Abtak Media Google News

વડાપ્રધાન મોદીએ રાજકોટ અને સૌરાષ્ટ્રને અભૂતપૂર્વ વિકાસ  કામોની ભેટ આપી: રાજુ ધ્રુવ

પ્રખર રાષ્ટ્રવાદી  નેતા અને ગુજરાતના પનોતા પુત્ર  નરેન્દ્રભાઈ મોદી  આગામી  ગુરુવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે રાજકોટ જ નહી પણ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ તેમણે આવકારવા માટે આતુર છે તેમ ભાજપના સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકોટ મુલાકાત અંગે તેમણે જણાવ્યું છે કે, જે પ્રકારે સૌરાષ્ટ્ર-રાજકોટ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સવિશેષ પ્રેમ છે તેવી રીતે સૌરાષ્ટ્ર-રાજકોટની જનતાને પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે સવિશેષ પ્રેમ છે. અને તેમનું અભૂતપૂર્વ સ્વાગત અને આગવું અભિવાદન કરવા માટે ભાજપના કાર્યકરોથી લઈ સ્થાનિક જનતા ઉત્સાહિત છે.

નરેન્દ્રભાઈ મોદીનો સૌરાષ્ટ્ર સાથેનો નાતો દાયકાઓ જૂનો છે. સૌ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી ધારાસભ્ય પદની ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી જીત્યા હતા. રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો માટે નરેન્દ્રભાઈ મોદીની લાગણી જગજાહેર છે.

રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, રાજકોટ-સૌરાષ્ટ્રનું નામ પૂરા રાષ્ટ્રથી લઈ વિશ્વભરમાં ગુંજતું થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીએ ઐતિહાસિક પગલાઓ ભર્યા છે અને રાજકોટ-સૌરાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય કક્ષાની ભેટ ધરી છે. રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું  એરપોર્ટ આપ્યું છે અને ગુરુવારે તેમના જ હસ્તે આ એરપોર્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાની એઈમ્સ હોસ્પિટલ, આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ, આંતરરાષ્ટ્રીય કક્ષાનો લાઈટહાઉસ પ્રોજેક્ટ, આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્માર્ટસિટી પ્રોજેક્ટ, સોમનાથ મહાદેવ વિસ્તારનો સર્વાંગીણ વિકાસ, પાકિસ્તાન સાથેની દરિયાઈ સરહદે મરિન કમાન્ડો હેડકવાટર્સ, ભાવનગર-સુરત વચ્ચે રો-રો ફેરી સર્વિસ, જામનગર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની આયુર્વેદીક યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ વગેરેની ભેટ નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ-સૌરાષ્ટ્રને ધરી છે.

નર્મદાનું પાણી રાજકોટ-સૌરાષ્ટ્રને મળે અને પાણીની સમસ્યા દૂર થાય તે માટે પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તેમણે પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા એટલું જ નહીં અહીં આવેલા ઉદ્યોગોનો વિકાસ થાય, લોકોનું જીવનધોરણ સુધરે, ખેડૂતોની આવક બમણી થાય અને છેવાડાના માનવીને પણ સિંચાઈ, દવાઈ, પઢાઈ, કમાઈ મળી રહે તે માટેની વિવિધ યોજનાની ભેટ આપી છે.

સૌરાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈને વિશેષ પ્રેમ છે તે વાતનો સૌથી મોટો પુરાવો સૌની યોજના છે. સૌરાષ્ટ્રના ખેડુતો સિંચાઈના પાણી માટે વર્ષો સુધી સંઘર્ષ કરતા હતા. કોંગ્રેસની સરકારોએ પાણી ન આપ્યું. નરેન્દ્રભાઈએ સૌની યોજનાનો અમલ 2016 થી કર્યો અને સૌરાષ્ટ્રના 115  ડેમ નર્મદાના પાણીથી ભરવાનો સંકલ્પ કરી તેનો અમલ પણ કર્યો. આજે રાજકોટનો આજી ડેમ, મોરબીનો મચ્છુ ડેમ, ગાંડલનું વેરી તળાવ એ બધું ઊનાળામાં પણ છલોછલ રહે છે તે આ બધું ” સૌની યોજના”ને આભારી છે અને “સૌની યોજના” વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને આભારી છે.

આજે આ યોજનાના ફળ સમગ્ર સૌરાષ્ટ્ર ની પ્રજા ને મળી રહ્યા છે.

આવા વિકાસ પુરુષ ગુરુવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પ્રત્યેક રાજકોટવાસી તેમના સ્વાગતમાં જોડાય તેવો અનુરોધ પણ રાજુભાઈ ધ્રુવે નિવેદનનાં અંતમાં કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.