Abtak Media Google News

જનસંઘ (ભાજપ)ના સ્થાપકને રાજુભાઇ ધ્રુવ  ની ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ

જનસંઘ (આજના ભાજપ)ના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિન નિમિત્તે તેઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવતાં ભાજપ પ્રવક્તા  શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, ડો. શ્યામાપ્રસાદ મુખરજી એક પ્રખર શિક્ષણવિદ્દ, નિર્ભય રાષ્ટ્રનાયક , સ્પષ્ટ વક્તા અને ખરા અર્થમાં ભારતમાતાના સપૂત હતા. દેશના આંગળીના વેઢે ગણી શકાય એટલા સક્ષમ, બાહોશ અને મહાન વિચક્ષણ નેતાઓમાંના તેઓ એક હતા. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને પશ્ચિમ બંગાળને ભારતમાં જોડી રાખવા માટે તેઓએ અમુલ્ય યોગદાન આપ્યું હતું એટલું જ નહીં, પાકિસ્તાનમાં હિન્દુ નરસંહારના મુદ્દે જવાહરલાલ નહેરુ સાથે ગંભીર મતભેદ થતાં તેમણે કેન્દ્રના મંત્રીપદને ઠોકર મારી દીધી હતી અને આર.એસ.એસ ના દ્વિતીય સરસંઘચાલક પરમ આદરણીય ગુરુજી(માધવરાવ સદાશિવરાવ ગોળવાલકરજી)ના સાથ-સહકાર થી જનસંઘની સ્થાપના કરી હતી. ભારત ની લોકશાહી ના પિતા એવા મહાન  સરદાર પટેલ ની વિદાય બાદ નોંધારા થયેલા  જમ્મુ-કાશ્મીરના હિંદુઓ-પંડિતો પરના અમાનુષી અત્યાચાર અટકાવવાના  મુદ્દે તથા જવાહરલાલ નહેરુ ની હિન્દૂ હિત વિરોધી નીતિ ને રોકવા  ડો. મુખરજીએ આપેલું બલિદાન એળે નહીં જાય.

વધુ  માં શ્રી ધ્રુવે જણાવ્યું છે કે, ડો. મુખરજી૩૩ વર્ષ ની ઉંમરે અંગ્રેજો ના શાસન માં પણ પોતા ની મેધાવી તેજસ્વીતા ના કારણે કુલપતિ બન્યા હતા અને  શિક્ષણક્ષેત્રે અનન્ય પ્રદાન કરી રહ્યા હતા પરંતુ, પોતાની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાવું જરૂરી લાગતાં ધારાસભાની ચૂંટણી લડ્યા અને રાજકારણમાં સક્રિય બન્યા. મુસ્લિમ લીગની મનમાની પરત્વે કોંગ્રેસની બેફિકરાઈ, ખુશામતખોરી અને પક્ષપાતી વલણ અને હિન્દૂ વિરોધી માનસિકતા પસંદ ના આવતાં ધારાસભ્યપદેથી રાજીનામું આપી ફરી ચૂંટણી લડ્યા અને ચૂંટાઈ આવ્યા પછી ડો. મુખરજી એક નવા જ અભિગમ સાથે રાજનીતિમાં પ્રવેશ્યા. નહેરુ અને કોંગ્રેસ સરકાર ની હિન્દૂ વિરોધી અને મુસ્લિમ તુષ્ટિકારણ ની અન્યાયકારી  નીતિ સામે ના  કડક વલણથી તેઓ વધુ લોકપ્રિય બન્યા હતા.

રાજકીય કારકિર્દીનાં ચૌદ જ વર્ષમાં ડો. મુખર્જીએ અભૂતપૂર્વ કામગીરી બજાવી હતી. રાષ્ટ્રનાયક સરદાર પટેલનાં આગ્રહ ને મન આપી કભારતનું બંધારણ ઘડવામાં પણ તેમણે સંનિષ્ઠ સહયોગ આપ્યો. સ્વતંત્ર ભારતનાં પ્રથમ પ્રધાનમંડળમાં કેબીનેટ મંત્રી તરીકે વરણી પામ્યા, અને મહાન શિક્ષણશાસ્ત્રી હોવા છતાં  શિક્ષણ મંત્રી બનાવવા ના બદલે ઉદ્યોગમંત્રી બનાવવા છતાં પદને અનુરૂપ સફળ કામગીરી પણ કરી. પરંતુ, એ સમયગાળામાં પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓનાં નરસંહારનાં મુદ્દે વડાપ્રધાન નહેરુ સાથે ગંભીર મતભેદ થતાં શ્યામાપ્રસાદજીએ મંત્રીપદ ઠુકરાવી દીધું હતું. એ પછી આરએસએસના સરસંઘસંચાલક પરમ પૂજ્ય શ્રી ગુરુજી ની પ્રેરણાથી ડો. મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી, જેના ફળસ્વરૂપ આજનો ભારતીય જનતા પક્ષ અસ્તિત્વમાં આવ્યો.

