Abtak Media Google News

 

પક્ષમાં ભલે ચારેય બાજુ જૂથવાદના લબકારા ચાલતા હોય પરંતુ પોતે હમેંશા કમલને સમર્પીત રહી ભાજપને મજબૂત બનાવવા માટે સતત પરિશ્રમની પરાકાષ્ઠા સર્જનાર પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ, રાજકોટના પૂર્વ મેયર, પૂર્વ ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને શાસકપક્ષના પૂર્વ નેતા ઉદયભાઇ કાનગડનો આજે જન્મદિન છે. રાજકારણમાં નામ જેવા જ ગુણ ધરાવતા ઉદયભાઇનો સુરજ રાજનીતીમાં ઉદય થયા બાદ ક્યારેય આથમ્યો નથી. કોર્પોરેટર તરીકે ચારવાર ચૂંટાયા અને ચારેયવાર પક્ષે તેઓને મહત્વપૂર્ણ હોદ્ો આપ્યો. ગુજરાતમાં સૌથી નાની વયે મેયર બનવાનો રેકોર્ડ પણ તેઓના નામે જ છે. પક્ષ પ્રત્યની નિષ્ઠા અને લોકો માટે કામ કરવાની ધગશ જોઇને ભાજપ દ્વારા તેઓને વર્ષ 1995માં પ્રથમવાર મહાપાલિકાની ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા તેઓ જંગી લીડથી વિજેતા બન્યા 1997માં તેઓને રાજકોટના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન પ્રાપ્ત થયું ત્યારે તેઓએ રાજ્યમાં સૌથી નાની વયે મેયર બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

2000 થી 2005ની ટર્મમાં તેઓનો પરાજય થયો જો કે ફરી 2005માં તેઓનો કોર્પોરેશનમાં ફરી ઉદય થયો અને બીજી ટર્મમાં પક્ષે તેઓને સૌથી તાકાતવાન ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવ્યા હતાં. તેઓ એકમાત્ર એવા નેતા છે જે મેયરપદેથી ઉતર્યા કે તરત જ તેઓને શાસક પક્ષના નેતા પણ બનાવવામાં આવ્યા હતા. 2010થી 2015 સુધીની ટર્મમાં તેઓને ડેપ્યુટી મેયરપદ સોંપવામાં આવ્યુ જ્યારે 2015 થી 2020ની ટર્મમાં તેઓએ અઢી વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ સંભાળ્યુ અને રાજકોટની વિકાસ યાત્રાને વેગ આપ્યો. ટૂંકમાં જ્યારે પણ કોર્પોરેટર તરીકે ચૂંટાયા ત્યારે તેઓને હોદ્ો આપવામાં આવ્યો.

લડાયક નેતા અને એક કુશળ સંગઠનકર્તા તરીકે તેઓએ આગવી ઓળખ ઉભી કરી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગત વર્ષ તેઓની ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. કોરોનાના કપરાકાળમાં ઉદયભાઇ કાનગડે સેવાની સતત સરવાણી વહાવી હતી. તેઓએ ગુજરાતના રાજકારણમાં નાની ઉંમરે બહુ મોટી નામના કાઢી છે. તેઓ જીવનમાં સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના “અબતક” પરિવાર પાઠવી રહ્યું છે. તેઓના મોબાઇ નં.99099 92404 ઉપર શુભેચ્છાઓનો અનરાધાર વરસાદ થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.