Abtak Media Google News

વિંછીયા ખાતે આશરે 5 કરોડના ખર્ચે રોડ-બ્રિજના વિકાસ કામોના ખાતમુર્હુત કરી  પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે જસદણ અને વિંછીયા પંથકમાં ગ્રામ્ય સડ઼કોને પાકા રોડથી જોડી વિકાસ કાર્યોને આગળ ધપાવાશે. આ વિસ્તારમાં પીવાના પાણી માટે  નલ સે જલ યોજના અને વાસ્મો હેઠળ ઘર ઘર પાણી પહોંચાડવાની કામગીરી સઘન બનાવાઈ હોવાનું  બાવળિયાએ જણાવ્યું હતું.

મંત્રીએ આ તકે ઉપસ્થિત ગ્રામજનોને ભરોસો આપતા જણાવ્યું હતું કે, અમે જે વચનો આપીએ છીએ તે અમલી કરી બતાવીએ છીએ. ગ્રામજનોને શિક્ષણ, આરોગ્ય, પાણી અને રસ્તાની સઘન સુવિધા પુરી પાડી છેવાડાના લોકોને પણ વિકાસની મુખ્યધારામાં જોડવામાં આવશે.કોરોનાની ત્રીજી લહેર આવે તે પૂર્વે મંત્રીશ્રીની ગ્રાન્ટ માંથી જસદણ ખાતે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કામગીરીનો પ્રારંભ થઈ ચુક્યો છે, તેમજ વિંછીયા ખાતે પણ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાનું મંત્રી એ જણાવ્યું હતું.

મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જસદણ ખાતે સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને આટકોટ ખાતે આયુર્વેદિક હોસ્પિટલના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ચુકી છે તેમજ જલ્દી જ તેના નિર્માણની પ્રક્રિયા હાથ ધરાશે.મંત્રી કુંવરજીભાઇએ આ તકે ગ્રામજનોને રસીકરણ માટે ખાસ ભલામણ કરતા જણાવ્યું હતું કે, આવનારી લહેરથી બચવા માટે એકમાત્ર વિકલ્પ વેક્સિનેશન છે. ભૂતકાળમાં અનેક રોગનું નિરાકરણ રસી દ્વારા થયું છે.

મંત્રી દ્વારા  વિંછીયા ખાતે ત્રણ અલગ અલગ સ્થળોએ રૂ 4,91,81,411 ખર્ચે નિર્મિત થનારા રસ્તા તેમજ બ્રિજના ખાતમુર્હૂત કરાયા હતાં. જેમાં રૂ. 3.37 કરોડના ખર્ચે થોરિયાળી થી પીપરડી સનાળી રોડ વાઇડનિંગ, વનાળા સરતાન રોડ પર રૂ. 64.03 લાખના ખર્ચે હયાત કોઝવેની જગ્યાએ 6 મિટરના 5 ગાળા બોક્ષ તેમજ ભડલી ગામ તળમાં ભડલીથી સનાળા રસ્તા પર સી.સી. રોડનું રૂ. 90.16 લાખના ખર્ચે નિર્માણકાર્ય હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.