Abtak Media Google News

રાષ્‍ટ્ર વિરોધી તત્‍વો, લુંટારાઓ તથા ધાડપાડુઓની ગેરકાયદેસર પ્રવૃત્‍તિઓના કારણે નાગરીકોનાં જાનમાલ જોખમમાં મુકાય છે. આવી રાષ્‍ટ્ર વિરોધી પ્રવૃત્‍તિ કરતા તત્‍વો, સંબંધિત વિસ્‍તારમાં આવવા જવા માટે વાહનો નો ઉપયોગ કરે છે. તથા હાઇવે ઉપરની હોટલોનો જમવા તથા રોકાવા માટે ઉપયોગ કરે છે. આજ પ્રમાણે લુંટ, ધાડ, ઘરફોડ ચોરી કરતા તત્‍વો પણ હાઇવે ઉપરની હોટલોનો જમવા તથા રોકાવા માટે ઉપયોગ કરે છે.

આ પ્રકારના ગુનાઓના આરોપીઓને પકડવાનું તેઓની આઇડેન્‍ટીટી નહીં મળવાના કારણે મુશ્‍કેલ બનતું હોય, નાગરીકોના જાનમાલની સલામતીના હેતુસર આવા ગુનેગારો તથા તેઓના વાહનોની આઇડેન્‍ટીટી મેળવવામાં મદદરૂપ થાય આ અંગેનો સબળ પુરાવો કોર્ટ સમક્ષ મુકી શકાય તે હેતુસર ગીર સોમનાથ જિલ્‍લામાં અધિક જિલ્‍લા મેજસ્‍ટ્રેટશ્રી એચ.આર.મોદીએ તેમને મળેલી સત્તાની રૂએ એક હુકમ કરીને ગીર સોમનાથ જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારના રાજય ધોરી માર્ગ, રાષ્‍ટ્રીય ધોરી માર્ગ અને ગ્રામ્‍ય માર્ગ ઉપર આવેલ તમામ હોટલો, ગેસ્‍ટ હાઉસો, લોજીંગ બૉર્ડિંગ, ધર્મશાળાઓ, અતિથીગૃહો, વિશ્રામગૃહો, રિસોર્ટ, ડાયનીંગ હોલ્‍સ, મુસાફર ખાના, બેન્‍કો, સીનેમાઘરો, શોપીંગ મોલ, આંગડીયા પેઢી, સાયબર કાફે, સોની વેપારીઓની દુકાનો સહિતમાં આવતી જતી તમામ વ્‍યકિતઓ તથા વાહનોની ઓળખ થઇ શકે તે રીતે પુરતી સંખ્‍યામાં સી.સી. ટીવી કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્‍ટમ સાથે ગોઠવી ઉકત વિગતોનું રેકોર્ડીંગ કરવું તેમજ આ ડેટા બેક ૩૦-દિવસ સુધી જાળવી રાખવો, તેમજ સલામતી વિષયક બાબતો સંભાળતી પોલીસ સહીતની કોઇ એજન્‍સી આવા ડેટાની માંગણી કરે ત્‍યારે બનતી ત્‍વરાએ ઉપલબ્‍ધ કરવા જણાવેલ છે.

આ હુકમ પ્રસિધ્‍ધ થયા તા. ૬ જૂન થી દિવસ-૬૦ સુધી અમલમાં રહે તે રીતે ફરમાવેલ છે.. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.