Abtak Media Google News

રાજકોટ ખાતે 2500 એકર વિસ્તારમાં બનશે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતીમાં એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે સમજૂતિ કરાર MoU સંપન્ન

નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ તૈયાર થતાં ૨૮૦ થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથેના એરબસ એ 320-200-બોઇંગ બી 737-900 જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રને મળતી થશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતીમાં રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર એમ.ઓ.યુ. કેન્દ્ર સરકારના એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે  ગાંધીનગરમાં સંપન્ન થયા છે.

Advertisement

આ સમજૂતિ કરાર મુજબ રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકર વિસ્તારમાં નિર્માણ પામશે.

આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં ૨૮૦ થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથે તિવ્ર ગતિ 5,375 કીલોમીટરના વેગથી ઉડ્ડયન કરી શકે તેવા ‘સી’ પ્રકારના એરબસ [એ 320-200], બોઇંગ [બી 737-900] જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રને મળતી થશે.

આ સુચિત એરપોર્ટ ઉપર સમાંતર બે ટેક્ષી-વે રહેશે. તથા એપ્રન, રેપીડ એક્ઝીટ ટેક્ષી ટ્રેક, ટર્મિનલ બિલ્ડીંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થવાની છે.

સમગ્રતયા આ એરપોર્ટ ૧૦૩૩ હેકટર જેટલા વિસ્તારમાં નિર્માણ થવાનું છે તેમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન હશે, 524 એકર સીટી સાઈડ પેસેંજર સુવિધા માટે અને એવીએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ થનાર છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ એરપોર્ટના નિર્માણનો સમગ્રતયા રૂ. રપ૦૦ કરોડનો ખર્ચ તબક્કા વાર એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા કરશે અને એરપોર્ટ માટેની જમીન રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવશે. 

આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ અને સીવીલ એવીશન-પ્રવાસન અગ્ર સચિવ શ્રી એસ.જે. હૈદર ઉપસ્થિત રહ્યા હતા.

આ સમજૂતિ કરાર ઉપર  એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના રાજકોટ એરપોર્ટના નિયામક શ્રી  બસબકાંતી દાસ અને ગુજરાતના સરકારના સીવીલ એવીએશન નિયામક કેપ્ટન અજય ચૌહાણે હસ્તાક્ષર કર્યા હતા.    

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.