Abtak Media Google News

નેચરલ ગેસમાં જીએસટી લાગુ ન થતા સિરામિક ઉધોગ ને વેટ રિફંડ નહિ મળે : કરોડો નું નુકશાન  

દેશભરમાં  જીએસટી અમલી બન્યા બાદ પણ પેટ્રોલ,ડીઝલ અને ગેસમાં જીએસટી લાગુ કરવામાં ન આવતા મોરબીના સિરામિક ઉદ્યોગને બેવડો ફટકો પડ્યો છે અત્યાર સુધી નેચરલ ગેસમાં લાગતો વેટ રિફંડ રૂપે મળતો પરન્તુ જીએસટી લગતા હવે વેટ નું રિફંડ બંધ થવાથી કરોડો રૂપિયાનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

હાલમાં મોરબી સિરામિક ઉધોગોમાં ઈંધણ તરીકે મોટા ભાગે પાઇપલાઇન મારફતે પહોચાડતા નેચરલ ગેસ ઉપયોગમાં લેવાય છે. મોરબીનો સિરામિક ઉધોગો એક અંદાજ મુજબ રોજનો ૨૮લાખ ક્યુબીક મીટર નેચરલ ગેસ વાપરી રહ્યો છે. આ ગેસના પ્રતિ ક્યુબીક મીટરના ૨૫ રૂપિયાના ભાવ ઉપર અત્યાર સુધી ગુજરાત સરકાર ૧૫ ટકા વેટ ઉઘરાવતી હતી. જેમાંથી વર્ષાતે ઉદ્યોગકારોને ૧૧થી૧૨ ટકા વેટ રિફંડ પેટે મળી જતો. પરંતુ ૧લી જુલાઈથી જીએસટી લાગુ પડવાથી અને સરકારની ગૂંચવણ ભરી નીતિનો કારણે હવેથી મોરબીના સિરામિક ઉદ્યોગોને જીએસટી લાગુ થવા છતાં ગેસ પર ૧૫ ટકા વેટ ભરવો તો પડશે અને તે હવેથી પાછો પણ નહી મળે. કારણ કે નેચરલ ગેસને જીએસટીમાંથી બાકાત રાખતા ગુજરાત સરકારે પોતાનો ટેક્ષ એટલે કે વેટ વસૂલવાનું ચાલુ રાખ્યું છે. અને હવે જીએસટી ટેક્ષ સિસ્ટમમાં વેટ રિફંડ મળવાની કોઈ જોગવાઈ ન હોવાથી મોરબીના સિરામિક ઉદ્યોગોને દરરોજના ગેસ પરનો અંદાજે ૭૫ લાખ રૂપિયાનો ટેક્ષ હવેથી પાછો નહીં મળી શકે.

સિરામિક ઉદ્યોગના સૂત્રોના જણાવ્યાં મુજબ ગેસ પરના ૧૫ ટકા વેટ રિફંડ ન મળવાથી ઉત્પાદન ખર્ચ વધી જશે. જેના કારણે ઉદ્યોગોકારો અન્ય ઈંધણ તરફ વળે તેવી શક્યતા છે. મોરબીના ઉદ્યોગોકારો જો આ સ્થિતિ યથાવત રહી તો પીએનજીની જગ્યાએ એલપીજી તરફ વળવાનું વિચારી રહ્યા છે. કારણ કે હાલ એલપીજી ના ભાવો પીએનજી કરતા સસ્તા છે. જો આમ થશે તો એક્ધદરે ગુજરાત સરકારને જ મોટી નુકશાની જશે.

ટેક્ષ રિફંડ ન મળવા અંગે મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ નિલેશ જેતપરીયાએ જણાવ્યુ હતું કે આ અંગે અમે રાજય સરકારમાં રજૂઆત કરી  ગેસના ભાવો ઘટાડવાની રજૂઆત કરી છે. જેથી રિફંડ ન મળનાર ટેક્સનું ભારણ સરભર થઇ જાય.

આ સંજોગોમાં હવે જોવું એ રહ્યું કે સરકાર સિરામિક ઉદ્યોગની રજૂઆત સાંભળે છે કે પછી જીએસટી ના દર ઘટાડવાની જેમ ઠાલા આશ્વાશન આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.