Abtak Media Google News

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 80000 સ્વંયસેવકોની સૈનાની બેજોડ ધર્મસેવાને બીરદાવાઇ

અમદાવાદમાં આગામી 30 દિવસ સુધી સમગ્ર વિશ્વને પ્રમુખસ્વામી મહારાજનાં વૈશ્વિક કાર્ય અને મૂલ્યોની પ્રેરણા સમગ્ર વિશ્વમાં જ્યાંથી પ્રસારિત થવાની છે તેવા પ્રમુખસ્વામી નગરમાં સંસ્થાના કરોડરજ્જુ સમાન  સ્વયંસેવકોની વિશિષ્ટ સભાનું આયોજન થયું હતું.

શતાબ્દી મહોત્સવનના ઉદ્ઘાટન સમારોહને માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે સ્વયંસેવકોની આ વિરાટ સભાને સંબોધીને સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રત્યક્ષ આશીર્વચન વરસાવ્યા હતા. સાંજે 5 વાગ્યે આ સભાનો આરંભ થયો હતો. આ સભાકાર્યક્રમમાં ‘શિસ્ત’, ‘શૈલી’ અને ‘સંપ’ – આ ત્રણેય ગુણો કેળવીને સ્વયંસેવકોએ કેવી રીતે આદર્શ સેવક બનવાનું છે તેની વિવિધ રોચક, પ્રેરણાત્મક પ્રસ્તુતિઓ દ્વારા દૃઢતા કરાવવામાં આવી હતી.   પૂ. ત્યાગવલ્લભ સ્વામી અને બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય ક્ધવીનર એવા પૂ. ઈશ્વરચરણ  સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના જીવનમાંથી કેવી ઉત્તમ રીતે સેવાકાર્ય કરવાનું છે તેની સમજણ દૃઢ કરાવી હતી. કાર્યક્રમના અંતમાં આ મહોત્સવના પ્રેરણામૂર્તિ અને જેમણે સતત માર્ગદર્શન અને પ્રેરણાવચનો દ્વારા સંતો – સ્વયંસેવકોને આ મહોત્સવમાં યાહોમ કરવાની હાકલ કરી એવા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામીએ પોતાનું સમગ્ર જીવન અન્યોને કાજે સમર્પિત કરી દીધું. તેમનું ઋણ ક્યારેય ચૂકવી શકાય તેમ નથી.

આ મહોત્સવ તેમનું યથાશક્તિ ઋણ ચૂકવવાનો અવસર છે. સ્વયંસેવકોની તનતોડ, નિ:સ્વાર્થ સેવાને તેમણે હ્રદયપૂર્વક વધાવી હતી.  ઉલ્લેખનીય છે કે અહી સેવારત હજારો સ્વયંસેવકોમાં, કોઈ ઉદ્યોગપતિ છે, તો કોઈ સરકારી પદાધિકારીઓ છે, કોઈ સામાજિક પ્રતિષ્ઠિત અગ્રણી છે, તો કોઈક સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે, કોઈક સ્વાસ્થ્યની મુશ્કેલીજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તો કોઈક સામાજિક પ્રસંગોના આયોજનો વિચારી રહ્યા હતા,  પરંતુ પોતાના પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આ ઉત્સવમાં સ્વયંસેવકોએ ધંધા-વ્યવસાય, કોઈક સામાજિક પ્રસંગો ઠેલીને તો કોઈક પોતાની નોકરીમાંથી રજા લઈને સેવામાં જોડાયા છે. આબાલ -વૃદ્ધ- સ્ત્રી- પુરુષ સૌ કોઈ અહી સાચા ભાવથી સમર્પિત થયાં છે.

શતાબ્દી મહોત્સવના સમગ્ર આયોજનમાં સંતો અને સ્વયંસેવકો દ્વારા દરેક વિભાગની  સેવાનું ઉંડુ આયોજન, શિસ્ત અને સેવા સમર્પણની ભાવનાઓ સૌને નતમસ્તક કરી દે તેવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.