Abtak Media Google News

ભારત અનેક ધર્મ,સંપ્રદાય,મત અને વિવિધ આસ્થાઓ તેમજ વિશ્વાસનો મહાદેશ છે

આપણી પ્રાચીન સંસ્કૃતિની ધરોહર એટલી બધી સમૃદ્ધ છે કે તેમણે એક સમયે સમસ્ત જગતને પોતાના રંગમાં રંગી દીધું હતું.ઇતિહાસકારો મુજબ એક સમયે અમેરિકા ભારતની એક પ્રકારે કોલોની હતી.જ્યાં શિવ,ગણેશ,ઇન્દ્ર,સૂર્ય અને અગ્નિ જેવા દેવી દેવતાઓને પૂજવામાં આવતા હતા.

સન્ 1927માં પેરુ અમેરિકામાં અમેરિકી તથા મિશ્રની પુરાતત્વીય વિભાગની ટીમના સંયુક્ત પ્રયાસોથી ખોદકામ કરવામાં આવ્યું,ત્યારે ખોદકામમાં એક એવું શિવ ત્રિશુલ મળ્યું,જેની લંબાઈ 850 ફૂટ છે.તેની સાથે 20 ટન ભારે અને 24 ટન ઊંચી એક શિવલિંગ પણ મળી,જેના પર ગ્રહ,નક્ષત્રોની અંતરિક્ષ સ્થિતિઓ દર્શાવવામાં આવી છે.સમયની ગણતરી પ્રમાણે એનો સમય 27000 વર્ષ પહેલાંનો માનવામાં આવે છે.આ સાથે જ મેક્સિકોમાં કરવામાં આવેલ પુરાતત્વીય ખોદકામમાં એક સૂર્ય મંદિરના અવશેષો મળ્યાં છે.જેમાં 10 ટન ભારે સૂર્ય પ્રતિમા તેમજ ત્રણ કતારોમાં ઉપલબ્ધ 48 પ્રતિમાઓ પણ એ સમયના ભારતીય કલા તેમજ સંસ્કૃતિની સાક્ષી છે.

મેક્સિકોમાં દર વર્ષે ’રામ સીતવા’ તહેવાર ભારે ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે.જેમાં રામલીલાની ઝાંખી દર્શાવવામાં આવે છે.મેક્સિકોના જ પ્રાચીન મંદિર ’કોપન’ની દીવાલો પર હાથી પર સવાર મહાવતના ભીંત ચિત્રો,મુંડધારી શિવ,અનંત વાસુકી, તક્ષક અને સૂર્ય વગેરે ભારતીય ચિત્રકલાની અંકિત અમિટ છાપ જોવા મળે છે.

આ પ્રમાણે મિશ્રના ગાજા પિરામિડની અંદર ત્યાંના રાજાઓના હજારો વર્ષ પહેલાના સુરક્ષિત શબના માથા નીચે રાખવામાં આવેલા સોનાના વરખમાં મઢેલાં ઓશિકામાં ભગવાન સૂર્યનું ચિત્ર અંકિત કરેલું છે.સૂર્ય તરફ જઈ રહેલી એક ગાયનું ચિત્ર છે.જેની પૂંછડી પકડેલા એક માણસની આકૃતિ છે.જે ગાયની પૂંછડી પકડીને વૈતરણી પાર કરવાનો સંદેશ આપતી જોવા મળે છે.કહેવામાં આવે છે કે, ભૂતકાળમાં આ સૂર્યવંશી રાજાઓનું રાજ્ય હતું.

