Abtak Media Google News

બીલખાના યુવાનને મોટા ભાઇની સાળી સાથે સગાઇ કરવા આચર્યુ દુષ્કર્મ: હત્યાની કોશિશનો નોંધાતો ગુનો: સામાજીક લાંછન સમાન ઘટનાથી ખળભળાટ

જૂનાગઢ જિલ્લાના બીલખાના ગૌતમનગરની પરિણીતા પર દિયરે બળાત્કાર ગુજારી જીવતી સળગાવી હત્યાની કરેલી કોશિષની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. ભાભીની બહેન સાથે સગાઇ ન થતા દિયરે ‘તારી બહેન નહી તો તુ’ કહી દુષ્કર્મ આચર્યા બાદ તેણીનું ખૂન કરવા જીવતી સળગાવ્યાનો પોલીસમાં ગુનો નોંધાયો છે. સામાજીક લાંછન સમાન ઘટનાથી સભ્ય સમાજમાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બીલખાના ગૌતમનગરમાં રહેતી નયનાબેન અમૃતભાઇ પરમાર નામની પરિણીતાએ પોતાના દિયર મનસુખ વલ્લભ પરમારે બળાત્કાર ગુજારી કેરોસીન છાંટી જીવતી સળગાવતા ગંભીર રીતે દાઝી ગયાની પોલીસમાં ફરિયાદનોંધાવી છે. નયનાબેન મુળ અમરેલીના સણસરા ગામની વતની છે તેણીના પાંચેક વર્ષ પહેલાં બીલખાના ગૌતમનગરના અમૃત વલ્લભભાઇ પરમાર સાથે લગ્ન થયા છે. તેણીને ત્રણ વર્ષનો પુત્ર છે.

એકાદ માસ પહેલાં દિયર મનસુખ વલ્લભ પરમારે પોતાની ભાભી નયનાબેનને તેણીની નાની બહેન સરોજ સાથે સગાઇ કરાવી દેવા અંગે વાત ચીત કરવા જણાવ્યું હતું. ભાભી નયનાબેન પોતાના પિતાને વાત કરશે તેમ કહ્યું હતું ત્યારે વિકૃત માનસના દિયર મનસુખ પરમારે ‘તારી બહેન નહી તો તુ’ કહી એકાદ માસ પહેલાં માતા સમાન ભાભીને હવસનો શિકાર બનાવી બળજબરીથી બળાત્કાર ગુજારી વાસના સંતોષી હતી. જેના કારણે દિયર અને ભાભી વચ્ચે મનદુ:ખ ચાલતું હોવાથી ગઇકાલે રોષે ભરાયેલા મનસુખ પરમારે પોતાની ભાભી નયનાબેનના શરીરે કેરોસીન છાંટી લાઇટરથી આગ ચાપી દેતા નયનાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝેલા નયનાબેનને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ તેણીએ પોતાના દિયર મનસુખ પરમારે બળાત્કાર ગુજાર્યા બાદ જીવતી સળગાવ્યાના ચોકાવનારા કરેલા આક્ષેપ અંગે પી.એસ.આઇ. આર.આર.ચૌહાણ સહિતના સ્ટાફે મનસુખ સામે બળાત્કાર અને હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માતા સમાન ભાભીને વાસનાંધ બનેલા દિયર મનસુખ પરમારે બળાત્કાર ગુજારી કરેલી હત્યાની કોશિષથી સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. પોલીસે કામાંધ દિયર મનસુખ પરમારની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.