Abtak Media Google News
  • દ્વારકાથી બેટ દ્વારકા જવુ વધુ સરળ બનશે
  • જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાંં રૂ. 4 હજાર કરોડથી વધુના 11 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Gujarat News
દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કાલે જામનગર,દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં રૂ.4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું (સિગ્નેચર બ્રિજ) લોકાર્પણ થવાથી, હવે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને એક અનેરી સુવિધાનો લાભ મળી રહેશે. આ ત્રણેય જિલ્લાઓને આવરી લેતા વિકાસકાર્યોમાં માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય, રેલવે તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 પ્રકલ્પો સામેલ છે.

દેવભૂમિ દ્વારકામાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, ભારત સરકાર તથા માર્ગ અને મકાન વિભાગ, રેલવે તેમજ પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય હસ્તકના 5 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. જે અંતર્ગત દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા અત્યાધુનિક સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. રૂ 979 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2.3 કિલોમીટર લંબાઇના બ્રિજની સાથોસાથ 2.45 કિમીનો એપ્રોચ રોડ અને પાર્કિની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે. તેના લીધે હવે દ્વારકાથી બેટ દ્વારકા સરળતાથી પહોંચી શકાશે.

રેલવે વિભાગ દ્વારા રાજકોટથી ઓખા અને રાજકોટ-જેતલસર- સોમનાથ તેમજ જેતલસર-વાંસજાળીયા સુધી કુલ 533 રેલવે કિ.મી લંબાઇ રેલમાર્ગનું ઇલેક્ટ્રીફિકેશન કરવામાં આવ્યું છે. રૂ 676 કરોડ મૂલ્યના આ પ્રોજેક્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. ઇલેક્ટ્રીફિકેશન કામગીરીથી ડિઝલની બચત થશે અને લોકોની સુવિધામાં વધારો થશે. રાજકોટ-ઓખા ઇલેક્ટ્રીફિકેશન પ્રોજેક્ટ પૂર્ણ થવાથી દ્વારકા સુધી ઇલેક્ટ્રીક રૂટ પર ટ્રેન સુવિધા સરળતાથી મળી રહેશે. તે સિવાય પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય દ્વારા વાડીનારમાં બે ઓફશોર પાઇપલાઇન અને એક બોયનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્નું મૂલ્ય રૂ 1378 કરોડ છે.

Prime Minister'S Dream Project Sudarshan Setu Will Be Inaugurated Tomorrow
Prime Minister’s dream project Sudarshan Setu will be inaugurated tomorrow

જામનગરમાં કાલાવડ તાલુકાના છત્તર પાસે ₹ 52 કરોડના ખર્ચે નિર્મિત 12.5 મેગાવોટ ક્ષમતાના વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.ખેડૂતો અને ઉપભોક્તાઓને સસ્તા દરે વીજળી આપવામાં તેમજ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આ પ્રોજેક્ટ મદદરૂપ બનશે.

આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 6 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનને પહોળી કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત થશે. ₹ 292 કરોડના ખર્ચે શરૂ થનાર આ પ્રોજેક્ટનો ફાયદો જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લાને મળશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા જામનગર શહેરમાં ₹ 107 કરોડના ખર્ચે ગટર વ્યવસ્થા માટેના ત્રણ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામગીરી અંતર્ગત નાઘેડી વિસ્તાર અને મહાપ્રભુજી બેઠકથી ઠેબા ચોકડી રોડ અને ગુલાબનગર રેલવે ઓવરબ્રિજથી પુર્ણેશ્વર મહાદેવ મંદિર મેન રોડ સુધી અંડરગ્રાઉન્ડ ગટર નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. તે સિવાય કર્મચારીનગર વિસ્તારમાં એસબીઆર ટેક્નોલોજી આધારિત સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે.

