Abtak Media Google News

અમારા ગામમાં છેલ્લા એક વર્ષથી કુદરતી કે કોરોનાથી એકપણ મરણ થયું નથી.અરે કોઈ બીમાર પણ નથી પડ્યું તો  કોરોનાનો કેસ પણ કયાંથી આવે તેમ 50 ખોરડાં અને 300 લોકોની વસ્તી ધરાવતા લોધિકાના જસવંતપુર ગામના ઉપસરપંચ બાબુભાઇ હિરાણી સગૌરવ જણાવે છે. અમે છેલ્લા એક વર્ષમાં કોઈ જ ઉત્સવ સામુહિક ઉજવ્યો નથી, એ તો ઠીક ગામમાં કોઈ ફેરિયાને પણ પ્રવેશવા દીધો નથી અને દુકાનો પણ બંધ. એટલું જ નહીં ગામની વહુ દીકરીઓને ગામ બહાર જવાની એટલે કે તેમના પિયરજવા આવવા પર પ્રતિબંધ લાધ્યો છે. રીક્ષા દ્વારા શાકભાજી શાળામાં લાવી તમામ લોકો અહીંથી ખરીદી કરી જાય એ પ્રકારે વ્યવસ્થા કરીછે, એટલું જ નહી ગામ સમસ્તે 100 ટકા વેકસીનેશન કરાવ્યું છે, આવી સઘન કિલ્લેબંધીને કારણે અમારા ગામમાં અત્યાર સુધી કોરોના પણ પ્રવેશી શક્યો નથી, તેમ બાબુભાઇ વધુમાં જણાવે છે.જસવંતપુરને કોરોના મૂકત રાખવામાં ગામના આશાવર્કર બહેન લક્ષ્મીબેન સોજીત્રાનું યોગદાન પણ બહુમૂલ્ય રહ્યું છે.

Advertisement

કોરોના તો હમણાં આવ્યો પણ અમે તો એ પહેલા પણ દરેક માતા અને બાળકોને તમામ રસી અપાવીએ છીએ. ખેત મજુર આદિવાસી બહેનોને પણ જાગૃતિ પુરી પાડી હાલના સમયમાં સાવચેતી રાખવા જણાવીએ છીએ. ઘરે તેમજ ખેતરમાં ટાકા સાફ રાખવા, બાળકોને સ્નાન કરાવવા, ઘરમાં સઘન સફાઈ સહિતની જાગૃતિ પુરી પાડીયે છીએ, ગામમાં દરેક ઘરમાં માસ્ક અને સેનેટાઇઝરની બોટલ ઉપલબ્ધ કરાવાઈ છે.કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં ગ્રામજનોની પડખે આરોગ્ય વિભાગ પણ સતત ખડે પગે રહ્યો છે, તેમ જણાવે છે લોધીકાના પારડી પી.એચ.સી. ના સુપરવાઈઝર રમેશભાઈ બારસીયા. તેઓ કહે છે, અમારા પી.એચ.સી. સેન્ટર હેઠળના દસ ગામોમાં છેલ્લા એક વર્ષથી આઈ.ઈ.સી. (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન) પ્રોગ્રામ દ્વારા સઘન જનજાગૃતિ ચલાવી.

લોકડાઉન દરમ્યાન ગામે-ગામ જઈને માઈક દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા સમજાવ્યા અને વેક્સિનેશન માટે સતત જનજાગૃતિ અર્થે બેનર્સ અને ગ્રુપ મિટિંગ કરી માહિતી પુરી પાડી.સેન્ટરના ડો. ઠાકર જણાવે છે કે, અમારા સેન્ટરમાં 40થી વધુનો સ્ટાફ અને પેટા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ટેસ્ટિંગ, માર્ગદર્શન અને દવા સબંધી સઘન કામગીરી કરવામાં આવી. સેન્ટર હેઠળના દસ ગામોમાં મોડી રાત્રે પણ કોઈ દર્દીને તકલીફ પડે તો સેન્ટર પર બોલાવી જરૂરી દવા પુરી પાડીએ છીએ. અનેક દર્દીઓને મોડી રાત્રે રાજકોટ ખાતે રીફર કર્યાના પણ દાખલા બન્યા છે.કાંગશીયાળી ગામના સરપંચ દ્વારા રોગી કલ્યાણ સમિતિમાં રૂ.49 હજારનું દાન અમને મળ્યું. અમે આ દાનમાંથી દવાની ખરીદી કરી, તેની કીટ બનાવી આશા વર્કરો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને ઘરે ઘરે વહેંચી. રોગને શરૂઆતમાં જ ઓળખી ત્વરિત નિદાન દ્વારા અમે કોરોનાના કેસમાં અને મૃત્યુ દરમાં ઘટાડો કરી શક્યા છીએ તેમ પણ રમેશભાઈ જણાવે છે.સમગ્ર વિશ્ર્વ જ્યારે કોરોનાના આ કપરા કાળમાં સુખની નિંદ્રા પણ માણી નથી શકતું તેવા સમયે રાજકોટની ભાગોળે આવેલા આ ગામોના ગ્રામાજનો નિશ્ર્ચિત બની સુખની નિંદ્રા માણી રહયા છે. મુખ્યમંત્રીના ‘મારૂં ગામ, કોરોના મૂક્ત ગામ’ની વિભાવનાને ચરિતાર્થ કરતા આ ગામોમાં આરોગ્ય વિભાગની સફળ કામગીરી અનેગ્રામજનોના સમર્પિત ભાવના સહયોગની સાથે અનુશાસન અને જનજાગૃતિના પરિણામે આ અસંભવ ગણાતું કાર્ય આજે સંભવ બની અન્યોને પ્રેરણા આપી રહયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.