Abtak Media Google News

(ઓશો ધાર્મિક બાબતો અંગે ઘણી જ કટ્ટર વિચારધારા ધરાવતાં હતાં. તેમનું બાળપણનું નામ ચંદ્રમોહન! ઓશોવાણીમાં તેમણે બહુ બધી વખત તમામ ધર્મો વિશે થોડી અલગ રીતે નોન-ઓર્થોડોક્સ સ્ટાઇલમાં વાતો કરી છે, જેનાં લીધે તેમનો વિરોધ કરનારાઓની સંખ્યાનો કોઇ તોટો નહોતો.)

મોટાભાગે ધર્મને તપ-સાધના-મૌન-હઠયોગ અને સાંસારિક અલિપ્તતા સાથે જોડવામાં આવ્યો છે. દરેક સમુદાય પાસે પોતપોતાનો અલાયદો ધાર્મિક ગ્રંથ અથવા કિતાબ છે, જેમાં જીવનને સુચારૂ તેમજ દાનત-નીતિ-ધર્મ સાથે જીવવાનાં પેચીદા સંદેશ આપવામાં આવ્યા છે. પેચીદા એટલા માટે કારણકે ભાષાનાં વૈભવથી અજાણ એવી એકવીસમી સદીની પેઢી, ગ્રંથોમાંના હાય-ઇન્ટેલેક્ચ્યુલ (ઉચ્ચ બુદ્ધિક્ષમતા) નોલેજને પચાવી શકવા અસક્ષમ છે. કોઇપણ ઉપયોગી વાતને ગળે ઉતારવા માટે તેને શક્ય એટલી સરળતાપૂર્વક અને રસપ્રદ અંદાજમાં કહેવી જરૂરી છે. આજે આવા જ દસ સ્પિરિચ્યુઅલ લીડર્સ વિશે આપણે વાત કરવાનાં છીએ, જેમણે ધર્મ સાથે મિત્રતા બાંધી વિશ્વને એનો પરિચય કરાવ્યો!

જગ્ગી વાસુદેવ – સદગુરૂ

‘ઇશા ફાઉન્ડેશન’નાં સ્થાપક અને ભારતનાં સ્ટાયલિશ મોડર્ન ગુરૂમાં જેમની ગણના થાય છે એવા જગ્ગી વાસુદેવનો જન્મ મૂળ તો કર્ણાટકનાં મૈસુરમાં! 3 સપ્ટેમ્બર, 1957નાં રોજ જગદીશ વાસુદેવને હાલ આપણે સદગુરૂ તરીકે ઓળખીએ છીએ. નાનપણથી યોગ-અધ્યાત્મનો પૂરેપૂરો અભ્યાસ એટલે મોટા થઈને પણ કુદરત અને પ્રકૃતિનાં ખોળે બેસીને પ્રવાસો સાથે તાદાત્મ્ય જળવાયેલું રહ્યું. 23 સપ્ટેમ્બર, 1982નો બપોરનો સમય અને જગ્ગી વાસુદેવને ‘ચામુંડી’ ટેકરી પર લગભગ સાડા ચાર કલાક સુધી કોઇક અલૌકિક પ્રકારની શક્તિનો અહેસાસ થયો. તેમને પોતાનું જીવન અધ્યાત્મ માટે સમર્પિત કરી દેવું જોઇએ એવી ભાવના થઈ આવી! 1992ની સાલમાં સદગુરૂએ ‘ઇશા ફાઉન્ડેશન’ નામનાં નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી, જેમાં વિવિધ પ્રકારની યોગક્રિયાનો અભ્યાસ કરાવવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આજદિન સુધીમાં તેમણે કોઇ પ્રકારનાં ધર્મગ્રંથો, ગીતા, કુરાન, બાઇબલ, વેદ-પુરાણનું અધ્યયન નથી કર્યુ! આજે ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં તેમની સ્પિરિચ્યુઅલ લીડરશીપ હેઠળ કરોડો ભક્તો ધર્મ પ્રત્યેની આસ્થામાં તરબોળ થઈ રહ્યા છે.

