Abtak Media Google News
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 49 તાલુકોમાં વરસાદ: સૌથી વધુ  ભાવનગરના ઉમરાલા અને જૂનાગઢમાં બે ઈંચ વરસાદ
  • હવામાન વિભાગ દ્વારા આગામી 15મી ઓકટોબર સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી અપાઈ છે

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અષાઢી જેવો માહોલ સર્જાયો છે.  છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. રવિવારે પણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ શહેરમાં જ રવિવારે માત્ર એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જ્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડાના ગ્રામ્ય પંથકમાં દાત્રાણા, ઉમરાળા સહિતના વિસ્તારોમાં બેથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદરના પારાવડા, મોભીયીવદર, સમીર ગામે દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં પણ દોઢથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો  તો ધારી, સાવરકુંડલામાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

મધ્ય ગુજરાતના ભરૂચમાં પણ બપોરે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. રાજ્યમાં હજુ પણ 15 ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. મગફળી, સોયાબીન, કપાસ અને કઠોળના પાકને નુકસાન થવાની ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.ગીર સોમનાથના તાલાલાના વાડલા, આકોલવાડી, રસુલપરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બોટાદના ઢસા, જલાલપુર, માંડવા, વિકળીયા, પાટણા, માલપરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. જૂનાગઢના જોશીપરાના ઓઘડનગરમાં વરસાદને પગલે પાણી ભરાયા હતા. મહીસાગર જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો હતો.

વીરપુર, લુણાવાડા તાલુકા ધામોદ, લાલસર, ઉચરપી સહિતના ગામોમાં પાછોતરા વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતી છે.રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. આજે અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વાસીયાળી, મેવાસા સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. વરસાદ પડતા ખેતરો જવાના ગાડા માર્ગ અને ગામના રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સંતરામપુર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ,બાલાસિનોર તાલુકામાં એક ઇંચ વરસાદ,લુણાવાડા તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના વીરપુર,ખાનપુર અને કડાણા તાલુકામાં પણ વરસાદ છે. જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેતીને નુકસાન થવાની આશંકા સેવાઇ રહી છે.

ભારે વરસાદને પગલે લખનૌ-આગ્રાની શાળાઓમાં રજા

દિલ્હી-એનસીઆરથી લઈને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સુધી મૂસળધાર વરસાદે તબાહી મચાવી દીધી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાય ગયા છે. વિશાળ વૃક્ષો ધરાશાયી થવાથી અનેક વાહનોને નુકસાન થયું છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે નોઈડા, લખનૌ, ગાઝિયાબાદ અને આગ્રા સહિત અન્ય શહેરોની શાળાઓને સોમવારે બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ એક દિવસ માટે બંધ રહેશે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલો વરસાદ આફતની જેમ તૂટી પડ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે થયેલી દુર્ઘટનાઓમાં 27 લોકોના મોત થયા છે.

બીજી તરફ રાજ્યભરમાં આફતના વરસાદને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એડવાઈઝરી જાહોર કરીને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યની સાથે તાત્કાલિક સહાયતા રકમ આપવાની જાહેરાત કરી છે. દિલ્હી એનસીઆર વિસ્તારમાં શનિવાર બપોરથી અવિરત વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.  લખનૌ, નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા, મેરઠ, અલીગઢ, મથુરા, કાનપુર, એટાહ, મૈનપુરી અને ફિરોઝાબાદમાં જિલ્લા સત્તાવાળાઓએ ભારે વરસાદને કારણે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.