Abtak Media Google News

27મીએ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટ મેચને લઈને ટ્રાફિકમાં કોઈ અડચણ ઉભી ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાજકોટ તરફ આવતા વાહનો માટે ટ્રાફિક ડાયર્વઝન રુટ જાહેર કર્યા છે. જેમાં  ભારે વાહનોને જામનગરથી પડધરી અને ત્યાંથી મિતાણા અથવા તો ટંકારા થઈને રાજકોટ આવવા આદેશ કરાયો છે.

ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચને લઈને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક કલેક્ટરનું જાહેરનામું : જાહેરનામુ તા.27એ સવારે 9થી તા.28એ રાત્રે 3 વાગ્યા સુધી અમલમાં રહેશે

તા. 27 સપ્ટેમ્બરના રોજ ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટ મેચ પડધરી પોલીસ સ્ટેશનના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. મેચમાં આશરે 30 હજાર પ્રેક્ષકો વાહન સાથે આવનાર છે. આ સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે રોડ પર હોવાથી હાઈવે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોઈ ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકજામ નિવારવા માટે તા.27 સપ્ટેમ્બર સવારે 9 કલાકથી તા.28 સપ્ટેમ્બર રાત્રે 3 કલાક સુધી જામનગર થી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને( ટ્રક,ટેન્કર, ટ્રેલર વગેરે ) પડધરી- મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી પડધરી-નેકનામ- મીતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન દ્વારા આવશે અથવા ટંકારા થઈ રાજકોટ તરફ આવશે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,રાજકોટ એસ.જે. ખાચર દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

આ હુકમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચના કામે ફરજ પર રોકેલા વાહનો, એસ.ટી બસ, સરકારી વાહનો, શબવાહિની, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર જેવા વાહનો તેમજ જે લોકો ક્રિકેટ બોર્ડની ટિકિટ ખરીદીને કે પાસના આધારે ક્રિકેટ મેચ નિહાળવા ખંઢેરી સ્ટેડિયમ જતા હોય તેવા વાહન ચાલકોને અને ખંઢેરી સ્ટેડિયમની આસપાસના ગામોમાં રહેતા હોય જેનો આધારભૂત પુરાવો રજૂ કરે તેવા વાહનોને લાગુ પડશે નહીં. આ આદેશનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.