આ પહેલાં પણ, પાકિસ્તાને જવાહરલાલ નહેરુ ને સમજાવી ને સંપૂર્ણ    પંજાબ અને બંગાળ ને હડપી લેવા કારેલ ષડયંત્ર ને નિષ્ફળ બનાવી  અર્ધા પ્રદેશો  પુન: હાંસલ કરવામાં ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. નહેરુની પક્ષપાતી નીતિ અને અકળ ઠંડા વલણના કારણે સંપૂર્ણ કાશ્મીર ભારતના હાથમાંથી છીનવાઈ જ ગયું હોત, પરંતુ, ડો. મુખરજીના અનન્ય સાહસ તેમજ અથાક પ્રયાસોના પરિણામે, આજે કાશ્મીર ભારત નો ભાગ  છે.

સરદાર પટેલનાં અવસાન પછી નહેરુ સત્તાના મદમાં અવિચારી ,બેદરકાર અને બેફીકર,આપખુદ  બન્યા હતા. આથી કાશ્મીરનો પ્રશ્ન વણસી ગયો હતો. પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં હિંદુ પ્રજા પર અમાનુષી અત્યાચાર શરુ થઇ ગયો હતો. તે અટકાવવા ડો. શ્યામાપ્રસાદ મુખરજી કાશ્મીર ગયા, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી. ૪૦ દિવસના જેલવાસ દરમિયાન ડો. મુખરજીનું ભેદી સંજોગોમાં મૃત્યુ નીપજ્યું, અને ભારતમાતાએ એક પ્રખર રાષ્ટ્રભક્ત, અત્યંત સાહસી અને દીર્ઘદૃષ્ટા નેતા ગુમાવી દીધા.

ડો. મુખરજીના રહસ્યમય મૃત્યુ વિષે બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી તથાગત રાય, અપ્રતિમ નાયક: ડો. શ્યામાપ્રસાદ મુખરજી નામના પોતાના પુસ્તકમાં લખે છે કે, મહાન  સરદાર પટેલ ના અવસાન બાદ ડો. મુખરજી નહેરુના સૌથી મોટા પ્રતિદ્વંદ્વી બની ગયા હતા તેથી તેમનો કાંટો કાઢી નાખવામાં આવ્યો હોય તેવી વાત સત્ય માનવાનું સ્વાભાવિક છે.

ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ અને દાર્શનિક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના ઘડતરમાં ડો. શ્યામાપ્રસાદ મુખરજી મુખ્ય પ્રેરણાસ્રોત હતા; તેમણે ડો. મુખરજીના મૃત્યુને ખરી શહીદી ગણાવતાં કહ્યું હતું કે, સાર્વજનિક જીવનમાં ડો. શ્યામાપ્રસાદજી પોતાની આંતરિક પ્રતિબદ્ધતાઓને પ્રગટ કરવામાં ક્યારેય ડરતા નહોતા. ખામોશીમાં કઠોરત્તમ જુઠ્ઠાણા બોલાય છે. જયારે ખૂબ મોટી ભૂલો કરવામાં આવે છે ત્યારે ક્યારેક કોઈ સત્ય બોલશે એવી આશામાં ચુપ રહેવું એ ગંભીર અપરાધ છે એવું તેઓ સ્પષ્ટ માનનારા નેતા હતા.

ડો. શ્યામાપ્રસાદ મુખરજીનાં ભેદી મૃત્યુ માટે કોને જવાબદાર ગણવા? નહેરુના એકહથ્થુસત્તાવાદી સ્વભાવને અને સત્તાલાલસાને? ભાગલા અને કોમી વિસંવાદિતા રોકી શકવાની અસમર્થતાને કે, ડો. મુખરજીના નિર્ભીક અને સત્યને જ અનુસરવાના સિંહ સ્વભાવને? જવાબ શોધવો અઘરો થઇ પડે એમ છે પણ, નહેરુ અને ત્યારબાદ ના કોંગ્રેસી  વડાઓની બેદરકારીનાં પરિણામસ્વરૂપ ધરતીના સ્વર્ગ સમા કાશ્મીરની બરફની પહાડીઓ વચ્ચે આજે પણ કોંગ્રેસ ની ભૂલભરેલી કાશ્મીર નીતિ અને હિન્દૂ હિત વિરોધી માનસિકતા ને કારણે  ભડભડ બળતી આતંકવાદની જ્વાળાઓ નિહાળીએ છીએ ત્યારે ડો. મુખરજીની ખોટ વર્તાયા વગર રહેતી નથી. ભારતમાતાના ચરણોમાં પોતાનું સમગ્ર જીવન અપર્ણ કરી દેનારા આ મહાનત્તમ અને શ્રેષ્ઠ નરકેસરીનું જીવન લાખો લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે અને ભાવિ પેઢીઓને પણ અનન્ય પ્રેરણા આપતું રહેશે તેમ શ્રી રાજુભાઈ ધ્રુવે તેમને ભાવભીની અંજલિ આપતા  જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.