Abtak Media Google News

વેરા વધારો પાછો ખેંચવાના વિપક્ષના ભારે હોબાળા વચ્ચે બજેટને બહાલી અપાઈ

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું રૂ. 1080 કરોડનું બજેટ બહુમતીથી સાધારણ સભામાં મંજુર કરી દેવામાં આવ્યું છે. એકતરફ બજેટમાં અનેક નવી માળખાગત સુવિધાઓમાં વધારો કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે ત્યાં બીજી બાજુ પ્રજાજનો પર પાણી સહિતના વેરા મામલે રૂ. 23.50 કરોડનો મવો કરબોજો પણ લાદવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી નાં  અધ્યક્ષ સ્થાને આજે યોજાયેલ બજેટ બેઠકમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારીયા એ રૂ. 1080.04 કરોડ ના ખર્ચનું અંદાજપત્ર ગૃહમાં મેયર સમક્ષ રજુ કર્યું હતું. જેના ઉપર ચર્ચા થવા પામી હતી.આ સાથે વિપક્ષ નાં નગર સેવક નાં જાતિવાદી શબ્દ પ્રયોગ ના કારણે ભારે હોબાળો થયો હતો.

જામનગર મહાનગર 5ાલિકાની સામાન્ય સભા આજે મેયર ના અધ્યક્ષસ્થાને ટાઉનહોલમાં મળી હતી. જેમાં ડેપ્યુટી મેયર તપન પરમાર, કમિશનર વિજયકુમાર ખરાડી, ઈન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી. કમિશનર કોમલબેન પટેલ ઉપરાંત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.

સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારીયાએ વર્ષ 2023-24નું રૃા. 1080 કરોડનું અંદાજપત્ર મેયરને સુપ્રત કર્યું હતું. જેમાં ઉઘડતી પુરાંત રૃા. 272.52 કરોડ, વર્ષ દરમ્યાન આવક રૃા. 975.67 કરોડ મળી કુલ આવક રૃા. 1248.19 કરોડ, વર્ષ દરમ્યાન ખર્ચ 1080.04 કરોડ અને વર્ષાન્તે બંધ પુરાંત રૃા. 168.15 કરોડ દર્શાવાઈ છે.

મ્યુનિ. કમિશનરે રૃા. પ3 કરોડનો કરવેરો વધારો સૂચવ્યો હતો જેમાં સ્ટેન્ડીંગ કમિટીએ કાપ મૂકીને રૃા. ર3 કરોડ પ0 લાખનો વધારો માન્ય રાખ્યો હતો. પાણી વેરામાં હાલ રૃા. 11પ0 છે તેના બદલે રૃા. 1300 સૂચવ્યો છે.  આ ઉપરાંત મિલકત વેરા તેમજ સ્ટ્રીટ લાઈટ વેરો, એન્વાયરમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. બાકી લેણાની વસૂલાત માટે મહાનગરપાલિકા દ્વારા વ્યાજ માફી યોજના અમલમાં લાવવામાં આવી છે.

ગેરકાયદે નળ કનેક્શન રેગ્યુલાઈઝ્ડ કરવા અંગે પણ યોજના લાવવામાં આવી છે. ઉપરાંત પાણીની પાઈપલાઈન સહિતના વોટર વર્કસ શાખા હસ્તકના કામો રોડ, રસ્તાના કામો, સ્ટ્રીટલાઈટના કામો, રસ્તાના કામો, વગેરે કામો બજેટમાં સૂચવાયા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, રક્ષાબંધન અને ભાઈબીજના દિવસે મહિલાઓને સિટી બસમાં નિ:શુલ્ક મુસાફરી કરવા દેવામાં આવશે.

