Abtak Media Google News

રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ને અલગ-અલગ સંસ્થાઓ/ટ્રસ્ટો દ્વારા નાના-મોટા તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળેલ હતી કે જે દરખાસ્તો ઉપર કાળજીપૂર્વક વિચારણા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ગ્રામ્ય કક્ષાના નાના-નાના દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા 37.80 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

જીપીવાયવીબીના સચિવ આર. આર. રાવલે આ માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જીપીવાયવીબીના અધિકારીઓ સાથે ગાંધીનગરમાં એક બેઠક યોજી હતી કે જેમાં મુખ્યમંત્રીએ બોર્ડની ગ્રામ્ય કક્ષાના દેવસ્થાનોના વિકાસ અંગેની દરખાસ્તોને મંજૂરી આપી હતી.

મુખ્યમંત્રી તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ વચ્ચે યોજાઈ બેઠક

વડોદરા જિલ્લાના ચાર તીર્થસ્થાનોમાં શિનોર ખાતે બરકાલ ખાતે આવેલા વ્યાસેશ્ર્વર મહાદેવ, ગઢભવાની માતાજીનું મંદિર, મહિસાગર માતાજીનું મંદિર, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મોટીબોર ખાતે ભેટડિયા ભાણ મંદિર તેમજ જેતપુરના કાગવડ ખાતે ખોડલધામ મંદિરના વિકાસ કામો થશે

મુખ્યમંત્રી દ્વારા જે દેવસ્થાનોના સર્વાંગી વિકાસ માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે, તેમાં વડોદરા જિલ્લાના 4 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂપિયા 7.45 કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના આ 4 તીર્થસ્થાનોમાં શિનોર તાલુકાના બરકાલ ખાતે આવેલ શ્રી વ્યાસેશ્વર મહાદેવ, ડભોઈ ખાતે આવેલ  ગઢભવાની માતાજી મંદિર, રાયપુર મુકામે આવેલ શ્રી ભાથીજી મંદિર અને પાદરા તાલુકાના ડબકા ખાતે આવેલ શ્રી મહીસાગર માતા મંદિરનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે મહેસાણા જિલ્લાના 6 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂ. 15.66 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. આ તીર્થસ્થાનોમાં ઉંઝા તાલુકાના ઉપેરા ખાતે આવેલ શ્રી ઠાકોરજી મંદિર, ઉંઝાના ઉનાવા ખાતે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, શ્રી હનુમાન મંદિર તથા શ્રી શનિદેવ મંદિર, કડી ખાતે આવેલ શ્રી દશામા મંદિર અને વિસનગર તાલુકાના વાલમ ખાતે આવેલ શ્રી કૃષ્ણ મંદિરનો સમાવેશ થાય છે. બેઠકમાં અમદાવાદા જિલ્લામાં ધોળકા તાલુકાના મોટી બોરુ ખાતે આવેલ શ્રી ભેટડિયા ભાણ મંદિરના વિકાસ કામો માટે રૂ. 4.09 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.  પાટણ જિલ્લામાં સમી તાલુકાના વુરાણા મુકામે આવેલ શ્રી ખોડિયાર માતા મંદિર તથા તળાવ બ્યુટીફિકેશનના કામો માટે રૂપિયા 4.48 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના કાગવડ ખાતે આવેલ શ્રી ખોડલધામ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 1.64 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.  અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના મેઢાસણ ખાતે આવેલ શ્રી રિધ્ધિ-સિધ્ધિ ગણપતિ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 1.30 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં ચંદ્રાસણ ખાતે આવેલ રાજ્ય સરકાર હસ્તકના શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 47.57 લાખની સૈદ્ધાંતિક મંજુરી અને પાટણ જિલ્લાના ભુતિયાવાસણા ખાતે આવેલ શ્રી ભુતેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 2.70 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. રાવલે જણાવ્યું કે ગ્રામ્ય કક્ષાના વિશાળ સમુદાયોના આસ્થાના કેન્દ્રો એવા દેવસ્થાનોના વિકાસ માટે મુખ્યમંત્રીની મંજુરી મળતા ધર્મપ્રેમી જનતા આનંદ, ઉલ્લાસ અને આભારની લાગણી વ્યક્ત કરી રહી છે અને મોટા યાત્રાધામોની સાથે નાના-નાના દેવસ્થાનોના વિકાસની સરકારની નીતિ ખાસ કરીને ગ્રામ્ય સમાજમાં પ્રસંસાને પાત્ર બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.