Abtak Media Google News

20 વર્ષની સ્વાગત કાર્યક્રમની સફરથી રાજ્ય સરકારને નીતિવિષયક નિર્ણયો લેવામાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં અને નીતિવિષયક નિર્ણયો લેવામાં ખૂબ મદદ મળી: મુખ્યમંત્રી

વડાપ્રધાન તથા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઘરઆંગણે નિવારણ કરવા માટે શરૂ કરાવેલ “સ્વાગત કાર્યક્રમ”ના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમા યોજાઈ રહેલા “સ્વાગત સપ્તાહ કાર્યક્રમ”ના સમાપન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલા શરૂ કરાયેલા “સ્વાગત કાર્યક્રમ” થકી સામાન્ય માનવી લોકતાંત્રિક સંસ્થાઓમાં સહભાગી બની શક્યો છે. આ સફર થકી નાગરિકોનું જીવન ધોરણ સુધર્યું છે. રાજ્ય સરકારનું આ મોડલ દુનિયાભરમાં સ્વીકૃતિ પામ્યું છે, તેની અલગ ઓળખ ઊભી થઈ છે. “સ્વાગત કાર્યક્રમ”ને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે, જે તેની સફળતાનો પુરાવો છે.

20 વર્ષ પહેલા શરૂ થયેલા સ્વાગત કાર્યક્રમના પહેલા અરજદાર એવા ગાંધીનગરના સોલંકી બાલકસંગ બચુજી, તાપી જિલ્લાના દિવ્યાંગ અરજદાર ચૌધરી વિવેક બાલુભાઈ તથા સુરત શહેરના અરજદાર રાકેશભાઈ પારેખને વડાપ્રધાન મોદી ઓનલાઇન મળ્યા હતા અને તેમની અત્યારની પરિસ્થિતિથી માહિતગાર થયા હતા. આ તમામ અરજદારોને રોજગારીનું સર્જન કરવા તથા તેમના જેવા અન્ય અરજદારોને સહાયરૂપ થવા વડાપ્રધાનએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે “સ્વાગત કાર્યક્રમ”ની 20 વર્ષની સફળ યાત્રા અને નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી સમયથી બે ડગલા આગળ રહેવા બદલ સરકારી અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ સફરથી રાજ્ય સરકારને ગુણાત્મક પરિવર્તન લાવવામાં અને નીતિવિષયક નિર્ણયો લેવામાં ખૂબ મદદ મળી છે. આ કાર્યક્રમ થકી રાજ્યની જનતાને રાજ્ય સરકારની સંવેદનશીલતા, પારદર્શકતા અને પ્રતિબધ્ધતાનો સધિયારો રાજ્યના નાગરિકોને સાંપડ્યો છે. “સ્વાગત કાર્યક્રમ” એ બીબાઢાળ કરતાં અલગ વ્યવસ્થા છે, જેમાં રાજ્યભરના નાગરિકો તેમના પ્રશ્નોની નિર્ભયતાપૂર્વક રજૂઆત કરી શકે છે. સુશાસનની સાચી દિશા અપનાવવા આ કાર્યક્રમે રાજ્ય સરકારને પ્રેરિત કર્યા છે. સામાન્ય, ગરીબ અને વંચિત નાગરિકોને આ કાર્યક્રમે સુગ્રથિત વહીવટી માળખાની ભેટ આપી છે, જરૂરિયાતવાળા નાગરિકોને યોજનાકીય અનેક લાભો મળ્યા છે તથા તેમની સમસ્યાઓ નિવારી શકાઈ છે.

રાજકોટના અરજદાર જીતેન્દ્ર પરમારની “રાજ્ય સ્વાગત કાર્યક્રમ”માં રજૂ થયેલી ફરિયાદ અન્વયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પરમારની નાણાકીય લેવડ-દેવડ અંગેની બાબતો સ્થાનિક કક્ષાએથી જ ઉકેલવા સંબંધિત અધિકારીઓને ઓનલાઈન સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ મહેસાણા, વડોદરા, સુરત, અમદાવાદ વગેરે જિલ્લાઓના અરજદારોની અરજીઓનું ઓનલાઈન નિરાકરણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. “સ્વાગત કાર્યક્રમ”ની 20 વર્ષ ની ગાથા  આલેખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ આ પ્રસંગે રજુ કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.