Abtak Media Google News

યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળતાં જમીન સંપાદન માટે પાલનપુરમાં કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવા માટે તારંગા હિલ- અંબાજી- આબુરોડ નવી રેલ્વે પરિયોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આ સુચિત ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલ્વે પરિયોજનાથી તારંગા હિલ, અંબાજી શક્તિપીઠ અને આબુરોડ સુધી રેલ કનેક્ટિવિટી મળશે. અંદાજે રૂ. ૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે સાકાર થનારી આ રેલ્વે પરિયોજના ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે.

Whatsapp Image 2022 07 17 At 12.56.39 Pm 1

અંબાજી તીર્થસ્થળના વિકાસ માટે ભારત સરકારની ‘પ્રસાદ’ યોજનામાં કરાયો સમાવેશ

યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળ્યા બાદ જમીન સંપાદનની કામગીરી માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને રેલ્વે, વન વિભાગ, મહેસૂલ, માર્ગ અને મકાન, પંચાયત અને જી.એમ.ડી.સી.ના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ મુજબ તમામ વિભાગો એકબીજાના સંકલનમાં રહી જમીન સંપાદનની કામગીરી સમયસર પૂર્ણ કરી અંબાજીને રેલ સેવાથી જોડવામાં આવશે. ૫૧ શક્તિપીઠમાંના એક એવા અંબાજી તીર્થસ્થળના વિકાસ માટે ભારત સરકારની ‘પ્રસાદ’ યોજનામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં અંબાજી તીર્થ ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા અને લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નો શુભારંભ કરાવ્યો છે. આ રેલ પરિયોજના પૂર્ણ થતા દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે આવનારા વર્ષોમાં આદ્યશક્તિ ધામ અંબાજી પહોચવું વધુ સરળ અને સુગમ બનશે તથા તીર્થયાત્રા પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, પ્રાંત અધિકારી સુશીલ પરમાર, વન વિભાગ, રેલ્વે, પંચાયત અને માર્ગ તથા મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.