Abtak Media Google News

ગુજરાતના પાટીદારોમાં જેન્ડર રેશિયોમાં મોટો તફાવત હોવાથી અને અન્ય રાજયોમાં દહેજ-વ્યસનનું દુષણ હોવાથી આંતરરાજય લગ્ન યોજાશે

ગુજરાતના પાટીદાર આંદોલનકર્તાઓ મહારાષ્ટ્રમાં મરાઠાઓનો સહારો લઈ ઓબીસી કવોટા મેળવવાની કોશિશ કરી રહ્યા છે. તેના માટે તે મેરેજ કવોટા જીતવા માટે સમગ્ર ભારતમાં પોતાના તાર ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યાં સુધી કે દેશભરના પાટીદારો આંતરરાજય લગ્ન કરવાની પણ તૈયારી બતાવી રહ્યાં છે. ગુજરાતના પાટીદારો કુર્મી ક્ષત્રિય મહાસભા છતીસગઢ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાના કુર્મી સમાજના પરિવારો સાથે સંબંધ વધારવાની કોશીશ કરી રહ્યા છે. જેથી પાટીદાર સમાજના લોકો લગ્ન કરી શકે.

અમદાવાદમાં આવેલા બાપુનગર વિસ્તારમાં ૫૦૦૦ પાટીદાર યુવકો અને બાકી ત્રણ રાજયોની ૨૦૦ યુવતીઓને સાથે રાખી ૪ થી ૭ જાન્યુઆરીએ સામુહિક લગ્નનું આયોજન કરવામાં આવી રહયું છે. આયોજકોનું કહેવું છે કે ચારે રાજયો વચ્ચે આ આયોજન પટેલ સમાજમાં દિકરીઓની ઘટતી સંખ્યાને કારણે કરવામાં આવી રહ્યું છે. એક સર્વે પ્રમાણે પાટીદારોમાં ૧ હજાર યુવકોની સામે ૭૦૦ યુવતીઓ છે. જેને કારણે લગ્ન કરવામાં યુવકો-યુવતીઓને તકલીફ પડી રહી છે.

મહત્વનું છે કે આ સમુહ લગ્નમાં લગ્નની કેટલીક પૂર્વ શરતો પણ રાખવામાં આવી છે. જેમાં લગ્નોત્સુક યુવકની ઉંમર ૨૫ થી ૨૭ વર્ષ, ૨૦ હજારથી વધુની આવક અને અમદાવાદમાં પોતાનું મકાન છે. આ સાથે યુવકમાં કોઈપણ પ્રકારના વ્યસન ન કરતો હોવો જોઈએ અને કોઈ મોટી વ્યકિતએ આ અંગેની જવાબદારી લેવાની રહેશે. છતિસગઢની કુર્મી મહાસભાનું કહેવું છે કે છતિસગઢમાં દિકરીઓ લગ્ન કરાવવા ખુબ જ ખર્ચાળ છે. જયારે ગુજરાતમાં દહેજ પ્રથા તેમજ અન્ય કુરિવાજો અને વ્યસનથી યુવકો દુર છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આગામી ૪ થી ૭ જાન્યુઆરીએ હરીદાસ બાપુની વાડીમાં આ આંતર રાજય લગ્નનું ખુબ જ મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.