Abtak Media Google News

કેરળમાં રુમઝુમ રુમઝુમ વર્ષારાણીનું આગમન

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ: મોનસૂન પશ્ચિમ તટીય વિસ્તારો અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં ધીમી ઝડપથી આગળ વધી રહ્યું છે જેથી દેશના મોટાભાગના રાજ્યો સહિત ગુજરાતમાં પણ ટૂંક સમયમાં વરસાદનું આગમન થશે

જેમ હવામાં ભેજનું પ્રમાણ વધુ તેમ વરસાદનું આગમન પણ જલ્દી થાય છે જો કે વાવાઝોડાની અસર તળે વરસાદ માટે થોડી રાહ જોવી પડશે

લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે દક્ષિણ પશ્ચિમ મોનસૂન કેરળ પહોંચી ગયુ છે. કેરળમાં રુમઝુમ રુમઝુમ વર્ષારાણીનું આગમન થયું છે. હવે 10 જૂન સુધીમાં તે અરબ સાગરના મોટાભાગના વિસ્તારો, દક્ષિણ દ્વીપ ભારત, બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વ ભારતને કવર કરી શકે છે. છેલ્લાં 24 કલાકમાં દક્ષિણપૂર્વ અરબ સાગર પર વાદળો ઘેરાયા છે. પવનની ઝડપ પણ વધી ગઈ છે. હવે મોનસૂન જલ્દી કેરળના બચેલા વિસ્તારો, તમિલનાડુના કેટલાંક વિસ્તારો, કર્ણાટકના કેટલાંક વિસ્તારોમાં પણ આવશે. દેશના મોટાભાગના રાજ્યો સહિત ગુજરાતમાં પણ ટૂંક સમયમાં વરસાદનું આગમન થશે. બીજીબાજુ વાવાઝોડું દૂર છે પણ તેની અસર ના કારણે રાજ્યભરમાં પાંચ દિવસ છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં વાવાઝોડું હાલ ગોવાથી 840 કિલોમીટર દૂર છે. તેમજ મુંબઈથી 870 કિલોમીટર દૂર છે. જ્યારે આગામી બે દિવસમાં ઉત્તર -ઉત્તર પશ્ચિમ તરફ તીવ્ર ગતિથી આગળ વધશેબિપરજોય વાવાઝોડાની અસરના પગલે આગામી  બે દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે.

મુંબઈમાં ટૂંક સમયમાં વરસાદ પડી શકે છે. કેરળમાં મોનસૂનના આગમનને જોતા હવામાન વિભાગે મુંબઈમાં આગામી સાત દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક મહેશ પલાવતના જણાવ્યા મુજબ, 10 જૂનથી મુંબઈમાં પ્રી મોનસૂન વરસાદ થવા લાગશે. 15 જૂનની આસપાસ મોનસૂન સંપૂર્ણ રીતે સક્રિય બની જશે. આના કારણે ભયંકર ગરમીનો સામનો કરી રહેલાં મુંબઈવાસીઓને ગરમીથી છૂટકારો મળશે. એક અઠવાડિયાન વિલંબ બાદ આખરે ચોમાસું દક્ષિણ પશ્ચિમ કેરળ પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 8 જૂનના રોજ મોનસૂને કેરળમાં દસ્તક આપી છે.

પૂર્વ મધ્ય અરબ સાગરમાં બનેલું ખૂબ જ શક્તિશાળી ચક્રવાત વાવાઝોડું બિપરજોય ઉત્તર તરફ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી 18 કલાક સુધીમાં આ ચક્રવાત વધારે તેજ બની શકે છે. એ પછી તે ઉત્તર-ઉત્તર પશ્ચિમની દિશામાં આગળના ત્રણ દિવસ દરમિયાન આગળ વધશે. આ શક્તિશાળી ચક્રવાતને જોતા પવનની સ્પીડ 118થી 166 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ બની શકે છે.

સુરતમાં તમામ અધિકારીઓ-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાને લઈ વહીવટી તંત્ર સાબદું થયું છે. સુરતમાં ઓલપાડ તાલુકાના દરિયાઈ કાંઠાના 27  ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાના ડિઝાસ્ટર તંત્રએ જાન-માલની ખુવારી ન થાય તે માટે સાવચેતીના અનેક પગલા લીધા છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના કલેક્ટરે વાવાઝોડાને પગલે અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવા આદેશ આપ્યો છે.

NDRFની 15 અને SDRFની 11 ટીમો સ્ટેન્ડ બાય

વેધર વોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, જૂન-જુલાઈમાં ગુજરાતમાં સામાન્ય રીતે વધુ વરસાદ પડે છે. આ દરમિયાન વાવાઝોડું અને પૂરની સ્થિતિ ઉદભવતી હોય છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો-એજન્સી સાથે યોગ્ય-તાત્કાલિક સંકલન કરીને રાહત કામગીરી વધુ પ્રભાવી રીતે કરી શકાય તે જરૂરી હોવાથી ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની 15 અને SDRFની 11 ટીમો સ્ટેન્ડ બાય કરવામાં છે. બિપરજોય વાવાઝોડાની અસરથી શુક્રવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.