઉપર થી જણાતુ હતુ.

વાલીયાની આ હકીકત અંગે જયદેવે અહિ આ વિસ્તારમાં લાંબા સમય થી ફરજ બજાવતા જમાદાર રણજીતસિંહ તથા રાયટર પુનાજી સાથે ચર્ચા કરી કે પળીચાર રસ્તાની આજુબાજુમાં રેલ્વે લાઈનો કેટલી અને તેના ઉપર બંધ મકાનો હોય તો કેટલા ? ચર્ચામાં જાણવા મળ્યુ કે એક તો અમદાવાદ, મહેસાણા, સિધ્ધપુર, આબુ થઈ દિલ્હી જતી મેઈન લાઈન અને તેના ઉપર ઉંઝાના જ એઠોર ગામની સીમમાં અગાઉની મીટર ગેજ લાઈન વખતના બંધ પડેલા સાંધાવાળાના કવાટર્સ છે આથી વાલીયા મારવાડીને ને જીપમાં નાખીનેક ઐઠોર ગામથી સીમમાં આવ્યા. જુનવાણી રાજસ્થાની પધ્ધતિના ઉપર ગોળ ગોળ બુગદા જેવા સ્લેબના છાપરા વાળા મકાનો તપાસ્યા, પરંતુ વાલીયાએ તો દુરથી જ જોઈને કહ્યુ કે આ નહિ સાહેબ પેલા તો મકાન જેવા મકાન હતા.

આથી ઉંઝા રેલ્વે સ્ટેશન ઉપર આવીને જુના અનુભવી રેલ્વે કર્મચારીઓ સાંધાવાળા, લાઈનમેન, ફેલવાળાઓની જોડે આ અંગે ચર્ચા કરતા જાણવા મળ્યુ કે મહેસાણા પાટણ રેલ્વે લાઈન ઉપર અમુક નાના રેલ્વે સ્ટેશનો બંધ કરી તેને હાલ ફલેગ સ્ટેશન બનાવી દીધા છે. જેમાં પાટણનું મણુંદ રેલ્વે સ્ટેશન પણ બંધ પડયુ છે અને મકાનો પણ તેમ જ બંધ છે.

જયદેવ વાલીયાને લઈને મણુંદ રેલ્વે સ્ટેશન ઉપર આવ્યો રેલ્વે સ્ટેશન બંધ હાલતમાં તો ખરૂ જ પણ ખંડેર હાલતમાં કરોળીયાના ઝાળા બાજી ગયેલા હતા. રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનો માલગાડીઓ ની આવન જાવન ચાલુ હતી. જયદેવે વાલીયાને જીપમાંથી ઉતારી રેલ્વે સ્ટેશન ઉપર લાવતા વાલીયાએ માથુ ઘુણાવ્યુ અહંક આ નહિ. આથી જયદેવે બંધ રેલ્વે સ્ટેશનમાં આજુબાજુ આવેલા પણ બંધ પડેલ કર્મચારી કવાર્ટર્સમાં વાલીયાને લઈને આવ્યો અને ફરતા ફરતા એક મકાનના ફળીયામાં આવતા જ વાલીયો સચેત થયો અને મકાનમાં અંદર ઓસરી રૂમમાં જઈને કહ્યુ સાહેબ આ જ મકાન આ ઓરડામાં જ મને પુર્યો હતો !

જયદેવે તે ઓરડાનું બારીકાઈ નિરીક્ષણ કરતા કચરામાંથી એક ધાતુનો ચેન મળી આવતા વાલીયાને તે અંગે પુછતા તેણે કહ્યુ સાહેબ આ મારો લકકી ચેન છે. ગુનગારોએ તે કિંમતી ધાતુનો માની મારા ગળામાંથી કાઢી લીધેલો પણ સોનાનો નહિ હોય પાછો ફેંકી દીધેલો. બારીકાઈથી જોતા પુષ્કળ બીડી સીગારેટના ઠુંઠા પડયા હતા. વાલીયાએ કહ્યું આ ઠુંઠા ગુનેગારોએ સીગાર પીને ફેંકેલા છે જયદેવે પંચનામુ કરી ચેન, ઠુંઠા કબ્જે કર્યા કેમ કે ઠુંઠા ઉપર લાળ (સલાઈવા) હોય તેનાથી આરોપીઓ પકડાયે તેની તપાસણી કરાવી તેની હાજરી પુરવાર કરી શકાય. બાજુના ઓરડામાંથી એક ખીસાનું પાકીટ મળી આવ્યુ જે વાલીયાનું હતુ પણ તેમાંથી નાણા કાઢી લીધા હતા.