ઓશો – આચાર્ય રજનીશ

ભારતની સાથોસાથ અમેરિકામાં પણ પોતાની ઓશોવાણી થકી એટલા જ લોકપ્રિય થયા હોય એ આચાર્ય રજનીશ, જીવનભર ઘણા બધા વિવાદોની વચ્ચે ઘેરાયેલા રહ્યા! કેટલાકે એમને સ્પિરિચ્યુલ ગુરૂ કહ્યા તો કેટલાકે સેક્સ ગુરૂ..!! મધ્યપ્રદેશનાં એક નાનકડા ગામડામાં પરિવારનાં અગિયારમા સંતાન તરીકે જન્મેલા ઓશો ધાર્મિક બાબતો અંગે ઘણી જ કટ્ટર વિચારધારા ધરાવતાં હતાં. તેમનું બાળપણનું નામ ચંદ્રમોહન! ઓશોવાણીમાં તેમણે બહુ બધી વખત તમામ ધર્મો વિશે થોડી અલગ રીતે નોન-ઓર્થોડોક્સ સ્ટાઇલમાં વાતો કરી છે, જેનાં લીધે તેમનો વિરોધ કરનારાઓની સંખ્યાનો કોઇ તોટો નહોતો. તેમની વાણીમાં એવા પ્રકારનો જાદુ હતો કે, ઇચ્છા હોવા છતાં પણ તેમનાં વિરોધીઓને દલીલ કરવા માટેનાં મુદ્દા નહોતાં મળી શકતાં! થોડા સમય પહેલા જ નેટફ્લિક્સે ઓશોનાં જીવન પર ‘વાઇલ્ડ વાઇલ્ડ ક્ધટ્રી’ નામની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રીલિઝ કરી છે. તેમનાં ઓરિજિનલ વીડિયો અને ભક્તગણનાં ઇન્ટરવ્યુ થકી સીરિઝ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પૂરવાર થઈ છે.

પરમહંસ યોગાનંદ

સન 1910માં સ્વામી યુક્તેશ્વર ગીરી પાસેથી આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યા બાદ પરમહંસ યોગાનંદ અમેરિકા ગયા અને ત્યાં તેમણે ભારતીય સંસ્કૃતિમાં રસ ધરાવતાં અમેરિકનોને યોગ શીખવવાનું શરૂ કર્યા. અમેરિકામાં યોગ-કલ્ચર શરૂ કરનારા પાયારૂપ ગુરૂની યાદીમાં તેમનું નામ આજે પણ મોખરે છે. ‘ફાધર ઓફ યોગ’ (યોગ-પિતા)નાં હુલામણા નામે જાણીતાં પરમહંસ યોગાનંદના પુસ્તક ‘ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી’નો સમાવેશ 20મી સદીની સૌથી મહત્વની 100 આધ્યાત્મિક કિતાબોમાં થાય છે! મૃત્યુનાં થોડા દિવસ અગાઉ એમને પોતાનાં દેહાવસાનનો પૂર્વાભાસ થઈ ચૂક્યો હતો, આથી 7 માર્ચ, 1952નાં રોજ તેમણે જાતે જ મહાસમાધિ લઈને નશ્ર્વર દેહનો સદાયને માટે ત્યાગ કર્યો!

સ્વામી વિવેકાનંદ

આ વિભૂતિ વિશે આમ તો કશું કહેવા જેવું બચ્યું જ નથી. સમગ્ર વિશ્વ એમનાં તેજોમય વ્યક્તિત્વથી બહુ જ સારી રીતે પરિચિત છે. ઓગણીસમી અને વીસમી સદીમાં ભારતીયોનાં દિલમાં રાષ્ટ્રવાદ જગાવવા પાછળ તેમનો ફાળો ઘણો અગત્યનો રહ્યો. 11 સપ્ટેમ્બર, 1893માં શિકાગો વિશ્વ ધર્મ પરિષદ ખાતે તેમણે આપેલી સ્પીચનાં પડઘા હજુ સુધી પશ્ચિમી જગતમાં સંભળાતાં રહ્યા છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસમાં અતૂટ વિશ્વાસ ધરાવનારા સ્વામી વિવેકાનંદનું સૌથી નોટેબલ વર્ક – કર્મ યોગ, રાજ યોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ છે. ભગવદગીતા, વેદ-પુરાણ અને ઉપનિષદનાં પ્રખર જ્ઞાતા એવા સ્વામી વિવેકાનંદની યાદીમાં આજેપણ આપણો દેશ દર વર્ષે 12મી જાન્યુઆરીએ ‘નેશનલ યુથ ડે’ની ઉજવણી કરે છે.

