Abtak Media Google News

ગુજરાત હાઈકોર્ટે બુધવારે મોરબીના ઝૂલતા પુલના સમારકામને “એન્જિનિયરિંગ આપત્તિ” ગણાવ્યું હતું અને રાજ્ય સરકારને રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં બે સદીઓ જૂના પુલ પર સમારકામ કરતી વખતે ભૂલનું પુનરાવર્તન ન કરવા જણાવ્યું હતું.

ગોંડલમાં જૂના પુલોની જર્જરિત હાલત અંગે ફરિયાદ કરતી પીઆઈએલની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયીની ડિવિઝન બેંચને સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમણે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આવેલા બે પુલોના સમારકામની કામગીરી હાથ ધરી છે. જે રાજા ભગવતસિંહજી મહારાજે એક સદી કરતા પણ વધુ સમય પહેલા બંધાવ્યા હતા.

ગોંડલના બે દાયકા જુના પુલના નવીનીકરણમાં ઝુલતા પુલ જેવી ભૂલનું પુનરાવર્તન નહીં કરવા હાઇકોર્ટની ટકોર

ન્યાયાધીશોએ સરકારની ટીકા કરી હતી જ્યારે તેણે દાવો કર્યો હતો કે તેણે પુલના સમારકામમાં કોઈ કસર છોડી નથી. અદાલતે સરકારની વિલંબિત કાર્યવાહી માટે પણ આકરા પ્રહારો કર્યા હતા અને સવાલ કર્યો હતો કે, ‘કુંભકર્ણ’ ક્યાં હતો તેની તમે કોઈ તપાસ કરી છે?

સરકારી વકીલે રજૂઆત કરી હતી કે હાલના જૂના પુલમાંથી એક તોડી પાડવાની શક્યતા સાથે બે નવા બ્રિજ બનાવવા માટે પાલિકાને રૂ. 17 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

જો તમે જૂના પુલનું સમારકામ કરી રહ્યા છો, તો તમે તેની સામગ્રી બદલી શકતા નથી તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે આઇકોનિક સ્ટ્રક્ચર્સને તોડી પાડવાની જરૂર નથી પરંતુ સંરક્ષણ આર્કિટેક્ટની મદદથી રિપેર કરવામાં આવે છે.

ચીફ જસ્ટિસએ કહ્યું, “શું તમે ખાતરી કરી છે કે મોરબી બ્રિજના કિસ્સામાં જે રીતે સમારકામ કરવામાં આવ્યું હતું તેવું ગોંડલમાં પુનરાવર્તીત ન થાય? અમે તમને ખાતરી કરવા માટે પણ કહીશું અને તેના સમારકામના સંદર્ભમાં સમયાંતરે અહેવાલો પણ સબમિટ કરવા કહીશું કારણ કે જો તમે જૂના પુલનું સમારકામ કરો છો અથવા હેરિટેજ સ્ટ્રક્ચરમાં જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તમે તે સામગ્રી બદલી શકતા નથી. મોરબી બ્રિજ કેસમાં તેઓએ લાકડાના પાટિયાને એલ્યુમિનિયમના પાટિયાથી બદલ્યા છે, જેના પરિણામે પુલ તૂટી પડ્યો છે. તે એક એન્જિનિયરિંગ દુર્ઘટના હતી.

કોર્ટે સૂચન કર્યું કે સંરક્ષણ આર્કિટેક્ટ અથવા ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજની મદદ લેવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.