એ વાત તો સિદ્ધ થઈ ગઈ છે કે,ભારતીય સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિઓ માહેની એક છે.મધ્યપ્રદેશના ભીમબેટકામાં મળી આવેલા શૈલ ચિત્ર,નર્મદા ઘાટીમાં કરવામાં આવેલ ખોદકામ અને કેટલાક અન્ય નૃવંશીય તેમજ પુરાતત્વીય પ્રમાણો પરથી એ સાબિત થઈ ગયું છે કે,ભારતીય ભૂમિ આદિમાનવની પ્રાચીનતમ કર્મ ભૂમિ રહેવા પામી છે.સિંધુ ઘાટીની સભ્યતાના વિવરણ પરથી પણ સાબિત થાય છે કે,આજથી લગભગ 5000 વર્ષ પહેલાં ઉત્તર ભારતના મોટાભાગમાં ઊંચા પ્રકારની સંસ્કૃતિનો વિકાસ થઈ ચૂક્યો હતો.આ પ્રકારે વેદોમાં પ્રતિબિંબ ભારતીય સંસ્કૃતિ ન તો માત્ર પ્રાચીનતાનું પ્રમાણ છે,બલકે તે ભારતીય અધ્યાત્મ અને ચિંતનની પણ શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે.

ભારતીય સંસ્કૃતિની એક મહત્વની વિશેષતા એ રહી છે કે,હજારો વર્ષો પછી પણ આ સંસ્કૃતિ આજે પણ પોતાના મૂળ સ્વરૂપે જીવિત છે.ભારતીય સંસ્કૃતિની સહિષ્ણુતા અને ઉદારતાને લીધે તેમાં ગ્રહણશીલતા પ્રવૃત્તિને વિકસિત કરવાનો અવસર મળ્યો.વાસ્તવમાં જે સંસ્કૃતિમાં લોકતંત્ર તેમજ ટકાઉપણાના આધાર વિશાળ હોય,એ સંસ્કૃતિમાં ગ્રહણશીલતાની પ્રવૃત્તિ સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થઈ જાય છે.આપણી સંસ્કૃતિમાં અહીં મૂળ નિવાસીઓએ સમન્વયની પ્રક્રિયાની સાથે જ બહારથી આવવા વાળા શક,હૂણ,યુનાની તેમજ કૃષાણ જેવી પ્રજાતિઓના લોકો પણ હળી મળીને પોતાની ઓળખ ભૂલી ગયા.

ભારતમાં ઈસ્લામી સંસ્કૃતિનું આગમન પણ અરબો,તુર્કો અને મોગલોના માધ્યમથી થયું છે.તેમ છતાં ભારતીય સંસ્કૃતિનું અલગ અસ્તિત્વ ટકી રહ્યું છે.નવી આવેલી સંસ્કૃતિમાંથી કોઈ સારી બાબતો ગ્રહણ કરવામાં ભારતીય સંસ્કૃતિએ સંકોચ નથી રાખ્યો.બરાબર આ જ સ્થિતિ યુરોપીય જાતિઓના આવવાથી અને બ્રિટિશ સામ્રાજ્યના કારણે ભારતમાં વિકસિત થયેલી ઈસાઈ સંસ્કૃતિને પણ લાગુ પડે છે.જોકે આ સંસ્કૃતિઓ હવે ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.તેમ છતાં ’ભારતીય ઈસ્લામ’ તેમ જ ’ભારતીય ઈસાઈ’ સંસ્કૃતિનું સ્વરૂપ વિશ્વના અન્ય ઈસ્લામી કે ઈસાઈ ધર્માવલંબી દેશોમાં થોડું અલગ છે.આ ભિન્નતાનું મૂળભૂત કારણ એ છે કે ભારતના મોટા ભાગના મુસ્લિમ અને ઈસાઈ મૂળભૂત રીતે ભારતભૂમિના જ નિવાસી છે.સંભવત: આથી કરીને તેમના સામાજિક પરિવેશ અને સાંસ્કૃતિક આચરણમાં કોઈ પરિવર્તન થવા નથી પામ્યું.ભારતીયતાજ એમની ઓળખાણ બની ગઈ છે.

ભારતીય સંસ્કૃતિમાં આશ્રમ વ્યવસ્થાની સાથે સાથે ધર્મ,અર્થ,કામ અને મોક્ષ જેવા ચાર પુરુષાર્થોનું વિશિષ્ઠ  સ્થાન રહેવા પામ્યું છે.વાસ્તવમાં આ પુરુષાર્થોએ જ ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મકતાની સાથે ભૌતિકતાનો એક અદ્ભુત સમન્વય કર્યો છે.આપણી સંસ્કૃતિમાં જીવનના બિનસાંપ્રદાયિક અને ગુણાતીત બંને પાસાંઓથી ધર્મને જોડ્યો હતો.

