Abtak Media Google News

રાજકોટના ગોકુલધામ સોસાયટીમાં રહેતા બુટલેગરની કોઈ અજાણ્યા શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી લાશને એક બોક્સમાં બાંધી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીથી સ્વાતિ પાર્ક જવાના રસ્તે ફેંકી દીધાનું સામે આવ્યું છે. કોઈ રાહદારીએ લોહીના ડાઘા વાળું બોક્સ જોઈ જતા પોલીસને જાણ મરી હતી. પોલીસે બુટલેગરની હત્યાનો ભેદ ઉકેલવા મથામણ શરૂ કરી છે. તો બીજી તરફ હત્યા પાછળ સ્ટ્રીપાત્ર કારણભૂત હોવાની શંકા સેવાઇ રહી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરની ભાગોળે ગોંડલ રોડ ચોકડી પાસેના રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસેથી લોહીના ડાઘવાળું પીન મારી પેક કરેલું એક મોટું બોક્સ મળી આવ્યું હતું. આ બોકસ ખોલતા જ અંદરથી સાતથી વધુ છરીના ઘા ઝીંકાયેલી યુવકની લાશ મળી આવતા પોલીસ ચોંકી ઊઠી હતી. પોલીસે તપાસ કરતા મૃતક ગોકુલધામ વિસ્તારનો બૂટલેગર સંજય રાજુ સોલંકી (ઉ.વ.૩૭) હોવાનું ખુલ્યું હતું. બુટલેગરને ક્રૂરતાથી ઠંડા કલેજે રહેંસી નાખી લાશને બોક્સમાં પેક કરવામાં આવી હતી. હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકાએ પોલીસે તપાસ શરૂ કરી હતી.

જાણવા મળતી વધુ વિગત મુજબ રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસે લોહીના ડાઘવાળું શંકાસ્પદ બોક્સ હોવાનું કોઈ જાગૃત નાગરિકે જાણ કરી હતી. પોલીસે તુરંત સ્થળ પર પહોંચીને બોકસ ખોલ્યું તો અંદરથી પ્લાસ્ટિકના કોથળાથી વીંટાળેલી લાશ મળી હતી. મૃતક સંજય સોલંકીને છરીના તેમજ બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દેવામાં આવ્યો હતો. મૃતકના જમણા હાથમાં ચાંદીની લક્કી અને એક બાળકનું ટેટૂં બનાવાયેલું હતું.

મરણ જનાર સંજયના એક વર્ષ પહેલાં જ છૂટાછેડા થઈ ગયા હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.બુટલેગર સંજય સોલંકીની ઠંડા કલેજે હત્યા કરી લાશને એક બોક્સમાં પેકી કરીને અવાવરુ સ્થળ પર ફેંકી દેવામાં આવી હતી. બનાવમાં કોઈ જાણ ભેદુ પણ હોવાની શંકા પોલીસ સેવી રહી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સંજય સોલંકીને કોઈ અન્ય સ્થળ પર મોતને ઘાટ ઉતારી લાશને રિદ્ધિ સિદ્ધિ સોસાયટી પાસે ફેંકી દેવામાં આવી હતી. આ અંગે પોલીસે સ્ત્રી પાત્રને શંકાના દાયરામાં રાખી હત્યાની ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.