Abtak Media Google News

રૂ.5માં ભોજન શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ

માં અન્નપૂર્ણાએ ભગવાન શંકરને અન્ન તૃપ્તિ કરાવેલી, તે રીતે જ રાજ્ય સરકાર દ્વારા બાંધકામ શ્રમિક પરિવારોના ભોજનની ખેવના કરી રહી હોવાનું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી  ભાનુબેન બાબરીયાએ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પુન:પ્રારંભ કરાવતા જણાવ્યું હતું.

Advertisement

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રૈયા ચોકડી નજીક આવેલા કડિયા નાકા પાસે આયોજિત સમારંભમાં મંત્રી ભાનુબેને આ યોજનાની રૂપરેખા પુરી પાડતા  જણાવ્યું હતું કે, કોરોના પહેલા  આ યોજના 12 જિલ્લાના 36 શહેરમાં 119 જેટલા કડિયા નાકા પર કાર્યરત હતી.

Bhanuben Babariya 1

કોરોના બાદ મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ તેમજ ગાંધીનગર ખાતે આ યોજનાનો પુન: પ્રારંભ  કરાવ્યો છે.  હાલ વડોદરા, સુરત અને રાજકોટ સહિત કુલ 81 કેન્દ્રો પર આ યોજનાની અમલવારી શરુ થઈ ચુકી  હોવાનું મંત્રીએ  જણાવ્યું હતું .

આ યોજના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની હોવાનું જણાવતા મંત્રી ભાનુબેન ઉમેર્યું હતું કે બાંધકામ શ્રમિકોને  ફક્ત રૂ. 5 માં એક ટંકનું પોષણયુક્ત ભોજન આપવાની સાથે શ્રમિકોના આરોગ્યની ચિંતા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ધન્વંતરિ રથ દ્વારા શ્રમિકોને નિદાન-સારવાર તેમજ 17 જેટલા બ્લડ રીપોર્ટ નિ:શુલ્ક  કરી આપવામાં આવતા હોવાનું મંત્રી  ભાનુબેને ઉમેર્યું હતું.

મંત્રી ભાનુબેને આ તકે શ્રમિકોને રવાનો શીરો, બે શાક, પુલાવ, રોટી સહિતનું ભોજન પીરસી શ્રમિક મહિલાઓ પ્રતિ સમભાવ વ્યક્ત કર્યો હતો. તેમજ ધન્વંતરિ રથની મુલાકાત લઈ શ્રમિકોને આપવામાં આવતી સારવારની માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં મંત્રીના હસ્તે  નાનાજી દેશમુખ આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ રૂ. 1.60 લાખ સહાયના ચેક અર્પણ કર્યા હતાં.

Screenshot 1 37

રાજકોટ શહેર ખાતે રૈયા ચોકડી, બાલાજી હોલ, મવડી ચોકડી, બોરડી નાકુ,પાણીના ઘોડો કડિયા નાકુ, રામ રણુજા  કડિયા નાકુ, નીલકંઠ  કડિયા નાકુ, ગંજીવાડા  કડિયા નાકુ, શાપર કડિયા નાકુ સહિત શ્રમિક અન્નપુર્ણા યોજનાનો આજ રોજ 9 સ્થળોએ શુભારંભ કરાયો છે.

ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ યોજનાનો પ્રારંભ જૂન – 2017 માં કરવામાં આવ્યો હતો. આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકોને  ઈ-નિર્માણ  કાર્ડ જરૂરી છે. જે બાંધકામ સાઈટ પર શ્રમિકોને  કાઢી  આપવામાં આવે  છે. આ  કાર્ડથી અન્ય યોજનાકીય લાભો પણ મળવા પાત્ર હોવાનું  અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં નાયબ શ્રમિક કમિશનર   જી.એમ ભુટકા, ઇન્ડસટ્રીઅલ સેફટી અને હેલ્થ વિભાગના જોઈન્ટ ડિરેક્ટર શ્રી એચ. એસ, પટેલ તેમજ મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યાં હતા.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેશ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.