Abtak Media Google News

નાના બાળકો માટે પહેલાના સમયમાં સરકાર દ્વારા બાલમંદિર ચાલતા. આજે આવા બાલમંદિરને સરકાર દ્વારા નવું નામ આપવામાં આવ્યુ છે ‘નંદઘર’. સુખી-સંપન્ન અને આર્થિક રીતે પરવડે એવા પરિવારના સંતાનો મોટી મોટી ફી ભરીને પ્લે હાઉસમાં જાય અને ગરીબ પરીવારના બાળકો નંદઘરમાં જઇને ધમાલ મસ્તી કરે. મહેસાણામાં આવેલા આવા એક ‘નંદઘર’ની 10 નાની-નાની બાળાઓને કોઇ દાતા તરફથી સોનાની બુટી ભેટમાં આપવામાં આવી. આ દાતા કોઇ મોટા ઉદ્યોગપતિ નથી પરંતું મહેસાણાના જુદા-જુદા મંદિરોની બહાર ઉભા રહીને ભીખ માંગવાનું કામ કરતા ખીમજીભાઇ પ્રજાપતિ નામના એક અપંગ ભિક્ષુક છે. ખીમજીભાઇને બધા ‘ગોદડીયાબાપુ’ તરીકે ઓળખે છે.

આ ભાઇ ભીખ માંગીને જે કંઇ રકમ ભેગી કરે એ બેંકમાં જમા કરવાને બદલે દર વર્ષે સરકારી શાળામાં અભ્યાસ કરતી ગરીબ પરીવારની બાળાઓને ઉપયોગમાં આવે એવી રીતે વાપરે છે. ક્યારેક અભ્યાસના પુસ્તકો લઇ આપે તો ક્યારેક સ્ટેશનરી લઇ આપે, ક્યારેક વળી દફતર લઇ આપે તો ક્યારેક નોટબુક અને પેન લઇ આપે. આ વર્ષે થોડી વધુ રકમ ભેગી થઇ તો ગોદડીયાબાપુએ નંદઘરની દિકરીઓ માટે સોનાની બુટી કરાવી આપી. આપણે ત્યાં ‘તેન ત્યકતેન ભૂંજીથા: (ત્યાગ કરીને ભોગવી જાણો)નો ઉપદેશ આપનારા મહાત્માઓ અબજો રૂપિયા ભેગા કરે છે અને બીજી બાજુ આવા મુફલીસ માણસો આ વેદ-ઉપનીષદના ઉપદેશને જીવીને બતાવે છે. ગરીબ પરીવારની નાની-નાની દિકરીઓને ભલે પેટ ભરીને ખાવા ન મળતું હોય કે પહેરવા માટે પુરતા કપડા ન હોય પણ સપનામાં તો સોનાની બુટી આવતી જ હશે. ખીમજીભાઇએ આવી દિકરીઓના સપનાઓને માત્ર સપના જ ન રહેવા દેતા વાસ્તવિકતામાં બદલી નાંખ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.