Abtak Media Google News

પ્રાણીઓ અને વનસ્પતિ આપણી ઇકોલોજીકલ સિસ્ટમમાં આવશ્યક ભૂમિકા ભજવે છે: તે ટકાઉ વિકાસના સામાન્ય, સામાજીક, આર્થિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને માનવ સુખાકારીમાં પણ યોગદાન આપે છે

વિશ્વમાં 70 હજારથી વધુ પ્રજાતિઓ ખૂબ જ સંવેદનશીલ સાથે જોખમમાં તેનું અસ્તિત્વ ટકાવવા જજુમી રહી છે: એક તારણ મુજબ એક મિલિયનથી વધુ પ્રાણી વનસ્પતિની પ્રજાતિઓને લુપ્ત થવાનો ભય રહ્યો છેઆજે વિશ્વ વન્ય જીવન દિવસ. પૃથ્વીનું સંવર્ધન કે અસ્તિત્વ આ પ્રાણીઓ અને વનસ્પતિઓ પર નિર્ભર છે, આપણે જંગલોનો નાશ કરીને પર્યાવરણ બગાડ્યું સાથે જીવ સૃષ્ટિનો પણ નાશ કર્યો જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી વિકટ સમસ્યા વિશ્ર્વમાં પેદા થઇ છે. ઋતુચક્રોમાં થયેલા ફેરફાર આવાજ અનબેલેન્સની દેન છે. આજે વિશ્વમાં બહુ ઝડપથી પ્રાણીઓ અને વનસ્પતિની પ્રજાતિઓ લુપ્ત થઇ રહી છે. આજે આપણે સૌએ જીવજંતુ-પ્રાણીઓ-વનસ્પતિઓને બચાવવા જાગૃતિ લાવવી પડે છે. આજના દિવસનો હેતું પણ આ છે કે આપણે ભાવી પેઢીને હરિયાળું વિશ્ર્વ આપીએ.

સંયુક્ત રાષ્ટ્રે 20 ડિસેમ્બર-2013માં પોતાના 68માં સત્રમાં 3 માર્ચે વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ અગાઉ પણ વન્ય જીવોના વિલુપ્ત થતા રોકવા માટે સૌથી પહેલા 1872માં જંગલી હાથી સંરક્ષણ અધિનિયમ પસાર કરાયો હતો. છેલ્લા 9 વર્ષથી દર વર્ષે વન્ય જીવને સંરક્ષિત કરવાના અને લોકોને જાગૃત કરવા હેતુંથી આજના દિવસે વિવિધ સેલીબ્રેશન થાય છે. પૃથ્વી પર કાયમ જીવન ધબકતું રાખવા માટે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિઓ હોવી જરૂરી છે. તેના વગર આપણું જીવન શક્ય જ નથી. જંગલો અને પ્રાણીઓ થકી જ આપણું હૃદ્ય સતત ધબકી રહ્યું છે.દર વર્ષે અપાતા સૂત્રમાં આ વર્ષે “ઇકો સિસ્ટમ પુન:સ્થાપન માટે મુખ્ય પ્રજાતિઓને પુન:પ્રાપ્ત કરવી” આપેલ છે જેનો અર્થ જ કેટલીક જોખમી જંગલી પ્રજાતિઓ અને વનસ્પતિઓને બચાવવી હાલ વિશ્વની તેમની 8400થી વધુ પ્રજાતિઓ ગંભીર રીતે જોખમમાં છે. પ્રાણીઓ અને વનસ્પતિ આપણી ઇકોલોજીકલ સિસ્ટમમાં આવશ્યક ભૂમિકા ભજવે છે. તે ટકાઉ વિશ્વના વિકાસના સામાન્ય, સામાજીક, આર્થિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને માનવ સુખાકારીમાં યોગદાન આપે છે.

