Abtak Media Google News

પુલના બન્ને છેડે ટીકીટબારીએ  માત્ર બે-ત્રણ લોકોનો સ્ટાફ જ હતો, ભીડને નિયંત્રણ કરવા સિક્યુરિટી ગાર્ડ તો ક્યાંય હતા જ નહીં!!

ઝૂલતા કુલ દુર્ઘટનામાં અંદાજે 134 જેટલા લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી છે હાલ સરકારે સીટની રચના કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો છે બીજી તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે ઝુલતા પુલના સીસીટીવી ફૂટેજ અત્યંત મહત્વના પુરાવા બનવાના છે.

મોરબીનો ઝુલતો પુલ ગત રવિવારે સાંજે ઓચિંતો તૂટી પડતા મોતનું તાંડવ સર્જાયું હતું ઘટના બની તેને 41 કલાક જેટલો સમય થઈ ગયો હોવા છતાં સર્ચ ઓપરેશન હજુ સુધી ચાલુ રાખવામાં આવ્યું છે આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. મેનેજમેન્ટ કરતી કંપની અને તંત્રની લાપરવાહીને કારણે આ ઘટના સર્જાય હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. આ દરમિયાન સરકાર દ્વારા ઘટના બન્યાને થોડા કલાકોમાં સીટની રચના કરી તપાસ હાથ ધરવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

હાલ સીટની ટીમ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિતનું તંત્ર તપાસમાં લાગ્યું છે. વધુમાં પોલીસે ઓરેવાના મેનેજર, કોન્ટ્રાકટ એજન્સીના સ્ટાફ સહિતના નવ લોકોની ધરપકડ કરી તેની પૂછતાછ પણ હાથ ધરી છે.

બીજી બાજુ તેવું જાણવા મળી રહ્યું છે કે ઝૂલતા પૂલમાં અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે આ સીસીટીવી કેમેરા મહત્વના પુરાવા બનવાના છે આ દુર્ઘટના સર્જાય ત્યારે જે લોકો ઘટના સ્થળે હતા તેઓના જણાવ્યા અનુસાર સાંજના સમયે અત્યંત ભીડ જામી હતી ટિકિટ બારી ઉપર પણ લોકોની કતારો લાગી હતી. ઝૂલતા પુલ ઉપર પણ લોકોની ભારે ભીડ જામી હોય ટિકિટ બારીનો લાલચુ સ્ટાફ આવી પરિસ્થિતિ હોવા છતાં ટિકિટ ઇસ્યુ કરીને લોકોને પુલ ઉપર જવાની પરમિશન આપી રહ્યો હતો.

વધુમાં મેનેજમેન્ટ તરફથી ઝૂલતા ફૂલ આસપાસ ક્યાંય પણ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યો ન હતો જો કદાચ સિક્યુરિટી ગાર્ડ ફરજ ઉપર હોત તો તે ભીડને નિયંત્રણ કરી શક્યો હોત ઉપરાંત મેનેજમેન્ટની એટલી લાપરવાહી હતી કે પુલ ઉપર ભીડનો સામનો કરીને પરત ફરી રહેલા લોકો ટીકીટ બારીએ ફરિયાદો પણ કરી રહ્યા હતા કે હવે તો લોકોને અંદર જતા રોકો, અંદર લોકો સમાય તેમ નથી. પણ નીંભર મેનેજમેન્ટે લોકોની એક વાત પણ સાંભળી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.