Abtak Media Google News

ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાની મુલાકાત લઈ કાર્યકર્તાઓ સાથે યોજશે બેઠક

ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના આગામી પ્રવાસ કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ ૧૯ ઓગસ્ટ ૨૦૨૦, બુધવારે સવારે ૮.૦૦ કલાકે સિંહ સદન સાસણગીર ખાતેથી રેલી સ્વરૂપે નીકળી  સવારે  ૯:૦૦ વાગ્યે સોમનાથ મંદિર પહોંચશે. ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમના સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત કરશે. સોમનાથ ખાતે તેઓ ગીર સોમનાથ જિલ્લાના સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. સોમનાથથી વેરાવળ, કેશોદ, વંથલી, ગાંઠીલા ઉમિયાધામ મંદિરે દર્શન કરી તેઓ જૂનાગઢ શહેર પહોંચશે. સમગ્ર રૂટ દરમિયાન નિર્ધારિત કરેલ સ્થળોએ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. જૂનાગઢ શહેર સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ બેઠક યોજશે.

Advertisement

ઝડફિયાએ જણાવ્યું હતું કે, તારીખ ૨૦ ઓગસ્ટ ૨૦૨૦, ગુરુવારે સવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંગઠનની બેઠક યોજાશે. શ્રી સી.આર.પાટીલ જુનાગઢ થી જેતપુર થઈ ખોડલધામ દર્શન કરી ગોંડલ થઈને રાજકોટ પહોંચશે, જ્યાં રાજકોટ શહેરના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૦, શુક્રવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તબક્કાવાર રીતે રાજકોટ જિલ્લા અને શહેરના સંગઠનના હોદ્દેદારઓ અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે.

ઝડફિયાએ જણાવ્યું હતું કે, ૨૨ ઓગસ્ટ ૨૦૨૦, શનિવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચોટીલા થી ઝાંઝરકા થઇ સવઘણ મંદિરે દર્શન કરી ધંધુકા પહોંચશે જ્યાં ભાજપાની વિચારધારાને દાયકાઓ સુધી વરેલા રહેનાર, ભાજપાના અદના કાર્યકર્તા સ્વ.જગદીશભાઈ સોનીના પરિવાર સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે. બાવળા, બગોદરા ખાતે પણ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે જ્યાંથી તેઓ સુરત માટે રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.