વિજ્ઞાન અને ટેક્નલોજી વિભાગ હેઠળ ₹ 100 કરોડના ખર્ચે જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાયન્સ સેન્ટરને 10 એકર વિસ્તારમાં વિકસિત કરવામાં આવશે. આ સાયન્સ સેન્ટરમાં પાંચ થીમ આધારિત ગેલેરી હશે. જેમાં શહેરની ઓળખ, મૂળભૂત વિજ્ઞાન, વિજ્ઞાનનું ભવિષ્ય અને સ્વાસ્થ્ય તેમજ કૃષિ વિજ્ઞાન વિશેની માહિતી રસપ્રદ રીતે રજૂ કરવામાં આવશે. આ સેન્ટરમાં પ્રદર્શન હોલ, ચિલ્ડ્રન્સ કોર્નર, વર્કશોપ, કાફેટેરિયા અને ઓફિસ વર્ક સ્ટેશન્સ પણ બનાવવામાં આવશે. વિકસિત ભારતના નિર્માણ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીને લોકો સુધી રસપ્રદ રીતે લઇ જવા અને બાળકો તથા યુવાઓમાં જિજ્ઞાસાવૃત્તિ નિર્માણ કરવાની દિશામાં આ સાયન્સ સેન્ટર મહત્વની ભૂમિકા ભજવશે. સાથોસાથ જામનગરના સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં ઋૠઉ સિસ્ટમને સ્થાપિત કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું મૂલ્ય રૂ 569 કરોડ છે.  આ સિસ્ટમની મદદથી પ્લાન્ટમાંથી થતા ઉત્સર્જનમાંથી સલ્ફર ડાયોક્સાઇડને ઘટાડી શકાશે. સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્સર્જન રોકવાથી પ્રદૂષણ નિયંત્રણમાં મદદ મળશે.

પી.એમ.ને આર્ટ-ટેકનોલોજીના સંગમ સમાન એઇમ્સની બે પ્રતિકૃતિ ભેટ અપાશે

લાકડાની કોતરણીવાળી એઇમ્સની પ્રતિકૃતિ અને થ્રી ડાયમેન્શનલ એઈમ્સનું મોડેલ વડાપ્રધાનને રાજકોટની સદા યાદ અપાવશે

Prime Minister'S Dream Project Sudarshan Setu Will Be Inaugurated Tomorrow
Prime Minister’s dream project Sudarshan Setu will be inaugurated tomorrow

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા પધારશે ત્યારે, આતિથ્ય માટે જાણીતી સૌરાષ્ટ્રભૂમિ પર તેમનું અદકેરું અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટના જસદણના કલાકાર દ્વારા તૈયાર કરાયેલી વુડ કાર્વિંગ ઓક્સીડાઈઝ એઇમ્સ મોડેલ અને રાજકોટની આર.કે. યુનિવર્સટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ 3-ડી એઇમ્સ મોડેલ પ્રધાનમંત્રીને ભેટ ધરવામાં આવશે.

આ અંગે આર.કે. યુનિવર્સટીના અમિત તન્નાએ જણાવ્યું છે કે, આર.કે.યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ખોડીદાસભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનાં સહિયારા પ્રયાસો અને કલાકોની મહેનત બાદ 48 સેમી ડ્ઢ 36 સેમી ડ્ઢ 15 સેમી સાઈઝની રાજકોટ એઇમ્સની પ્રતિકાત્મક કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને યાદગીરી રૂપે આ પ્રતિકૃતિ કાઠિયાવાડની મોંઘેરી પરોણાગત સ્વરૂપે ભેટ અપાશે.

જયારે જસદણના બજરંગ હસ્તકલાના કારીગર સાગરભાઈ રાઠોડ અને તેમની ટીમે વુડ કાર્વિંગ(લાકડાંની કોતરણી) અને ઓક્સીડાઈઝ મીણાકારી દ્વારા 17 ડ્ઢ 27 ઇંચની એઈમ્સની પ્રતિકૃતિ તૈયાર કરી છે. જગદીશભાઈ કલોતરા, અનિલભાઈ છાયાણી અને તેમની ટીમ દ્વારા ત્રણ દિવસની મહેનત બાદ વુડ લેસર કટિંગ અને આર્ટ વર્કના સમન્વયથી આ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. જે વડાપ્રધાનને ગિફટ કરવામાં આવશે. આ પૂર્વે પ્રધાનમંત્રીને હિરાસર એરપોર્ટ લોકાર્પણ પ્રસંગે પણ પ્લેનની આ પ્રકારની પ્રતિકૃતિ ભેટ અપાઇ હતી.

પ્રધાનમંત્રી  રાજકોટને એઇમ્સ હોસ્પિટલની ભેટ આપવા જઈ રહ્યા છે ત્યારે, વડાપ્રધાનને અપાનારી રાજકોટના આરોગ્યના મંદિર સમાન આ બંને પ્રતિકૃતિનું નજરાણું તેઓની રાજકોટ મુલાકાતને યાદગાર બનાવી આપશે અને રાજકોટની વડાપ્રધાનને સદા યાદ અપાવતું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.