દલાઇ લામા

ઘાટ્ટા મરૂન અને ચળકતાં પીળા રંગનો પારંપરિક પોશાક પહેરતાં બૌદ્ધ તિબેટિયન સાધુની વાત નીકળે ત્યારે દલાઈ લામાનો ઉલ્લેખ એમાં સૌપ્રથમ કરવો પડે. એમનું મૂળ નામ તેન્ઝિન ગ્યાત્સો! 1935માં જન્મેલા દલાઈ લામાની ઉંમર જિંદગીનાં આઠ દાયકા પૂરા કરી ચૂકી છે. ફક્ત સ્પિરિચ્યુઅલી જ નહીં, પરંતુ રાજકારણ અને મીડિયા ક્ષેત્રે પણ તેમનું નામ સતત ગૂંજતું રહે છે. તેઓ 1989ની સાલમાં શાંતિ માટે નોબેલ પ્રાઇઝ જીતી ચૂક્યા છે. પોતાને ‘દલાઇ લામા’નો તેરમો અવતાર માનતાં તેન્ઝિન ગ્યાત્સોએ ઘણી વખત ઇન્ટરવ્યુમાં એમનાં હવે પછીનાં આખરી ‘દલાઈ લામા’ અવતાર વિશે આશંકા વ્યક્ત કરી છે.

પોપ ફ્રાન્સિસ

રોમન કેથલિક ચર્ચનાં 266મા પોપની ગાદી પર બિરાજમાન પોપ ફ્રાન્સિસ, અમેરિકાનાં પહેલા-વહેલા નોન-યુરોપિયન પોપ છે! આર્જેન્ટિના ખાતે જન્મેલા જોર્જ મારિયો બર્ગોગ્લિયો ઉર્ફે પોપ ફ્રાન્સિસે અભ્યાસ-

કાળ દરમિયાન કેમિકલ ટેક્નિશિયન તરીકે પણ કામ કર્યુ છે. પાદરી બનવા પ્રત્યેનો તેમનો પોતાનો ઉત્સાહ એમને ધીરે ધીરે અધ્યાત્મનાં માર્ગે દોરી ગયો. 81 વર્ષનાં પોપ ફ્રાન્સિસે હોમોસેક્સ્યુઆલિટીનાં તરફેણમાં પોતાનો મત આપ્યો છે. તેમણે સતત સમલિંગી લગ્નોને માન્યતા આપવાની વાત કહી છે.

શ્રી શ્રી રવિશંકર મહારાજ

ફક્ત 17 વર્ષની કાચી ઉંમરે વૈદિક લિટરેચરમાં ડિગ્રી હાંસિલ કરી ચૂકેલા શ્રી શ્રી રવિશંકર મહારાજે ચાર વર્ષની ઉંમરે પોતાનાં માતા-પિતા સાથે બેસીને ધ્યાન-પ્રાણાયામ કરવાનું શરૂ કરી દીધું હતું! 1982ની સાલમાં ‘આર્ટ ઓફ લિવિંગ’ની સ્થાપના કર્યા બાદ તેનો સૌપ્રથમ પ્રયોગ યુરોપ, સ્વિત્ઝરલેન્ડ ખાતે કરવામાં આવ્યો. 80નાં દાયકાનાં અંતિમ ચરણમાં તેમણે ‘સુદર્શન ક્રિયા’ વડે શ્વાસોચ્છવાસ પર નિયંત્રણ લાવવા વિશેનું જ્ઞાન પૂરું પાડ્યું. 152થી વધુ દેશોમાં આર્ટ ઓફ લિવિંગની વિવિધ શાખાઓ ખોલ્યા બાદ, ‘ફોર્બ્સ ઇન્ડિયા 2009’નાં સૌથી પાવરફુલ લોકોની યાદીમાં તેમને પાંચમું સ્થાન મળ્યું છે. તદુપરાંત, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો તરફથી અગણિત સન્માનપત્રો અને અવોર્ડ્સ તો ખરા જ! ગૌરવપ્રદ વાત એ છે કે, અમેરિકન નાસા વૈજ્ઞાનિકોને ‘આર્ટ ઓફ લિવિંગ’નો કોર્ષ ટ્રેનિંગ-પ્રોગ્રામમાં ભણાવવામાં આવે છે.