રંગમતિ-નાગમતિ નદીના દબાણો દૂર કરી, રીવર ફ્રન્ટ બનાવવાનું આયોજન, 1404 આવાસ યોજનાનું પીપીપી ના ધોરણે ટી-ડેવલોપનું આયોજન, ખાનગી સોસાયટી સફાઈ કામદાર દીઠ રૃા. પાંચના બદલે રૃા. 6 હજાર ચૂકવવા, હાપા યાર્ડ પાસે 16 હજાર ચો.મી. જગ્યામાં આઉટડોર સ્ટેડિયમ બનાવવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કૂલમાં અંગ્રેજી માધ્યમનો અભ્યાસ શરૂ કરવા, સમર્પણ હોસ્પિટલ પાસે ર7 હજાર ચો.મી.જગ્યામાં ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે વિક્સાવવા સહિતના વિકાસ કામો સૂચવાયા હતાં.પ્રતિ વર્ષ ની માફક આ વર્ષે પણ રીબેટ યોજના નો લોકો ને લાભ આપવામાં આવશે.

આ બજેટ અંગે ચર્ચાઓ શરૂ થતાં શાસક પક્ષના નગર સેવકો  ઓ એ આ બજેટને આવકાર્યું હતું અને કેટલાક સૂચનો પણ કર્યા હતાં.

આ પછી વિપક્ષે ચર્ચામાં ભાગ લીધો હતો. કોંગ્રેસના કોર્પોરેટર અસ્લમ ખીલજીએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, પાણી વેરો આખા વર્ષનો વસૂલ કરવામાં આવે છે, જ્યારે પાણી અડધા વર્ષ જ વિતરણ કરવામાં આવે છે. આથી દૈનિક ધોરણે પાણી વિતરણ કરવું જોઈએ.

આ ઉપરાંત અસ્લમ ખીલજીએ કહ્યું હતું કે, કરોડોની વસૂલાત બાકી રહે છે. તેના કારણમાં એવું છે કે, જેમને ઘરે નળ જોડાણ નથી તેને પણ બીલો મળ્યા છે. પરિણામે તેની પાસેથી હાઉસ ટેક્સની આવક પણ મળતી નથી. બાકી રિકવરી અંગેના તેના પ્રશ્નમાં જવાબ માં કમિશનરે કહ્યું હતું. કે , જુની રિકવરી કરવા માટે કડક ઝુંબેશ ચાલી રહી છે. આ પછી રિવર ફ્રન્ટ અન્વયે તેમણે જણાવ્યું હતું કે, આખા શહેરમાં દબાણો થયા છે, પરંતુ મહાનગરપાલિકાના માત્ર રંગમતિ-નાગમતિના દબાણો જ દેખાય છે.

અહિં  મુસ્લિમને ટાર્ગેટ કરવામાં આવે છે.  તેમના આ શબ્દો પછી તરત જ સમગ્ર બોર્ડમાં હોબાળો મચી જવા પામ્યો હતો. એક તબક્કે અધ્યક્ષે કહ્યું હતું કે તમારા શબ્દો પાછા ખેંચો અહીં નાત-જાત વિષે ચર્ચા થઈ શકે નહીં. અહીં જાતિવાદ ચાલે નહીં, આ પછી ભાજપના કોર્પોરેટરો પણ પટ માં આવ્યા હતાં અને મેયર સાથે ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતાં. આખરે લાંબી સમજાવટ પછી મામલો થાળે પડ્યો હતો. આ તકે કર દર વધારા નો અસ્લમ ખીલજી એ વિરોધ કર્યો હતો.

આ પછી વિપક્ષના આનંદ રાઠોડએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે આવાસના મકાનમાં રહેનારાઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય છે, પરંતુ જો આવાસના મકાનો પોશ વિસ્તારમાં બનાવાયા હોય તો તે મુજબ વેરો વસૂલવામાં આવે છે. તે યોગ્ય નથી. આવાસના મકાનોનો વેરાવસૂલાત માટે એલ 4 ફેક્ટરમાં સમાવેશ કરવો જોઈએ.

