Abtak Media Google News

આસિફના પરિવાર અંગે કોઈ વિગતો નહીં : વિદેશી ગર્લફ્રેન્ડ સાથે છેલ્લા પાંચ વર્ષથી ધર્મશાળા ખાતે રહેતા આસિફના મોતનું કારણ અકબંધ

બોલિવૂડની માઠી યથાવત છે. વર્ષ ૨૦૨૦માં સુશાંતસિંહ રાજપૂતથી માંડીને અનેક સિતારાઓ પોતાનું જીવન એક અથવા બીજા કારણોસર ટૂંકાવી રહ્યા છે. સુશાંતસિંઘના મોતનું કારણ હજી બહાર નથી આવ્યું તે પહેલા બોલિવૂડના અભિનેતા આસિફ બસરાએ જીવન ટૂંકાવી દીધું છે. આસિફ બસરાએ હિમાચલના ધર્મશાળા ખાતે ૫૩ વર્ષની વયે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે.

બોલિવૂડ અભિનેતા આસિફ બસરાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ થયો છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે ગુરુવારે આસિફે આપઘાત કર્યાનો ઘટસ્ફોટ થતા એસએસપી વિમુક્ત રંજને આ બાબતની પુષ્ટિ કરી હતી. ધર્મશાળા ખાતે એક ખાનગી ગેસ્ટ હાઉસ ખાતે આસિફે આપઘાત કર્યો હતો. સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તબક્કે કેસ આપઘાતનો હોય તેવું લાગી રહ્યું છે તેમ છતાં પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આસિફ બસરાના આપઘાત પાછળના જવાબદાર પરિબળ અંગેની ચર્ચા કરતા પૂર્વે આસિફ બસરાની બોલિવૂડની સફર અંગે જાણવું જરૂરી છે. બસરાનો જન્મ વર્ષ ૧૯૮૯માં અમરાવતી ખાતે જન્મ થયો હતો. તેની વેબસાઈટ મુજબ તેણે ફિઝિક્સમાં બી.એસ.સી. ની ડીગ્રી મેળવી હતી અને ત્યારબાદ તેણે થિયેટરમાં અભિનયથી શરૂઆત કરી હતી. બોલિવૂડમાં આસિફે વર્ષ ૨૦૦૪માં ’બ્લેક ફ્રાઈડે’, ૨૦૦૭માં ’જબ વી મેટ’ , સુશાંતસિંઘની ફિલ્મ ’કાઇપો છે’  અને વર્ષ ૨૦૧૯માં ’ધ ટાશકંટ ફાઇલ્સ’માં પણ અભિનય કર્યો હતો. ’વન્સ અપોન એ ટાઈમ્સ ઓફ મુંબઇ’ સહિતની ફિલ્મોમાં પણ તેને મહત્વના પાત્રો ભજવ્યા હતાં. તેણે ઈન્ટરનેશનલ ફિલ્મ્સ જેવી કે, ’આઉટસોસર્ડ’ અને ’વન નાઈટ વિથ ધ કિંગ’માં પણ અભિનય કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ આસિફ બસરા છેલ્લા પાંચ વર્ષથી એક વિદેશ યુવતી સાથે રિલેશનશિપમાં હતો અને મુંબઇ છોડીને ધર્મશાળાના મેકલીઓદગંજ ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો. આસિફના પરિવાર અંગે કોઈ પણ વિગતો બહાર આવી નથી. તેના પરિવારમાં કોણ છે તે અંગે ક્યાંય કોઈ વિગતો પ્રાપ્ત નથી. તેણે લગ્ન કર્યા છે કે નહીં તે અંગે પણ કોઈ વિગતો ક્યાંય ધ્યાને આવરી નથી જેથી આસિફ એકલવાયું જીવન જીવતો હોય તે બાબત સ્પષ્ટ થાય છે. વિદેશી ગર્લફ્રેન્ડ સાથે બની શકે કે કોઈ કંકાશ થયો હોય અને તેના કારણે પણ આસિફે જીવન ટૂંકાવ્યું હોય તેવું બની શકે છે. શરૂઆતથી જ એક તો એકલવાયું જીવન અને ત્યારબાદ ગર્લફ્રેન્ડ સાથે અનબનના કારણે આ ઘટના મોતમાં પરિણમી હોય તેવું બનવું શક્ય છે. જો કે, હાલ તેની ગર્લફ્રેન્ડ અંગે પણ કોઈ વિગતો મળી રહી નથી.

પોલીસે તપાસ શરૂ કરી છે અને જો આ દિશામાં તપાસ કરવામાં આવે તો આપઘાતનું સચોટ કારણ બહાર આવે તેવી સંપૂર્ણ શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.