માતા અમૃતાનંદમયી

જન્મ સમયે ચહેરા પર અલૌકિક મલકાટ સાથે જેમણે સૃષ્ટિમાં પ્રવેશ કર્યો એવા માતા અમૃતાનંદમયી વિશે એવું કહેવામાં આવે છે કે, જન્મતાંવેંત જ તેમને સૃષ્ટિની ક્ષણભંગુરતાનો અહેસાસ થઈ જવાને કારણે તેઓ રડ્યા નહોતાં! બાળપણમાં સુધામણિનાં હુલામણા નામે જાણીતાં માતા અમૃતાનંદમયીને પુખ્ત વય સુધીમાં પોતાની અંદર જગતમાતાનો વાસ હોવાની પ્રતીતિ થઈ આવી. પોતાનાં ભક્તોને આશીર્વાદ આપવાની તેમની રીત અન્યો કરતાં ઘણી અલગ છે. તેઓ શ્રી એમની શરણે આવેલા ભક્તજનને ગળાસરીખો ચાપીને એને મમતાસભર આલિંગન આપે છે. અત્યારસુધીમાં સમગ્ર વિશ્વનાં કુલ 3 કરોડ 30 લાખ કરતાં પણ વધુ ભક્તજનોએ માતા અમૃતાનંદમયી પાસેથી આલિંગન મેળવી મમતા અને વ્હાલનો અનુભવ કર્યો છે.

શ્રી ઓરોબિંદો

યુનાઇટેડ કિંગ્ડમ (યુકે)માંથી ઉચ્ચ ડિગ્રી મેળવીને અધ્યાત્મ સાથે નાતો જોડનારા શ્રી ઓરોબિંદો હાલ તો આપણી વચ્ચે મૌજૂદ નથી. એમનું આખું નામ હતું : ઓરોબિંદો ઘોષ! સિવિલ સર્વન્ટ તરીકે ‘મહારાજા ઓફ સ્ટેટ ઓફ બરોડા’ને ત્યાં સેવા આપી ચૂકેલા શ્રી ઓરોબિંદો બ્રિટિશકાળ દરમિયાન અંગ્રેજોનાં શાસન વિરૂદ્ધમાં ઘણા પ્રવૃત રહ્યા. એ વખતે જ તેમનું નામ યોગિક-સ્પિરિચ્યુઅલ ગુરૂ તરીકે ઉભરી રહ્યું હતું. એપ્રિલ 1910માં કોઇને કહ્યા વગર તેઓ પોંડિચેરી શિફ્ટ થઈ ગયા, જેથી એક નવી આધ્યાત્મિક જિંદગીનો પ્રારંભ કરી શકાય. સાહિત્ય અને શાંતિવાહક એમ બંને કેટેગરી માટે એમને નોબેલ પ્રાઇઝ નોમિનેશન મળ્યું હતું. ‘શ્રી ઓરોબિંદો આશ્રમ’ સ્થાપ્યા બાદ 1950માં તેમનું દેહાવસાન થયું.

મધર ટેરેસા

એમનો જન્મ અલ્બાનિયા દેશમાં અને અવસાન ભારત (કોલકાત્તા)માં! પોતાનું સમગ્ર જીવન લોકસેવાનાં કાર્યમાં સમર્પિત કરી દેનાર મધર ટેરેસાએ કોલકાતામાં ‘મિશનરીઝ ઓફ ચેરિટી’ નામની સંસ્થા શરૂ કરી હતી, જેમાં ગરીબો પરત્વે વિશેષ લક્ષ સેવવામાં આવે! તેમને અનાયત થયેલા નોબેલ પ્રાઇઝને નકારી, તેમણે

પોતાનાં હિસ્સે આવતી 1 લાખ 92 હજાર ડોલર જેટલી રકમ ભારતનાં ગરીબો માટેનાં ભલાઈકાર્યમાં વાપરી નાંખવાનો આગ્રહ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.