Abtak Media Google News

તા.૨૦ ડિસેમ્બરે કાંદિવલી ઉપાશ્રય ખાતે પારણા

મુંબઈનાં ઉપનગર કાંદિવલીમાં બિરાજમાન ૫૪ વર્ષના જૈનાચાર્ય પરમ પૂજ્ય વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજા છેલ્લા ૧૫૦ દિવસથી ઉપવાસની કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે. કુલ ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરવા પાછળ તેમનો સંકલ્પ સમગ્ર જગતના જીવોને કોરોનાની અને લોકડાઉનની પીડામાંથી મુક્ત કરવાનો છે.

કોરોનાને કારણે ધર્મસ્થાનો પણ લોકડાઉનની ઝપટમાં આવી ગયાં તેને કારણે લોકોની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચી છે. આ ધાર્મિક ભાવના ફરીથી પ્રબળ બને તેવી શુભ ભાવના સાથે જૈનાચાર્ય ૧૮૦ ઉપવાસની સાધના કરી રહ્યા છે.  તા.૨૦ ડિસેમ્બરે આચાર્ય ભગવંત ૧૮૦ ઉપવાસનું પારણું કરશે ત્યારે ચોથી વખત ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરનારા તેઓ જગતના પ્રથમ તપસ્વી બનશે.

માત્ર ૧૩ વર્ષની કુમળી વયે દીક્ષા અંગીકાર કરીને જૈન સાધુ બનનારા આચાર્ય વિજયહંસરત્નસૂરીશ્વરજી માટે ઉગ્ર તપશ્ચર્યા કરવાની કોઈ નવાઈ નથી. તેમના ગુરુ આચાર્ય વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પણ ઉગ્ર તપસ્વી હતા. તેમણે પોતાના જીવનમાં  વર્દ્ધમાન તપની ૧૦૮ ઓળીની ઉગ્ર સાધના પૂર્ણ કરી હતી.

વર્ષો અગાઉ ૧૪ વર્ષના બાળમુનિ ‚પાતીતવિજયજી મહારાજના ૩૦ દિવસના ઉપવાસ જોઈને તેમને માસક્ષમણ કરવાની પ્રેરણા થઈ હતી. આચાર્ય વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજા અગાઉ પણ ૮,૧૬, ૩૦, ૬૮, ૭૭, ૯૧, ૯૫, ૧૦૮, ૧૨૨, ૧૨૩ અને ત્રણ વખત ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરી ચૂક્યા છે. લોકડાઉન દરમિયાન તેઓ સુપ્રસિદ્ધ પદ્મભૂષણ જૈનાચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ભાયખલા ખાતે જૈન ઉપાશ્રયમાં બિરાજમાન હતા. ત્યાં તેમણે ૯૫ ઉપવાસની કઠોર તપશ્ચર્યા કરી હતી. ૯૫ ઉપવાસનું પારણું કરતી વખતે જ તેમણે ૧૮૦ ઉપવાસ કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.

વર્તમાન ચાતુર્માસ દરમિયાન સ્વ. આચાર્ય વિજયભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા બોરીવલીમાં મંડપેશ્વર રોડ ખાતે બિરાજમાન છે તો આચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજા બોરીવલી ગીતાંજલિ નગર ખાતે બિરાજમાન છે.

વર્દ્ધમાન તપોનિધિ આચાર્ય વિજયવરબોધિસૂરીશ્વરજી મહારાજા બોરીવલીના રોયલ કોમ્પલેક્સમાં બિરાજમાન છે તો આચાર્ય વિજયહંસ રત્નસૂરીશ્વરજી મહારાજા કાંદિવલીમાં બિરાજમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.