Abtak Media Google News

વ્યાજંકવાદી સામે ફરિયાદ નોંધાવવા માટે લાંચ માગતાં એસીબીએ છટકું ગોઠવીને પોલીસ સ્ટેશનમાં જ રંગેહાથ ઝડપ્યા

પૂર્વ કચ્છ પોલીસ વિભાગ હેઠળનાં ભચાઉ પોલીસ સ્ટેશનના પી.આઇ.(વર્ગ-2) એ.બી.પટેલ તેમજ તેમના રાઇટર રૂ.5 લાખની લાંચ લેતા ભુજ એસીબીએ રંગેહાથ પકડી પાડ્યા હતા. પી.આઇ અને તેના રાઇટરે વ્યાજખોરો સામે ફરિયાદ નોધવા લાંચ માગતા એસીબીએ બંનેને પોલીસ સ્ટેશનમાં પકડી પાડતાં હતાં અને બંને સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

એસીબીમાંથી મળતી વિગતો અનુસાર ફરિયાદીએ ખાનગી વ્યક્તિઓ પાસેથી નાણાં વ્યાજે લીધા હતા. ત્યારબાદ વ્યાજની ઉઘરાણી માટે ખાનગી વ્યક્તિઓ તરફથી હેરાનગતિ અને કનડગત કરવામાં આવી રહી હતી.તેથી તેમની વિરુદ્ધ ફરિયાદીએ વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશ અન્વયે ફરિયાદ આપવા ભચાઉ પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.બી.પટેલનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાનમાં પી.આઇ. એ. બી. પટેલે ફરિયાદ નોંધવા માટે રૂ.5 લાખની લાંચ માગી હતી, જે લાંચની રકમ ફરિયાદી આપવા ઇચ્છતા ન હોઈ તેમણે એ.સી. બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.જેના આધારે એસીબીએ ભચાઉ પોલીસ સ્ટેશનમાં જ લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેમાં પી.આઇ.એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની માગણી કરી લાંચની રકમ પોતાના રાઈટર અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ સરતાનભાઈ કરમણભાઈ કણોલને આપવાનું કહ્યું હતું. .

બાદમાં ફરિયાદીએ રકમ આપતાં પીઆઈના રાઈટર સરતાનભાઇએ રૂ.5 લાખની લાંચ સ્વીકારતાં બંને આરોપીઓને એસીએ પોલીસ સ્ટેશનમાં જ પકડી પાડ્યા હતા. એસીબીએ પી.આઇ. તથા રાઇટરની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં એસીબી ગાંધીધામના પી.આઇ. વી.એસ. વાઘેલા તેમજ સુપરવિઝનમાં એસીબી બોર્ડર એકમ, ભુજના મદદનીશ નિયામક કે. એચ.ગોહિલ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.