માનવ સંસ્કૃતિનો શ્રેષ્ઠ વિકાસ વૃક્ષો-પાણીને, પ્રાણીઓ વચ્ચે જ થયો છે. જેમાં નાઇલનદીની સંસ્કૃતિ, સિંધુ નદીની આસપાસની સંસ્કૃતિ સાથે પર્યાવરણથી લથલથ આફ્રિકાના વિશાળ જંગલોમાં જોવા મળે છે. સૃષ્ટિ ઉપર તમામ પોતાના પર્યાવરણમાં, રહેઠાણમાં રહેવાનો અધિકાર છે પણ કાળા માથાના માનવીએ જંગલોના નાશ સાથે તથા શિકાર કરીને વન્ય સૃષ્ટિનો પણ નાશ કરતાં પૃથ્વીનું અસ્તિત્વ જોખમમાં મુક્યું છે. એજ આપણાં જીવન સાથી છે. ત્યારે તેની ગેરહાજરી આપણું જીવન પણ ટુકાવશે.આપણાં દેશની વાત કરીએ તો વાઇલ્ડ લાઇફ સેન્ચુરીની ટોપ ફાઇવમાં ઉત્તરાખંડમાં આવેલ જિમ કાર્બેટ નેશનલ પાર્ક, રાજસ્થાનનું રણથંભૌર નેશનલ પાર્ક, બાંધવગઢ અભ્યારણ- મધ્યપ્રદેશ, આસામનું કાજીરંગા નેશનલ પાર્ક અને બંગાળનું સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન છે. જેમાં ઉત્તરાખંડનું સૌથી જુનું ગણવામાં આવે છે. આ પાર્કમાં વાઘ, હાથી, દિપડા, હરણ, જંગલી સુઅર, વાંદરા, શિયાળ, રીંછ, ગેંડા વિગેરે પ્રાણીઓ સાથે અલભ્ય એવા વૃક્ષો પણ જોવા મળે છે. યુનેસ્કોની વિશ્ર્વ વિરાસતમાં આપણું કાજીરંગા પાર્કનો સમાવેશ થયો છે.

Screenshot 15

આ વર્ષનું સૂત્ર: ઇકોસિસ્ટમ પુન:સ્થાપન માટે મુખ્ય પ્રજાતિઓને પુન:પ્રાપ્ત કરવી: આ થીમનો હેતું જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની કેટલીક અત્યંત જોખમી પ્રજાતિઓને બચાવવા પર પ્રકાશ પાડવાનો છે

પૃથ્વી આપણી સાથે ઘણા વન્ય જીવનનું પણ આશ્રયસ્થાન છે. વન્યજીવન પર્યાવરણને સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેથી આ જીવોનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. જંગલો કપાતા વન્યજીવોને નુકશાન સાથે તેના વિસ્તારોમાં મનુષ્યોની સતત દખલગીરીને કારણે ઘણી અલભ્ય પ્રાણી સૃષ્ટિ નાશ પામવા લાગી છે. તેના શિકારને કારણે આપણી ઇકોસીસ્ટમને ભયંકર નુકશાન થયું છે. આ બધાના ગંભીર પરિણામો આપણે સૌએ આવનારા દિવસોમાં જોવા પડશેને ભોગવવા પણ પડશે.

આજે વૈશ્વિક લેવલે શહેરીકરણ, વન્ય જીવોનો શિકાર અને તેના નિવાસસ્થાનનો વિનાશ જેવા મુદાઓ ઉઠી રહ્યા છે.જંગલો આપણી સંસ્કૃતિ છે, જંગલોનું ઘરેણું એટલે વન્યસૃષ્ટિ પ્રાણીઓ અને વનસ્પતિઓ. તે પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે તે ઓક્સિજન લેવલ, દવાઓ, ખોરાક તથા જમીનની ફળદ્રુપતામાં મદદરૂપ થાય છે. આ પ્રજાતિને બચાવવા માટે આજના દિવસનું મહત્વ વિશેષ છે. યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 1-2-12-13-14 અને 15માં પણ આ અંગેની નોંધ જોવા મળે છે. આજે જે પ્રાણીઓ-પક્ષીઓ લુપ્ત થવા જઇ રહ્યા છે તેને કેમ બચાવવા, સંવર્ધન કરવું જેવા મુદા સાથે દરેક પૃથ્વીવાસીએ ચિંતા-ચિંતન સાથે સક્રિય કાર્ય કરવું પડશે.

