Abtak Media Google News

સામાન્ય તાવની બીમારીમાં હેવી ડોઝના કારણે બંને કીડની ફેઇલ થઇ અને બ્રેઇન હેમરેજ થવાથી મોત થતા પ્રજ્ઞાચક્ષુ પુત્રીએ માતાની મમતા ગુમાવી!: માલવીયાનગર પોલીસે કાર્યવાહી ન કર્યાના આક્ષેપ

પંચવટી મેઇન રોડ પર આવેલી પ્લેક્ષસ હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે પ્રજ્ઞચક્ષુ પુત્રીએ માતાની મમતા ગુમવતા મૃતકના પરિવારે રોષ સાથે હોસ્પિટલમાં ઉગ્ર રજૂઆત કરતા માલવીયાનગર પોલીસે બેજવાબદાર તબીબ સામે કાયદેસર કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા બાદ એક માસ જેટલો સમય થવા છતાં પોલીસે ગુનો ન નોંધતા મૃતકના પરિવારજનો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરી છે.

શહેરના સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ પાસે મારૂતિ પાર્ક શેરી નંબર ૩માં રહેતી જયશ્રીબેન પરમાર નામની ૩૪ વર્ષની ધોબી પરિણીતાને તાવ અને નબળાઇ હોવાથી સોમનાથ સોસાયટીમાં પોતાના ફેમીલી ડોકટર મયલ ફીચડીયા પાસે દવા લેવા ગયા ત્યારે તેમને દાખલ થવાની સલાહ આપી પંચવટી મેઇન રોડ પર જલારામ હોસ્પિટલની ઉપર પ્લેક્ષસ હોસ્પિટલમાં તા.૩૧ ડિસેમ્બરે દાખલ કરાયા હતા.

જયશ્રીબેનની પ્લેક્ષસ હોસ્પિટલમાં ડો.દિનેશ રાજની સારવાર બાદ બે દિવસ સારૂ રહ્યા બાદ બાદ એકાએક તબીયત લથડતા તેઓને સાંજે નવેક નવ વાગે આઇસીયુમાં વેન્ટીલેટર પર લીધા હતા. ત્યારે તબીબને તબીયત સુધરવાના બદલે બગડયા અંગે પૂછપરછ કરતા દર્દીને નોર્મલ ઇન્ફેકશન હોવાનું કહી સારૂ થઇ જવાનું આશવસન આપવામાં આવ્યાનું જયશ્રીબેનના ભાઇ મહેલ જેઠવાએ જણાવ્યું હતું.

જયશ્રીબેન પરમારને વેન્ટીલેટર પર લીધા અંગેની પરિવારના કોઇ સભ્યની પૂર્વ મંજુરી લીધી ન હતી. અને હેવી ડોઝના કારણે જયશ્રીબેનની બંને કીડની અને બ્રેઇન હેમરેજ થયાનું જણાતા ડોકટર દિનેશ રાજ પાસે સારવારની ફાઇલની માગણી કરી હતી. ત્યારે સારવાર અંગેની કોઇ વિગતો આપવાનો ઇન્કાર કરી સાદા કાગળમાં સામાન્ય સારવાર લખી આપતા પોલીસને બોલાવવામાં આવ્યા બાદ ડીસ્ચાર્જનો કાગળ આપ્યો હતો અને જયશ્રીબેનને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેણીનું તા.૧૮ જાન્યુઆરીએ મૃત્યુ નીપજ્યું હતું.

મૃતક જયશ્રીબેન પરમારને બે પુત્રી પૈકી ૧૫ વર્ષની મોટી પુત્ર પ્રજ્ઞચક્ષુ હોવાથી એક નિસહાય બાળકીએ પોતાની માતા ગુમાવતા મૃતકના પરિવાર રોષ સાથે પ્લેક્ષસ હોસ્પિટલ જઇ ડો.દિનેશ રાજ વિરૂધ્ધ ઉગ્ર રજુઆત કરી હતી.

જયશ્રીબેન પરમારના પ્લેક્ષસ હોસ્પિટલમાં વિવિધ રિપોર્ટ કરાયા હતા તે તમામ રિપોર્ટમાં ઉમર અલગ અલગ લખી હોવાનું અને હેવી ડોઝના કારણે મોત નીપજયાના આક્ષેપ સાથે કરાયેલી રજૂઆત અંગે માલવીયાનગર પોલીસે ડો.દિનેશ રાજ સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. રજૂઆતને એકાદ માસ જેટલો સમય થવા છતાં માલવીયાનગર પોલીસે પ્લેક્ષસના તબીબ દિનેશ રાજ સામે ગુનો ન નોંધતા મૃતક જયશ્રીબેનના પતિ વિજયભાઇ જાદવભાઇ પરમાર મોટી સંખ્યામાં પરિવારજનો સાથે પોલીસ કમિશનર કચેરીએ ન્યાયની માગ સાથેના બેનર સાથે આવી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરતા માલવીયાનગર પોલીસ સ્ટાફને તાકીદે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આદેશ કર્યો છે.

પ્લેક્ષસ હોસ્પિટલના તબીબના ખોટા નિદાન અને ખોટી સારવારના કારણે જયશ્રીબેન પરમારનું મોત નીપજતા પ્રજ્ઞાચક્ષુ બાળકીએ પોતાની માતાની મમતા ગુમાવતા પરિવારજનોએ આક્રોશ સાથે તબીબ દિનેશ રાજ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.