Abtak Media Google News

કોરોનાની લહેર ધીમી પડી છે પરંતુ શાંત નથી થઈ, લોકો માસ્ક પહેરવા અને સોશીયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની તકેદારીઓ પૂર્વવત પાળે એવો અનુરોધ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે પહેલા ફેઝમાં સમુચિત સારવાર માટે 40 હજાર બેડની વ્યવસ્થા કરી હતી. હાલમાં એક લાખ બેડ સહિત ઓકસીજન પ્લાન્ટ, દવાખાનાઓ અને માનવ સંપદાની જરૂરી વ્યવસ્થા કરી છે. તકેદારીરૂપે બાળકોની કોરોનાથી સુરક્ષા માટે જરૂરી તાલીમ આપવામાં આવી છે.તેમણે જણાવ્યું કે,લોકોએ કોરોના એક ઘાતક અને અજાણી બીમારી રૂપે શરૂ થયો ત્યારે યશસ્વી પ્રધાનમંત્રીના દિશા નિર્દેશોનું પાલન કર્યું હતું. તબીબો, નર્સો, કોરોના ટેસ્ટ કરનારાઓ, અને વાહન ચાલકો એ જે રીતે આ કટોકટીમાં માનવ ધર્મનું પાલન કર્યું એ અજોડ છે.

Advertisement

તેમણે જણાવ્યું કે, સંતો, સમાજસેવીઓ, ધાર્મિક અને સામાજિક તથા સેવા સંસ્થાઓ અને નાગરિક સંગઠનોની સાથે ઉદ્યોગ ગૃહોએ પણ કોરોના સામેની લડાઇમાં સાધુવાદને પાત્ર યોગદાન આપ્યું છે.એમનું ભામાશા કર્તવ્ય ધન્યવાદને પાત્ર છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક આવેલી ક્રોસ રોડ હોસ્પિટલના પરિસરમાં રૂ.70 લાખના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલા વાતાવરણમાંથી હવા શોષીને પ્રાણવાયુ ઉત્પન્ન કરતાં પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.કોરોના કટોકટીમાં ઓકસીજનના અવિરત પુરવઠાની ખાત્રી આપતો આ પ્લાન્ટ કિરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સૌજન્ય થી સ્થાપિત કરવામાં આવ્યો છે.આ ઉદ્યોગ સમૂહ દ્વારા કોવિડ સામેની લડતમાં યોગદાન આપવા પાદરા ઉપરાંત વડોદરાની સયાજી હોસ્પીટલમાં અને પ્રધાનમંત્રીના સંસદીય વિસ્તાર વારાણસીની દીનદયાળ  હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ  સ્થાપવા જેવા કામો કરવામાં આવ્યા છે. તેના માટે કંપની સામાજિક જવાબદારી અદા કરવા માટેના ભંડોળમાંથી અંદાજે રૂ.પોણા ત્રણ કરોડનો ખર્ચ કરશે.

કિરી ઉદ્યોગ સમૂહે ઓકસીજન પ્લાન્ટ સ્થાપીને લોકોની પીડા હરનારી પ્રવૃત્તિ કરી છે. તો ક્રોસરોડ હોસ્પિટલે ગ્રામ વિસ્તારમાં અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું આવકાર્ય કામ કર્યું છે. ઉદ્યોગપતિઓ અને ધનપતિઓ દ્વારા લોકોની વેદના હરનારા આ પ્રકારના કામો સાધુવાદને પાત્ર છે.એન.સી.સી.અને રેડક્રોસ જેવી સંસ્થાઓ પણ કોરોના સામે રાહત આપતી પ્રવૃત્તિઓમાં જોડાઈ તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.આરોગ્ય વિભાગના તબીબો અને કર્મયોગીઓની સેવાઓની તેમણે પ્રશંસા કરી હતી.આ પ્રસંગે ક્રોસરોડ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.અમરનાથ ગુપ્તાએ રાજ્યપાલના આચાર્ય, શિક્ષણશાસ્ત્રી સહિતની બહુઆયામી વ્યક્તિત્વનો પરિચય આપવાની સાથે સહુને આવકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.