Abtak Media Google News

ગરીબોનું કલ્યાણ કરી વંચિતોનાં ઉદયની વિચારધારા ભાજપની છે :  કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા

ગીર-સોમનાથ જિલ્લામાં અંત્યોદય સેવા માટે દશ હજાર સભ્યોની ટીમની રચનાએ જિલ્લા ભાજપની સક્ષમતા છે : શ્રી ભીખુભાઇ દલસાણીયા

ભારત સરકાર દ્વારા પંડીત દીન દયાળ ઉપાધ્યાયની ૧૨૫મી જન્મજયંતિ વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લા ભાજપ અંત્યોદય સમિતિ દ્વારા માર્ચ થી મે-૨૦૧૭ સુધી જિલ્લાનાં શહેર-ગ્રામ્ય વિસ્તારમાં ૧૧૦૦ થી વધું સેવાકિય કામોનાં કાર્યક્રમો ગરીબ વર્ગનાં કલ્યાણ પંથે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોનો શુભારંભ કાર્યક્રમ ભાજપનાં વરીષ્ઠ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વેરાવળનાં કાજલી માર્કેટીંગયાર્ડ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે, પંડીત દીન દયાળ ઉપાધ્યાયે અંત્યોદય એટલે કે, છેવાડાનાં માનવીનાં ઉદયની વિચારધારા માટે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. ગીર-સોમનાથ જિલ્લાનાં ગરીબ વર્ગનાં કલ્યાણ માટે જન-ધન યોજના, મા અમૃતમ કાર્ડ, પ્રધાનમંત્રી બિમા યોજના, પ્રધાનમંત્રી જન ઔષધી ભંડાર પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના જેવી યોજનાઓનાં લાભ અપાવવા અને સેવાકિય સારવાર કેમ્પો કરવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાએ કાર્યકર્તાઓને પંડીત દીન દયાળ ઉપાધ્યાયનું જીવન ગરીબોનાં ઉત્કર્ષ માટેનું હતું. આ મહામાનવનું જીવન ચરિત્ર જાણી સમાજમાં સેવાકિય કામ કરવા અને ભાજપની સર્વ જનસમાજની સેવા અને ઉત્કર્ષ કરવાની વિચારધારા પહેલેથી રહેલી છે તે આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો. ગીર-સોમનાથ જિલ્લામાં અંત્યોદય સમિતિનાં દશ હજાર સભ્યોની વરણી કરવામાં આવી છે. આગામી ત્રણ માસ સુધી ગામે-ગામ નિદાન કેમ્પ, પશુ સારવાર, ડિઝીટલ કેશલેશ ઝુંબેશ, રાજ્ય-કેન્દ્ર સરકારની યોજનાનાં લાભ અપાવવા જેવી સેવાકિય પ્રવૃતિનાં ૧૧૦૦ જેટલા કાર્યક્રમો થશે તે અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર અને તેની ટીમને તેઓએ અભિનંદન આપ્યા હતા.

આ તકે રાજ્યમંત્રી જશાભાઇ બારડે આગામી તા. ૦૮ માર્ચનાં રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવતા હોઇ કાર્યકર્તાઓ આગેવાનોને સુરક્ષા એજન્સીઓને સહકાર આપવા હેતું સમયસર કાર્યક્રમમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરારે અંત્યોદય સમિતિ ગીર-સોમનાથ જિલ્લાની કામગીરી અને સેવાકિય કાર્યક્રમો માટે તૈયાર કરેલી કીટ અને આયોજનની રૂપરેખા આપી હતી. કાર્યક્રમનાં અંતે આભારવિધિ જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઇ પીઠીયાએ કરી હતી.

આ પ્રસંગે પ્રદેશ અગ્રણી બાબુભાઇ જેબલીયા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, સાંસદ ચુનીભાઇ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ  મણીબેન રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી, જેસીંગભાઇ, કાળાભાઇ ઝાલા, કે.સી.રાઠોડ, રાજશીભાઇ જોટવા તેમજ જિલ્લાનાં પદાધિકારીઓ પક્ષના હોદેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.