Abtak Media Google News

લાઠીમાં રામકથાના છઠ્ઠા દિવસની કથાવાણી વહાવતા જલધર, નારદકથા અને રામજન્મના વિવિધ ઉદાહરણોથી આપી સરળ સમજુતી

કલાપીનગરી લાઠીમાં આયોજિત “માનસ શંકર” રામ કથા આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશી હતી.પુ.મોરારીબાપુએ કથા આરંભે રામજન્મના વિવિધ ઉદાહરણની સરળ સમજુતી કરી હતી. આજના દિવસે દરરોજના ઉપક્રમ મુજબ વિશેષ મહાનુભાવોના સન્માનમાં ડાંગ જિલ્લાના આદિજાતિ વિસ્તારના દીકરા- દીકરીઓના અભ્યાસ માટે ભેખ ધારણ કરનાર પૂ. પી.પી. સ્વામી કે જેમણે 300 જેટલાં હનુમાનજીના મંદિરો  ગોવિંદભાઈ ધોળકિયાના સહયોગથી સાકારિત કયો છે.તેનું આજે અભિવાદન યજમાન ઘનશ્યામભાઈ શંકર દ્વારા કરવામાં આવ્યું.ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના વક્તવ્યમાં જીવનની ધન્ય ક્ષણો માટે અને ઉત્તમ જીવન માટે કોઈને કોઈ સાચો સંગાથ કેળવવા અનુરોધ કર્યો હતો. પોતે આ અનુભવને કેવી રીતે જીવનમાં ઉતાર્યો તેની વાતો વાગોળી હતી.

પુ.મોરારીબાપુએ  છઠ્ઠા દિવસની કથાવાણી વહાવતા જલધંર,નારદકથા અને રામજન્મના વિવિધ ઉદાહરણોથી સરળ સમજૂતી કરી હતી. જલંધરને તેમની પત્નીનું વ્રત ભંગ થવાથી મરે તેવું વચન હતું.તેનો પ્રાતિવ્રર્તી ધર્મ તેને કહેતો હતો કે જ્યારે જ્યારે જલંધર યુદ્ધભૂમિમાં જાય ત્યારે ફૂલમાળા પહેરીને જાય.ફૂલમાળા કરમાય નહીં ત્યાં સુધી તેમનું મૃત્યુ સંભવ નહોતું. ભગવાન વિષ્ણુએ થોડા છળથી ફૂલ કરમાવી જલંધરને વીરગતિ આપે છે.પછી નારદજી ક્ષિરસિંધુમાં ભગવાન વિષ્ણુ પાસે જાય છે.

શંકર ભગવાનના ધ્યાનને કામ છોડાવે છે.અને પછી કામ બળીને ભસ્મ થાય છે તે બધી કથાઓ સુપ્રસિદ્ધ છે. જે વ્યક્તિને પ્રસિદ્ધિ જોઇતી હોય તે કદી રોકાતો નથી. કદાચ નારદજી એ જ રીતે વિચરણ કરતાં રહે છે. ત્યાંથી તે માયાવીનગરમાં જાય છે વિશ્વમોહિનીને જોઈને નારદજી મોહ પામે છે. પોતાનું રૂપ બદલે છે પછી તેને રૂપની છલના પોતાના ખ્યાલ આવે છે અને વિવિધ લોકોને તે શ્રાપ આપે છે. પ્રતાપભાનુને શ્રાપ આપવાથી બીજા જન્મમાં એ રાવણ થાય છે.શિવના ગણોને પણ શ્રાપ આપે છે. આખું પ્રકરણ લગભગ શ્રાપથી ભરપૂર છે.

નારદજી વિષ્ણુ પાસે રૂપ માંગે છે અને મેળવે છે.તેથી એવું કહેવાય કે જો આપણે માગવું હોય તો હરિ પાસે માગવું જોઈએ. વેદના ત્રણેય કાંડ જ્યાં હોય ત્યાં પ્રભુ પ્રગટ થાય,જ્ઞાન, ઉપાસના અને કર્મ. જેનો ઉલ્લેખ ગીતામાં પણ છે. કોઈપણ ગૃહસ્થીએ રામ જેવા પુત્રની ઈચ્છા રાખવી હોય તો તેમણે ત્રિસુત્રી ફોમ્ર્યુલા અપનાવી જોઈએ. રાજા-રાણીને પ્રેમ કરે, રાણીનું આચરણ એ પુનિત હોય અને રાજા અને રાણી ઇષ્ટ ભક્તિ કરતા હોય. બુધ્ધ પુરુષોના સાનિધ્યમાં તમને દુઆ મળે છે અને અનુપાનના રૂપમાં દવા મળે છે તેથી આપણને શાતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

કથા રામ અવતરણ સાથે પૂર્ણ થઈ હતી. આજે પણ ખૂબ મોટાં પ્રમાણમાં જનમેદની કથાશ્રવણ કરવા માટે ઉમટી પડી હતી.આજની કથામાં ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.