ધર્મ એ સિદ્ધાંતો,તત્વો અને જીવન પ્રણાલીને કહેવામાં આવે છે,જેમાં પરમાત્મા દ્વારા પૂરી પાડવામાં આવેલી શક્તિઓના વિકાસથી માનવ જાતિ પોતાનું લૌકિક જીવન સુખી બનાવી શકે.તેમજ મૃત્યુ પછી આત્મા શાંતિનો અનુભવ કરી શકે.શરીર નશ્વર છે.આત્મા અમર છે.આ વાત અમરતા અને મોક્ષ સાથે જોડાયેલી છે.મોક્ષ મેળવવા માટે અર્થ અને કામનો પુરુષાર્થ કરવો પણ જરૂરી છે.આ પ્રમાણે ભારતીય સંસ્કૃતિમાં ધર્મ અને મોક્ષ,આધ્યાત્મિક સંદેશ તેમજ અર્થ અને કામની ભૌતિક અનિવાર્યતા પરસ્પર જોડાયેલી છે.

આધ્યાત્મિકતાના અને ભૌતિકતાના આ સમન્વયમાં ભારતીય સંસ્કૃતિની એ વિશિષ્ટ માન્યતા પ્રતિબિંબ થાય છે,જે મનુષ્યના આલોક અને પરલોકને સુખી બનાવવા માટે ભારતીય રહસ્યવાદીઓએ બનાવી હતી.સુખી માનવજીવન માટે આવી ચિંતા વિશ્વની બીજી સંસ્કૃતિઓ નથી કરતી.સાહિત્ય,સંગીત અને કલાની સંપૂર્ણ વિદ્યાઓના માધ્યમથી પણ ભારતીય સંસ્કૃતિના આ આધ્યાત્મિક અને ભૌતિક સમન્વયને સરળ રીતે સમજી શકાય છે.

અનેક વિભિન્નતા હોવા છતાં ભારતની અલગ સાંસ્કૃતિક સત્તા રહેવા પામી છે.હિમાલય સમગ્ર દેશના ગૌરવનું પ્રતીક બની રહ્યો છે.ગંગા,યમુના અને નર્મદા જેવી નદીઓની સ્તુતિ અહીંના લોકો પ્રાચીનકાળથી કરતા આવ્યા છે.રામ,કૃષ્ણ અને શિવની આરાધના અહીંયા સદીઓથી કરવામાં આવે છે.ભારતની બધી ભાષાઓમાં આ દેવતાઓ પર આધારિત સાહિત્યનું સર્જન થયું છે.ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી સંપૂર્ણ ભારતમાં જન્મ,વિવાહ અને મૃત્યુના સંસ્કાર એક સમાન પ્રચલિત છે.

વિભિન્ન રીત રિવાજ,આચાર વ્યવહાર અને તહેવારોમાં પણ સમાનતા છે.ભાષામાં વિવિધતા ચોક્કસ છે,તેમ છતાં સંગીત,નૃત્ય અને નાટ્ય કલાના મૌલિક સ્વરૂપોમાં પણ આશ્ચર્યજનક સમાનતા છે.સંગીતના સાત સ્વર અને નૃત્યના ત્રણ તાલ સમગ્ર ભારતમાં સમાન રીતે પ્રચલિત છે.ભારત અનેક ધર્મ,સંપ્રદાય,મત અને વિવિધ આસ્થાઓ તેમજ વિશ્વાસનો મહાદેશ છે,તેમ છતાં તેમનું સાંસ્કૃતિકતાનું સ્વરૂપ અને અનેકતામાં એકતાનું સ્વરૂપ વિશ્વના અન્ય દેશો માટે નવાઈનો વિષય રહેવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.