Abtak Media Google News
  • સગી બહેનના નણદોઈ સાથે પ્રેમ સંબંધ હોવાથી પરિજનોએ જ ઓશિકાથી ડૂમો દઈ પતાવી દીધાનો ખુલાસો

વાંકાનેરના દિઘલીયા ગામે પ્રેમ સંબંધમાં પરિવારનો માળો વિખાઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં 16 વર્ષીય સગીરાને તેની સગી બહેનના નણદોઈ સાથે પ્રેમ સંબંધ હોય તે મામલે માતા-પિતા દ્વારા અનેકવાર સમજણ આપ્યા બાદ પણ પ્રેમ સંબંધ ચાલુ રાખતા માતા-પિતા અને બહેને જ ગળાટુંપો દઈ પતાવી દીધાનો ખુલાસો થવા પામ્યો છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે માતા-પિતા અને બહેનને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે બનેલા એક ચોંકાવનારા બનાવમાં માતા–પિતા અને બહેને સાથે મળી પ્રેમાંધ બનેલી સગીર વયની દીકરીને ભરઊંઘમાં જ બેરહમીથી મોઢા ઉપર ઓશીકાથી ડૂમો દઈ હત્યા કરી નાખ્યા બાદ જાણે કઈ જ બન્યું ન હોય તેમ દીકરીને હાર્ટએટેક આવ્યાનું જાહેર કર્યું હતું. જો કે મૃતકના કૌટુંબિક સગાને બનાવ શંકાસ્પદ લાગતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મૃતક સગીરાને માતપિતાએ તેના બામણબોર ખાતે રહેતા પ્રેમી સાથે ફોનમાં વાત કરવાની ના પાડી હોવા છતાં દીકરી વાત કરતી હોવાથી માતાપિતાએ અને દીકરીએ મળી સગીરાની હત્યા કર્યાનું ખુલતા હાલમાં પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે રહેતા મહેશભાઇ રવીરામભાઇ ગોંડલીયાની પુત્રી રીંકલ મહેશભાઇ ઉ.વ.16નું તા.26ના રોજ મૃત્યુ થતા ઘરમાં રડવાનો અવાજ આવતા પાડોશમાં જ રહેતા તેમના કૌટુંબિક ભાઈ દિનેશભાઇ ગૌરીદાસ ગોંડલીયા અને તેમનો પરિવાર મહેશભાઈના ઘેર દોડી જતા મહેશભાઈએ રિંકલનું રાત્રે હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જણાવ્યું હતું. જો કે,મહેશભાઈના કૌટુંબિક સગા દિનેશભાઇને રિંકલના ગળા ઉપર ઇજાના નિશાન દેખાતા ગામના સરપંચ અને અન્ય આગેવાનોને જાણ કરી મૃતક રિંકલનો મૃતદેહ વાંકાનેર ખસેડી પોલીસને જાણ કરતા પોલીસે રિંકલના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ખસેડ્યો હતો.

બીજી તરફ પોલીસ આવવાની સાથે જ રિંકલના પિતા ભાંગી પડ્યા હતા અને દિનેશભાઇ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ વર્ણવી મહેશભાઈએ સ્વીકાર્યું હતું કે, અમારાથી ભૂલ થઇ ગઈ છે અને અમે જ અમારી પુત્રીને મારી નાખી છે. આ મામલે મૃતક રિંકલના કૌટુંબિક સગા એવા દિનેશભાઇ ગૌરીદાસભાઈ ગોંડલિયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં રિંકલના પિતા મહેશભાઈ રવિરામભાઇ ગોંડલીયા, માતા સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને બહેન હિરલ વિરુદ્ધ હત્યા કરવા મામલે ગુન્હો નોંધાવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રિંકલ ઉ.16 વાળીને તેની મોટીબહેનના નણદોઈ રાહુલ મુકેશભાઈ કાપડી રહે.બામણબોર વાળા સાથે પ્રેમ સંબંધ હોય જેથી માતા, પિતા અને બહેને સમજાવવા છતાં રિંકલ માનતી ન હોય અને ફોનમાં રાહુલ સાથે વાતચીત કરતી હોવાની સાથે માતાપિતાને અને બહેનને કહ્યું હતું કે, તમારે મને મારી નાખવી હોય તો મારી નાખો હું તો વાત કરીશ, જેથી મૃતકના માતાપિતા અને બહેને રિંકલ સુઈ ગયા બાદ હાથ, પગ પકડી રાખી મોઢા ઉપર ઓશીકાનો ડૂમો દઈ ત્રણેય જણે સાથે મળી મોતને ઘાટ ઉતારી કોઈને શંકા ન જાય તે માટે હાર્ટએટેક આવ્યાનું રટણ ચાલુ રાખ્યું હતું. જો કે સમગ્ર મામલે મૃતકના કૌટુંબિક સગાને શંકા જતા ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે અને હાલમાં રિંકલના માતા, પિતા અને બહેન વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુન્હો દાખલ કરી ત્રણેયને સકંજામાં લીધા છે.

સગીરા સાથે પ્રેમ સંબંધના લીધે પ્રેમીના છુટાછેડા થઇ ગયેલા?!!!

મળતી માહિતી મુજબ સગીરાને રાહુલ સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમી રાહુલ સગીરાની સગી બહેનનો નણદોઈ થતો હતો. છેલ્લા આઠેક માસથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય અને તે બાબતની જાણ પ્રેમીની પત્નીને થઇ જતાં બંનએ આશરે બે મહિના પૂર્વે છુટાછેડા લઇ લીધાનું જાણવા મળી રહ્યું છે. એક અહેવાલ અનુસાર નણંદના છુટાછેડા બાદ પોતાના છૂટાછેડા ન થઇ જાય તેવી બીકના લીધે બહેને માતા-પિતા સાથે મળી હત્યા નીપજાવી દીધાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં હત્યા થયાનું સામે આવતા ભેદ ઉકેલાયો

મૃતકના પરિજનોએ હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યું હતું પણ ગ્રામજનો અને પોલીસને શંકા જતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેમાં હાર્ટ એટેકથી નહિ પણ ગળાટુંપો દઈને સગીરાને પતાવી દેવામાં આવી હોય તેવું સામે આવ્યું હતું. દરમિયાન હત્યારા પિતાએ કૌટુંબિક ભાઈ સામે પોતાનો ગુન્હો કબૂલ કરી લેતા ઘટનાનો ભેદ ઉકેલાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.