Abtak Media Google News

જિલ્લામાં 721 કેસ: 95 દર્દીઓએ અંતિમ શ્ર્વાસ લીધા,
એક જ દિવસમાં 615 દર્દી ડિસ્ચાર્જ અપાયું

જામનગરમાં વધુ એક વખત કોરોનાના રેકર્ડ બ્રેક 721 કેસ નોંધાયા છે. 95 દર્દીએ અંતિમ શ્વાસ લીધા છે. જો કે, રીકવરી રેટ વધતા એક જ દિવસમાં 615 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 24 કલાકમાં શહેરમાં 407 અને જિલ્લામાં 314 લોકો સંક્રમિત થયા છે. જામનગરમાં કોરોના મહામારી કાળો કેર વર્તાવી રહી છે. જેના કારણે પોઝિટિવ કેસ ઘટવાનું નામ લેતા નથી. આ સ્થિતિમાં બુધવારે વધુ એક વખત રેકર્ડબ્રેક 721 કેસ નોંધાયા હતાં. 24 કલાકમાં શહેરમાં 407 અને જિલ્લામાં 314 લોકો મહામારીની ઝપટમાં આવ્યા હતાં. જયારે જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં મંગળવારે રાત્રીથી બુધવારે સાંજ સુધીમાં 95 દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતાં. જો કે, કોરોનાગ્રસ્ત દર્દીઓનો રીકવરી રેટ વધતા બુધવારે એક જ દિવસમાં 615 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા હતાં.

જેમાં શહેરના 353 અને જિલ્લાના 262 દર્દીનો સમાવેશ થાય છે.લાંબા સમય બાદ રિકવરી રેટ વધતા એક સાથે એક દિવસમાં 615 દર્દી ડિસ્ચાર્જ થયા હતાં. જામનગરમાં રાત્રી કર્ફયુ હોવા છતાં કોરોનાના કેસ વધી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, રેકર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજય સરકારે બુધવારથી વેપાર-ધંધા બંદ રાખવા લાદેલા કડક નિયંત્રણો કોરોનાની ચેઇન તોડવામાં કેટલા અંશે સફળ રહેશે તે જોવાનું રહ્યું. બીજી બાજુ બુધવારે શહેરમાં 9 અને જિલ્લામાં 8 દર્દીના કોરોનાના કારણે મૃત્યુ નિપજયાનું તંત્રના ચોપડે નોંધાયું હતું. કોરોના સંક્રમણ વધતા મંગળવારે રાજ્ય સરકોર લાદેલા કડક નિયંત્રણોનો બુધવારથી અમલ થતાં જામનગર શહેરમાં મુખ્ય બજારો, શોપીંગ કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસો સજ્જડ બંધ રહ્યા હતાં, જોકે, મેડિકલ, અનાજ કરિયાણુ સહિતની આવશ્યક સેવા ચાલુ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.