લુપ્ત થતી પ્રાણી સૃષ્ટિને વનસ્પતિઓ કેમ બચાવવી તેના કાર્યોમાં લક્ષ્ય હાંસીલ કરવા સતત અને સક્રિય કાર્ય ચાલુ રાખવા માટે પણ આજનો દિવસ સૌને હાકલ કરે છે. વન્યજીવ અપરાધ, માનવ પ્રેરિત પ્રજાતિઓના ઘટાડા સામેની લડત આગળ વધારવી જરૂરી છે.”જૈવ વિવિધતાની ખોટએ લોકો અને ગ્રહ માટે અસ્તિત્વનો ખતરો છે. વન્યજીવોની પ્રજાતિઓનું સતત નુકશાન સમગ્ર જીવ સૃષ્ટિને નબળું કે વિનાશ તરફ લઇ જશે તેવો ગંભીર ઇશારો છે.””2020 પછી એક મજબૂત વૈશ્ર્વિક જૈવ વિવિધતાના ફેમવર્કને અપનાવવા અને પૃથ્વીવાસીઓ સામાન્ય ભવિષ્યને સુરક્ષિત કરવાના તમામ કાર્યો વિશ્ર્વ એકજૂટ થઇ કાર્ય કરે”

Screenshot 1 1

લુપ્ત થતી પ્રાણી સૃષ્ટિ બચાવીને ઇકોસિસ્ટમને પુન:સ્થાપન કરો

આજે ભારત સહિત વિશ્વમાં જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની કેટલીક અત્યંત જોખમી પ્રજાતિઓની સંરક્ષણ બાબતે વૈશ્વિકસ્તરે પૃથ્વીવાસીઓનું ધ્યાન કેન્દ્રીત કરવા આજનો દિવસ ઉજવાય છે. છેલ્લા 9 વર્ષથી સમગ્ર વિશ્ર્વ આ બાબતે જાગૃત થયું છે જે એક સારી બાબત છે. જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની 8400થી વધુ પ્રજાતિઓ ગંભીર રીતે જોખમમાં છે તે ઉપરાંત બીજી 30 હજારથી વધુ પ્રજાતિઓ ખૂબ જ સંવેદનશીલ સાથે જોખમમાં તેનું અસ્તિત્વ ટકાવવા જજુમી રહ્યા છે. વન્યશાસ્ત્ર તથા પ્રાણીશાસ્ત્રીઓના તારણ મુજબ એક મિલિયનથી વધુ પ્રજાતિઓને લુપ્ત થવાનો ભય રહ્યો છે. 2022માં વિશ્ર્વ વન્ય જીવન બાબતે ગંભીર રીતે, ભયંકર પ્રજાતિઓના લુપ્ત થવાના પરિબળોને ઉલટાવી દેવાની સાથે તેમને તેનું મૂળ પર્યાવરણ, આવાસો, ખોરાક વિગેરે મળી રહે તેવી વ્યવસ્થા પુન:સ્થાપન કરવા માટેના વૈશ્ર્વિક કાર્ય પર ભાર મુકે છે. લુપ્ત થતી પ્રજાતિઓના રહેઠાણ, સાથે તેની ઇકોસિસ્ટમનું સતત નુકશાન આપણાં સહિત પૃથ્વી પરના તમામ જીવનને જોખમમાં મુકે તેમ હોવાથી આપણે તેના પુન:સ્થાપન માટે હવે જરૂરી પગલા ભરવા પડશે.

ભારતની ટોપ ફાઇવ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી

જિમ કોર્બેટ નેશનલ પાર્ક – ઉત્તરાખંડ

રણ થંભૌર નેશનલ પાર્ક – રાજસ્થાન

બાંધવગઢ અભ્યારણ – મધ્યપ્રદેશ

કાજીરંગા નેશનલ પાર્ક – આસામ

સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન – પશ્ર્ચિમ બંગાળ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.