Abtak Media Google News

જમવાના બાબતે થયેલા ઝઘડાના કારણે પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી લાશને પરાપીપળીયા પાસે ફેંકી દીધી

 

અબતક,રાજકોટ

રાજકોટના પરાપીપળિયા નજીક ગઈકાલે સવારે સાધુ જણાતા પ્રૌઠની ગળુ કાપેલી હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી હતી જેની જાણ યુનિવર્સીટી પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે ગરણતરીની કલાકોમાં જ મૃતકની ઓળખ મેળવી અને તેના હત્યારા પ્રેમી યુગલની ધરપકડ કરી છે.ભિક્ષુકની હત્યા પ્રેમી યુગલ ગીતા અને વસંતે જ કરી હોવાનું ખુલ્યું છે. ગીતાના પિતા અર્જુન મહારાજ સાથે ભિક્ષુક પરિચય ધરાવતા હતા. જમવા આવેલા ભિક્ષુક સાથે બોલાચાલી થતા દંપતીએ ભિક્ષુકને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદમાં મૃતદેહ કોથળામાં પેક કરી રિક્ષામાં રાખી પરાપીપળીયા નજીક ફેંકી દીધો હતો.

બનાવની પ્રાપ્ત માહિતી જામનગર હાઇવે પર પરાપીપળીયા ગામ નજીક યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદમાં કોઈ અજાણ્યો શખસ કોથળામાં પેક કરી સાધુ જેવા દેખાતા પુરુષનો મૃતદેહ ફેંકી ગયો હતો. આ અંગેની જાણ થતા યુનિવર્સિટી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બાદમાં એસીપી ક્રાઇમ તેમજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને મૃતદેહને પીએમમાં ખસેડી હત્યારાઓની શોધખોળ હાથ ધરી હતી.આસપાસમાં સીસીટીવી ફૂટેજ તપાસી અને લાપત્તા થયેલા સાધુની નોંધ તપાસી મૃતકની ઓળખ મેળવવા અને હત્યારા સુધી પહોંચવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી.

યુનિવર્સિટી પોલીસે મૃતક સાધુની ઓળખ મેળવવા જામનગર અને જૂનાગઢ સુધી મૃતકની તસવીરો મોકલાવી ઓળખ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, જોકે મૃતક એસઆરપી કેમ્પ સામે રાત્રે જોવા મળ્યાનો એક સગડ પોલીસને મળ્યો અને પોલીસે કેમ્પ સામેના ઝૂંપડે જઇ પૂછપરછ કરતાં જ દંપતીએ હત્યા કર્યાની કબૂલાત આપી હતી, ત્યારબાદ મૃતક સાધુ સંતોષ સોલંકી હોવાનું ખુલ્યું હતું. મૃતક સંતોષ સોલંકી જામનગરના વતની અને સાધુ જીવન જીવતા હતા. આરોપી ગીતાના પિતા અર્જુન મહારાજ અને મૃતક સાધુ બંને મિત્ર હતા. આથી ગીતા પણ સાધુને ઓળખતી હતી. જમવા આવેલા સાધુ સાથે બોલાચાલી થઇ હતી. ગીતા પિતા અર્જુન મહારાજ સૂઇ ગયા બાદ દંપતીએ સાધુની પથ્થરના ઘા મારી હત્યા કરી હતી. બાદમાં કોથળામાં મૃતદેહ રાખી જામનગર હાઇવે પર ફેંકી દીધો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.