આ ઉપરાંત મહાનગર પાલિકા એ રેંકડી માટે સ્ટેન્ડ બનાવવા જોઈએ તેને નંબર આપવા જોઈએ. નજીવા ભાડા વસૂલવા સામે વાંધો હોઈ શકે નહીં, પરંતુ ગરીબોને ધંધો કરવા અને રોજીરોટી કમાવવા આપવી જોઈએ. આ ઉપરાંત વિપક્ષ નાં જેનબબેન ખફી, અલ્તાફ ખફી, વિપક્ષ નાં નેતા ધવલ નંદા એ પણ ચર્ચા માં ભાગ લીધો હતો.અને વેરા વધારા નો વિરોધ કરી વાધરો પરત ખેંચવા માંગ કરી હતી.આખરે તમામ ચર્ચા ના અંતે વિપક્ષ નાં વિરોધ સાથે બહુમતી થી બજેટ ને મંજૂરી આપવા માં.આવી હતી.

સ્થાનિક રહેવાસીઓને સાથે રાખીને દૈનિક પાણી આપવાની ઉગ્ર રજૂઆત: કમિશનરે મામલો થાળે પાડ્યો

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોંગી નગરસેવિકા દ્વારા આજે મહાનગરપાલિકાના ટાઉનહોલમાં મળનારી સ્ટેન્ડીગ કમિટીની મીટીંગ પહેલાં ધરણાં યોજ્યા હતા, અને ટાઉનહોલના દ્વારે સ્થાનિક રહેવાસી મહિલાઓને સાથે રાખીને ધરણા યોજ્યા હતા. સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળે તે પહેલાં કમિશનર પ્રવેશ્યા ત્યારે કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા સ્થાનિક પ્રશ્નોને લઈને મ્યુનિ. કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનરે હૈયાધારણા આપતાં આખરે મામલો થાળે પાડ્યો હતો, અને રચનાબેન નંદાણીયા એ ધરણા પૂર્ણ કર્યા હતા. પોતાના વિસ્તારમાં દૈનિક પાણી મળે તે ઉપરાંત સ્વચ્છ પાણી મળે તેમ જ સફાઈ થાય વગેરે પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી, અને સ્થાનિક મહિલાઓને સાથે રાખીને ધરણા કર્યા હતા.

પ્રજા પર રૂ. 23.50 કરોડનો વધારાનો કરબોજો મંજુર !!

આજે મ્યુ.ટાઉનહોલ ખાતે બજેટ બેઠક મળી હતી જેમા સામાન્ય સભામા સ્ટે.ચેરમેન મનિષભાઇ કટારીયાએ કમિશ્નર દ્વારા સૂચવાયેલા રૂ. 53 કરોડના કરદર વધારાની દરખાસ્ત પૈકી નવા ત્રણ વેરા સાથે રૂ. 23 કરોડનો વેરા વધારો મંજૂર કરવામાં આવ્યો હતો. આજની સામાન્ય સભામા વિપક્ષના પૂર્વ નેતા અને વોર્ડ નં.12ના કોર્પોરેટર અસલમ ખીલજીએ નદીના દબાણના નામે માત્ર મુસ્લિમોને જ ટાર્ગેટ કરી દબાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરતા સામાન્ય સભામા ભારે હોબાળો મચી ગયો હતો.

સામાન્યપણે વિપક્ષી સભ્યો હોબાળો બોલાવે છે તેના બદલે શાસક પક્ષના સભ્યોએ ખીલજીના આ નિવેદનને બિન સંસદીય અને કોમવાદી ગણાવી હોબાળો મચાવી ભારે વિરોધ કરતા સભા અધ્યક્ષ મેયર બીનાબેન કોઠારીએ અસલમ ખીલજીને આ નિવેદન અંગે માફી માગવા જણાવતા અસલમ ખીલજીએ માફી માગવાનો ઇનકાર કરી દેકારો કરતાં તેની સાથે રચનાબેન નંદાણીયા જેનબબેન ખફી સહિતના અન્ય સભ્યો પણ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.