તે પછી જયદેવે વાલીયાને પુછપરછ કરી કે ગુનેગારો અહિં બેઠા બેઠા શું વાતો કરતા હતા ? આથી વાલીયા એ જણાવ્યુ કે હવે આ જગ્યા અને અગાઉની વાતો ચિતો ઉપરથી એવુ જણાય છે કે આરોપીઓ મુળ મણુંદના જ વતની હતા કેમ કે તેઓ કોઈક ને કહેતા હતા કે અબ્બાજાન કો બુલાઓ દોસ્તો કો બુલાઓ કઈ સાલ સે મીલે નહિ હૈ આયે હૈ તો મીલ ભી લેતે હૈ, ફીર કબ મીલે કયા પત્તા. યે લોગ અમદાવાદ તો આતે નહિ, આતે હોંગે તો હમ તો કબલ મેં જ રહેતે હૈ ફીર કયા પતા ?

જયદેવે વાલીયા મારવાડી પાસેથી મળેલી આ તમામ વિગતથી મહેસાણા પોલીસવડાને અને ક્રાઈમબ્રાંચના પીઆઈ ચૌધરીને વાકેફ કર્યા.  પીઆઈ ચૌધરી અનુભવી, કાબેલ અને હોંશીયાર પોલીસ અધિકારી હતા. તેમણે આ વાલીયા તરફથી મળેલ આરોપીઓના ડાયલોગ તેનું વર્ણન માહિતી ઉપરથી અનુમાન લગાવ્યુ હશે કે આરોપીઓનું કનેકશન અમદાવાદની કલબોમાં જ છે તે નકકી કરી અમદાવાદની એક કલબ આમ તો જુગારના અડ્ડામાં પડયા પાથર્યા રહેતા એક મુળ મણુંદના જાડીયા વ્યકિતને પકડી લીધો.

આ જાડીયો એવો મોટો હતો કે તે ચાલી પણ માંડ માંડ શકતો હતો. આ જાડીયાની ચૌધરીએ યુકિત પુર્વક પુછપરછ કરી તો જાડીયાએ તમામના વટાણા વેરી દીધા.

વાત એમ હતી કે ત્રણ પૈકી બે આરોપીઓ મુળ મણુંદના જ વતની હતા જેમને નડીયાદ બાજુના કોઈ લુંટધાડના ગુન્હામાં ૨૭-૨૭ વર્ષની સજા થયેલી હતી અને સાબરમતિ જેલમાં જ હતા. બંને જણા મણુંદથી અમદાવાદ કમાવવા આવેલા પણ તાત્કાલીક અને ઝડપી નાણા કમાઈ લેવાની લાઈમાં બંને જણા અમદાવાદથી ધંધાદારી ગુનેગાર ગેંગમાં સામેલ થઈ ગયેલા. ગેંગમાં સામેલ થવાના અન્ય પણ અનેક કારણો હતા. આથીર્ક તો હતો જ કાંઈ પરસેવો પાડયા સિવાય નાણાના ઢગલા થતા પણ વતનમાં અને સમાજમાં પણ માભો પડે કે ભાઈ જાન તો અમદાવાદ ડોન કી ફોજ મેં કમાન્ડર હૈ ઔર અચ્છા ખાસા કમાતે ભી હૈ વિગેરે વિગેરે આથી લાલચમાં અંધારી આલમમાં જોડાયેલા. પરંતુ રાજયમાં સરકારોમાં પરિવર્તન આવતા બદલાતા, અમદાવાદમાં પોલીસની ધોંસ ખુબ વધી ગયેલી અને આવી નવી નવી સરકારોમાં ડોન ભાઈજાન તો પકડાઈ ગયા પણ પછી આ ડોન લતીફનું એકાઉન્ટર પણ થઈ જતા ગેંગ લાવરીસ થતા આ બે ટપોરી ફન્ટરીયા પણ બેકાર થયેલા અને નડીયાદ બાજુ હાઈવે ઉપર કામ ઉતારવા જતા, કામ તો થઈ ગયેલુ પણ પોલીસે પકડી બંનેને જેલમાં બુક કરી દીધેલા. કોર્ટમાં કેસ ચાલતા બંનેને જણા સાચા-ખોટા ત્રાગા કરીને પેરોલ ફર્લો રજા  પુરી થવા છતા પાછા જેલમાં ગયેલા નહિ અને નાસતા ફરતા રહેલા.

