Abtak Media Google News

કેન્દ્ર સરકાર દ્વારા હિટ ઓફ રનના કાયદામાં સજા અને દંડની રકળમાં તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. આ નવા કાયદાની અમલવારી પૂર્વ જ દેશભરમાં ટ્રક ડ્રાયવરોમાં ભારે વિરોધ વંટોળ ફાટી નિકળ્યો છે. ગત શનિવારથી ટ્રક ડ્રાયવરો દ્વારા રાજ્યમાં દેખાયો શરૂ કરવામાં આવ્યો છે. નવા કાયદાની અમલવારી પૂર્વ પૂન:વિચાર કરવા આગામી 4 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. દરમિયાન પાંચ જાન્યુઆરીથી અચોક્કસ મુદ્તની હડતાલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બીજી તરફ ગઇકાલથી અનેક વિસ્તારોમાં ડ્રાયવરો હડતાલ પર ઉતરી ગયા છે. જેના કારણે રાજકોટ અને ગોંડલ સહિતના યાર્ડમાં જણસીની આવક બંધ કરી દેવામાં આવી છે.

નવા હીટ ઓફ રનના કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાયવરોએ ગુરૂવાર સુધી આપ્યુ છે અલ્ટીમેટમ શુક્રવારથી અચોક્કસ મુદ્તની હડતાલની તૈયારી

અનેક રાજ્યોમાં ટ્રક ડ્રાયવરો હડતાલ પર ઉતરી જતા માલની અછત સર્જાવા લાગી: યાર્ડમાં પણ જણસી ન લાવવા ખેડૂતોને જાણ કરી દેવાય

ટ્રક ડ્રાયવરોની હડતાલથી આગામી દિવસોમાં ખાનાખરાબી સર્જાવાની દહેશત પણ ઉભી થવા પામી છે.

કેન્દ્ર સરકાર દ્વારા હિટ ઓફ રનના કાયદામાં આકરી જોગવાઇઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. અકસ્માત સર્જી ભાગી જનારા ડ્રાયવરોને વધુ સજાની જોગવાઇ કરવામાં આવી છે. અગાઉ બે વર્ષની સજા અને 1 લાખની દંડની જોગવાઇ હતી. તેમાં વધારો કરી 10 વર્ષ સુધીની સજા અને 5 થી 7 લાખ રૂપીયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે. નવા કાયદાના વિરોધમાં ગત શનિવાર અને રવિવારે ટ્રક ડ્રાયવરો દ્વારા રાજ્યભરમાં દેખાવો કરવામાં આવ્યો હતો.

દરમિયાન આગામી 4 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને પાંચ જાન્યુઆરીથી અચોક્કસ મુદ્તની હડતાલ પર ઉતરી જવાની ચિમકી ટ્રક ડ્રાયવરો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ પૂર્વ ગઇકાલથી અનેક રાજ્યોમાં ટ્રક ડ્રાયવરો હડતાલ પર ઉતરી ગયા છે. જેના કારણે સ્થિતિ વણસી છે. મધ્યપ્રદેશમાં અનેક પેટ્રોલ પંપ પર ઇંધણનો જથ્થો ખૂંટવા લાગ્યો છે. બીજી તરફ ટ્રક ડ્રાયવરોની હડતાલના કારણે શાકભાજીની નિકાસ અટકી જવાના કારણે ભાવમાં પણ 50 થી 60 ટકા જેટલો ઘટાડો થવા પામ્યો છે.

મધ્યપ્રદેશમાં પાર્સલ બુકીંગ એસોસિએશન દ્વારા એવી જાહેરાત કરી દેવામાં આવી છે કે આજે બુકીંગનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી બુકીંગ પણ બંધ કરી દેવામાં આવશે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલથી મગફળી, કપાસ, સુકા મરચા અને શિંગફાડાની આવક ટ્રક ડ્રાયવરોની હડતાલના પગલે બંધ કરી દેવામાં આવી છે. હાલ પ્લેટફોર્મમાં જે માલ ઉતરે છે અને હરાજી બાદ સીધો ગોડાઉનમાં રાખી દેવામાં આવી છે તે માલનો સ્વીકારવામાં આવે છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં પણ સુકા મરચાની આવક ડ્રાયવરોની હડતાલના પગલે બંધ કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

રાજકોટના જલારામ ટ્રાન્સપોર્ટના હસુભાઇ ભગદેવના જણાવ્યાનુસાર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાલનું કોઇ જ એલાન આપવામાં આવ્યું નથી. પરંતુ ડ્રાયવરોની હડતાલના પગલે અમારે તેઓની સાથે જોડાવુ જ પડે છે. કારણ કે ડ્રાયવર કામે ન આવે તો માલની ડિલિવરી શક્ય નથી. હિટ ઓફ રનના કાયદામાં કરવામાં આવેલા ફેરફાર અંગે ડ્રાયવરોને માહિતગાર કરવા માટે આગામી પાંચમી જાન્યુઆરીના રોજ એક જાગૃત્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

અકસ્માત સર્જાયા બાદ ઘણીવાર એવુ બને છે કે લોકોનું ટોળું ડ્રાયવરને ઢોરમાર મારે છે. જેના કારણે તેનો જીવ પણ જોખમમાં મૂકાય જાય છે. આવામાં અકસ્માત બાદ ડ્રાયવર ભાગી જાય છે. નવી જોગવાઇમાં અકસ્માત સર્જાયા વગર ડ્રાયવર ભાગે તો તેને વધુ સજાની જોગવાઇ રાખવામાં આવી છે. જે ખરેખર અયોગ્ય છે. નવા કાયદાની અમલવારી પૂર્વ કેન્દ્ર સરકારે પુન:વિચાર કરવાની આવશ્યકતા છે. જો આગામી શુક્રવારથી ટ્રક ડ્રાયવરો અચોક્કસ મુદ્તની હડતાલ પર ઉતરી જશે તો ખાના ખરાબી જેવી સ્થિતિનું નિર્માણ થશે.

પેટ્રોલ-ડીઝલ કોઈ અછત નહીં સર્જાય:અરવિંદભાઈ ઠક્કર

ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસિએશનમાં પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે રાજ્યની જનતાને એવી ખાતરી આપી છે કે ટ્રક ડ્રાઇવરોની હડતાલના કારણે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ કોઈ જ અછત સર્જાશે નહીં. એસોસિયેશન દ્વારા રાજ્ય સરકારની મદદથી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે તમામ પંપ પર પૂરતા પ્રમાણમાં પુરવઠો મળી રહે. બીજી તરફ ટ્રક ડ્રાઇવર એસોસીએશન દ્વારા પણ એક સર્ક્યુલેશન બહાર પડવામાં  આવ્યું છે જેમાં નવા કાયદા સંદર્ભે માહિતી આપવામાં આવી છે. હડતાલથી પેટ્રોલ કે ડીઝલની અછત નહીં સર્જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.