Abtak Media Google News

સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના પ્રમુખ ધારાસભ્ય બનતા જયારે બનાસકાંઠા – દ્વારકાના પ્રમુખે સ્વૈચ્છીક રાજીનામુ આપતા નવી નિયુકિત

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ગઇકાલે સૌરાષ્ટ્રના ત્રણ સહિત રાજયના અલગ અલગ ચાર જિલ્લાઓ માટે પ્રમુખની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત આઇપીએસને બ્લેક મેઇલ કરવાની ઘટનામાં નામ ખુલતા ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યને તાત્કાલીક અસરથી ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Advertisement

બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખોએ વ્યકિતગત કારણોસર પ્રમુખપદેથી રાજીનામુ આપી દેતા ભાજપ પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા બન્ને જિલ્લાની સમિતિનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના પ્રમુખ ગત વિધાનસભાની ચુંટણી જીતી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. આવામાં સંગઠન ના કાર્યો પર કોઇ અસર ન પડે તે માટે ભાજપ અઘ્યક્ષ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અમરેલી જિલ્લાના રાજેશભાઇ કાબરીયાની વરણી કરવામાં આવી છે જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રમુખ તરીકે મયુરભાઇ ગઢવી અને બનાસકાંઠા જિલ્લાના પ્રમુખપદે કિર્તીસિંહ વાઘેલાની નિયુકિત કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખ  હિતેન્દ્રસિંહ ચૌહાણ મૂળ ચોટીલાના છે.તેઓ નાનપણથીજ ભારતીય જનતા પાર્ટી સાથે  જોડાયેલા છે. 2007 થી 2010 સુધી  ચોટીલા શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી. સંગઠનની  કામગીરી ધ્યાને લઈ  સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ યુવા મોરચા પ્રમુખ તરીકે 2010 થી 2017 સુધી જવાબદારી નિભાવી. નાની ઉંમરમાં જ તેઓની કાર્યશૈલી અને કામ કરવાની ધગશ જોઈને ભાજપ મોવડી મંડળે જિલ્લા ભાજપ ના મહામંત્રી તરીકેની 2017માં જવાબદારી સોંપી હતી. આ જવાબદારી તેમણે ખૂબ ઉત્સાહ અને ખંત પૂર્વેક નિભાવી હતી . લોકસભા,વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરેલી સંગઠાતમક  કામગીરી ધ્યાને લઈ નાની ઉંમરમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવતા  સામાજિક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.

બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ સમિતિનું વિસર્જન કરી દેવામાં આવ્યું હોય આગામી દિવસોમાં બન્ને જિલ્લામાં નવું સંગઠન માળખુ જાહેર કરી દેવામાં આવ્યું હોય આગામી દિવસોમાં બન્ને જિલ્લામાં નવું સંગઠન માળખુ જાહેર કરી દેવામાં આવશે બીજી તરફ ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય ગાંડાભાઇ કચરાભાઇ પ્રજાપતિ (જી.કે.)નું નામ આઇપીએસના તોડફોડમાં ખુલતા તેને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી હટાવી દેવામાં આવ્યા છે.

વિધાનસભાની બે-બે બેઠકો જીતાડનાર

દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલનું નાદુરસ્ત તબિયતના કારણે “રાજીનામું”

દેવભૂમિ દ્વારકા અને ખાસ કરીને જામ ખંભાળિયા પંથકમાં ભાજપના જનાધાર વધારવામાં સિંહફાળો આપનાર ભાજપ જિલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલે તબિયત સાથ ન આપતી હોવાનું કારણ આપી પક્ષમાંથી રાજીનામું આપી દીધાના બનાવે રાજકીય ક્ષેત્રે ખળભળાટ સાથે આશ્ર્ચર્ય સર્જ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ ખીમભાઇ જોગલ દ્વારા ગઇકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજીનામું આપવામાં આવ્યું હતું. જે સ્વીકારાયું છે.

9/11/20થી નિયુક્ત થયેલા ખીમભાઇ જોગલે નાદુરસ્ત તબિયતને લીધે પાર્ટીને ન્યાય ના આપી શકતા હોવાની લાગણી સતત રહેતી હોય અને આ કારણે રાજીનામું આપ્યાનું જણાવ્યું હતું. તેમના સમયમાં ખંભાળિયામાં 28માંથી 25 બેઠકો પાલિકામાં ભાજપે મેળવી અને બે-બે ટર્મની વિધાનસભા કોંગ્રેસ આગળ હતી. તે ખંભાળિયા ભાજપે તાજેતરમાં કબ્જે લીધી છતાં તેમણે રાજીનામું આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, સી.આર.પાટીલ જેવાના હાથ નીચે કામ કરવાનું ગૌરવ દર્શાવ્યું હતું તથા કામગીરીમાં ક્યાંક ચૂક રહી ગઇ હોય તો દિલગીરી વ્યક્ત કરી હતી.

નવેમ્બર-22માં વિધાનસભાની ચુંટણીઓ યોજાયેલ તેમાં ભાજપ જિલ્લા પ્રમુખ તબિયતને કારણે ખુરશીથી ઉભા ન હતા થઇ શકતા હોવા છતાં બંને સીટો ભાજપને જીતવાનો રેકોર્ડ સર્જયો હતો તથા તેમના સમયમાં સાડા ચાર કરોડના ખર્ચે ભાજપનું જિલ્લા કાર્યાલય દ્વારકેશ કમલમ જે એપ્રિલમાં પૂર્ણ થશે તે કરી શક્યા તે ગૌરવરૂપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.