Abtak Media Google News
  • દર વર્ષે ટ્રકના 50 હજાર ફેરા ઘટશે, જેનાથી 3.5 કરોડ લીટર ડીઝલની થશે બચત

વડાપ્રધાન મોદીએ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારૂતિ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટની અંદર આવેલા રેલવે સાઈડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. હાંસલપુરમાં દેશનું પહેલું ઓટો ઉત્પાદકના પ્લાન્ટની અંદર આવેલી પહેલી રેલવે સાઈડિંગ છે. આ વ્યવસ્થામાં સુઝુકી મોટર ગુજરાત વર્ષે ત્રણ લાખ કાર સીધી જ રેલવે દ્વારા દેશભરમાં 15 બજારોમાં સીધી પહોંચાડી શકશે. જેનાથી દર વર્ષે ટ્રકના 50 હજાર ફેરા બચી જશે.આનાથી 3.50 કરોડ લીટર ડીઝલનો વપરાશ ઘટશે.

મારૂતિ સુઝુકીના કોર્પોરેટ અફેર્સ વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાહુલ ભારતીએ જણાવ્યું કે, ‘વર્ષ 2013થી મારૂતિ પાસે ઓટોમોબાઈલ ફ્લાઈટ ટ્રેન ઓપરેટરનું લાયસન્સ છે અને તે અત્યારે પોતાની માલિકીની ત્રણ રેક (રેલવે વેગન) અને બીજા ખાનગી 37 રેક થકી હરિયાણા અને ગુજરાતના પ્લાન્ટનું ઉત્પાદન રેલવે મારફત દેશભરમાં નિકાસ માટે પોર્ટમાં મોકલી રહ્યું છે. ટ્રેન દ્વારા વહન ડીલર કે વેરહાઉસ સુધી પહોંચાડે તો ટ્રક, ટ્રકના ઈંધણ અને કાર્બન ફૂટપ્રિન્ટનો બચાવ થાય છે.’

આ સાઈડિગ માટે કુલ રૂપિયા 976 કરોડના ખર્ચે બનેલી આ રેલવે વ્યવસ્થા થકી મારૂતિ પોતના અહીં પ્રોડક્શન થતું હોય તેવી કારનું સીધા રેલવે રેકમાં ભરી તે દેશના 15 લોકેશન ઉપર મોકલી શકાશે. ડીઝલના વપરાશને લઈને રાહુલ ભારતીએ જણાવ્યું હતું કે, ‘રેલવે થકી વેચાણ કરવાથી રોડ ઉપર વાહનનો ભાર ઘટે છે, ઈંધણની બચત થતી હોવાથી પર્યાવરણને નુકસાન પણ ઘટે છે. ગુજરાતની રેલવે સાઈડિંગ પૂર્ણ કક્ષાએ એટલે એ વર્ષે ત્રણ લાખ ગાડીઓને વિતરણે પહોંચશે ત્યારે લગભગ 3.5 કરોડ લીટર ડિઝલનો વપરાશ ઘટશે અને વર્ષે 1650 ટન કાર્બન ઈમીશનમાં ઘટાડો થશે.

હાંસલપુર પ્લાન્ટમાં અત્યાર સુધીમાં 30 લાખ કાર બની

ફેબ્રુઆરી 2017માં મારૂતિ સુઝુકીએ હાંસલપુર પ્લાન્ટની શરૂઆત કરી હતી અને અત્યારે ત્રણ એસેમ્બલી લાઈન્સમાં કુલ 7.5 લાખ ગાડીઓનું વાર્ષિક ઉત્પાદ થાય છે. કંપનીએ હાંસલપુર પ્લાન્ટમાં કુલ 30 લાખ કારનું ઉત્પાદન કર્યું હતું. પહેલા 10 લાખ કાર માટે 45 મહિના, બીજી 10 લાખ માટે  25 અને ત્રીજી 10 લાખ કાર માટે કંપનીને 17 મહિના લાગ્યા હતા. જે દર્શાવે છે કે કંપની કારનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે.

સુઝુકી ગ્લોબલની 23 ટકા કારનું હાંસલપુર પ્લાન્ટમાં નિર્માણ

જાપાનની કંપની સુઝુકી માટે ભારત સૌથી મોટું બજાર છે. વિશ્વની બજારમાં સુઝુકીએ 2023માં 32 લાખ કારનું ઉત્પાદન અને વેચાણ કર્યું હતું. એમાંથી 7.5 લાખ કે 23.4 ટકા કારનું વેચાણ ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં થયું હતું.

મારૂતિ સુઝુકીની નિકાસમાં ગુજરાતનો 50 ટકા હિસ્સો

મારૂતિ સુઝુકી ભારતમાં કાર બનાવી તેની નિકાસ પણ કરે છે. કંપની દ્વારા થતી કુલ નિકાસમાંથી હાંસલપુર પ્લાન્ટનો ભાગ 50 ટકા જેટલો  છે. હાંસલપુર પ્લાન્ટમાં સુઝુકી બલેનો, સ્વીફ્ટ, ડીઝાયર, ફ્રોન્ક્સ અને ટુર એસ એમ પાંચ મોડેલ બનાવે છે. કંપનીનો પ્લાન્ટ અત્યારે પૂર્ણ કક્ષાએ ચાલી રહ્યો છે અને તેમાં 3200 લોકો કામ કરી રહ્યા છે. ઉપરાંત કંપનીને માલ સપ્લાય કરતા 90 એકમો ગુજરાતમાં કાર્યરત છે અને અન્ય મળી લગભગ એક લાખ લોકોને રોજગારી મળી રહી હોવાનો કંપનીએ દાવો કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.