વતનમાં તો જવાય તેમ ન હતુ, વળી પાછો અંધારી આલમમાં આશરો શોધેલો. અમદાવામાં તો ગમે તેની સરકાર હોય ચોરી ચપાટીથી અમુક સંવેદનશીલ વિસ્તારોમાં દારૂના પીઠા અને જુગારના અડ્ડાઓ ચાલુ જ રહેતા હોય છે. બંને જણા આવી એક બકરી કલબમાં જોડાઈ ગયેલા જયાં વિવિધ ગુનેગારોની આવન જાવન ચાલુ હતી. તે પૈકી ઉંઝાના ગુનેગારો સાઉદ અને નેકટર રામજી પટેલે આ બે કડકા અને લાવારીસ ભગોડો આરોપીઓ ને સલાહ આપેલી કે જો તાત્કાલીક મોટો માલ જોઈ તો હોય તો ઉંઝાના બુટલેગર વાલીયા મારવાડીને જો ઉઠાવી લેવામાં આવે તો ખંડણી પેઠે તેને છોડાવવાના બદલામાં ખુબ જ મોટી રકમ મળે તેમ છે. આથી બંને બીજા એક મિત્રની કાર લઈને સિધ્ધપુરાના પળી ચાર રસ્તા ઉપરની જુગાર કલબમાંથી વાલીયાને રીવોલ્વર અને છરીની અણીએ ઉપાડી લીધેલો. વાલીયો મારવાડી પાકકો મારવાડી અને સહનશકિત વાળો તથા એવો કઠણ હતો કે તેને રૂમમાં પુરીને મુંઢ માર્યો હાથ પગ બાંધીને રાખ્યો વિગેરે ત્રાસ આપવા છતા તે પોતાની ગરીબી ગાઈને આજીજી જ કરતો હતો અને કહેતો હતો કે છેલ્લા બાર મહિનાથી ધંધો(દારૂનો) ચપટ થઈ ગયો છે. નવરો  થઈ ગયો છુ. વિગેરે વિગેરે રોદણા રડતો હતો. મારવાડીએ જણાવેલ તેના એક બે મિત્રોને ટેલીફોન લગાડયા તો તેમણે પણ એ જ કહ્યું કે વાલીયો હવે કડકીનો થઈ ગયો છે. કાંઈ મળે તેમ નથી. આમ ને આમ બે ચાર દિવસ મણુંદ રેલ્વે સ્ટેશનના કવાર્ટરમાં બંને વાલીયાને સાચવી સાચવીને થાકી ગયા હતા. વાલીયો પણ કાઠો હતો એક નો બે થતો ન હતો વળી તેવામાં અમવાદ કલબમાંથી એવા સમાચાર આવ્યા કે મહેસાણા પોલીસ આ વાલીયાના અપહરણ બાબતે કલબમાં તપાસ માટે આવી હતી. આથી કદાચ પોલીસને કાંઈ તાગ મળી ગયાની શંકા જતા પોલીસ અહિં રેલ્વે સ્ટેશને પહોંચી રેડ હેન્ડેડ પકડી પાડી નહીં તે માટે વાલીયાને પાછો સિધ્ધપુર પળી ચાર રસ્તે કલબમાં જ ફેંકી દીધો હતો.

આ રીતે એક નિષ્ઠાવાન પોલીસવડાની દિર્ધદૃષ્ટિએ બીજા જિલ્લાની હદનો ગુન્હો પણ પોતાની હદમાં નોંધાવીને સઘન તપાસ કરાવતા જે તે વખત નો બિનવારસી વાલીયો મારવાડી તો સહી સલામત છુટયો પણ સાથે સાથે ૨૭-૨ ૭ વર્ષની જેલ પામેલા પણ પેરોલ પર છુટી ભગોડો થયેલા બે કેદીઓ પણ પકડાયા આથી સમાજમાં અને ગુનેગાર આલમમાં એવો દાખલો બેસાડેલો કે પોલીસ ધારે તો શું શું કરી શકે ! પછી ભલે હદ ગમે તેની હોય. આથી જયદેવની પ્રતિષ્ઠા તો વધી જ પણ ઉંઝા તાલુકાના ગુનેગારો પણ વિચારવા લાગ્યા કે જયદેવ ગમે તેમ કરી અંદર કે બહારના જે પણ હોય તે ગુનેગારોને બરાબર ફીટ કરી દેવાની આવડત ધરાવે છે.

આી બંને ત્યાં સુધી શાંતિથી બેસવામાં મઝા છે અવા ઉંઝાથી દુર રહેવામાં મજા છે આનો ફાયદો ઉંઝાની જનતા અને પોલીસદળને બંને ને થયો અને બંને ને શાંતિ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.