Abtak Media Google News

ગુજરાત કી હવા મે વ્યાપાર હૈ…

ગુજરાત સરકારની શેરબજારમાં લિસ્ટેડ 7 કંપનીઓ સહિત અન્ય કેટલાક તેના જાહેર સાહસો માટે નવી પોલિસી જાહેર

ગુજરાત કી હવા મે વ્યાપાર હૈ…! સામાન્ય રિતે સરકારી કંપનીઓ ખોટમાં ચાલતી હોય તેવી માન્યતા છે. પણ ગુજરાત સરકારની કંપનીઓએ આ માન્યતા ખોટી ઠરાવી છે. ઉપરથી હવે આ કંપનીઓ રોકાણકારોને સારૂ વળતર અને બોનસ સહિતની લ્હાણી પણ કરવાની છે.

ગુજરાત સરકારની શેરબજારમાં લિસ્ટેડ 7 કંપનીઓ સહિત અન્ય કેટલાક તેના જાહેર સાહસો માટે નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. જે અંતગર્ત આ કંપનીઓએ કરવેરા પછીના નફા-પ્રોફિટ આફ્ટર ટેક્સના લઘુતમ 30 ટકા અથવા નેટવર્થના 5 ટકા, બેમાંથી જે વધારે હોય તે શેરહોલ્ડર્સ માટે જાહેર કરાયેલા ડિવિડન્ડનું મિનિમલ લેવલ હોવું જોઈએ, કંપનીઓએ ડિવિડન્ડનું મેક્સિમમ પરમિસિબલ લેવલ જાહેર કરવું પડશે.

જે કંપનીની નેટવર્થ ઓછામાં ઓછી 3. 2 હજાર કરોડ હોય અને બેન્ક બેલેન્સ ઓછામાં ઓછું 3. 1 હજાર કરોડ હોય તે દરેક કંપની-પીએસયુને આ નવી પોલિસી હેઠળ પોતાના શેર બાયબેક કરવાના વિકલ્પનો ઉપયોગ કરવાની પણ સૂચના અપાઇ છે. જે સ્ટેટ પીએસયુ પાસે પેઇડ અપ ઈક્વિટી શેર કેપિટલની 10 ગણી રકમ જેટલી કે તેથી વધુ નિર્ધારિત રિઝર્વ અને સરપ્લસ છે, એવા સ્ટેટ પીએસયુએ તેમના શેર હોલ્ડર્સને બોનસ શેર ઇશ્યૂ કરવા જરૂરી છે, એમ પણ આ નવી પોલિસીમાં સૂચવાયું છે.

નવી પોલિસી પ્રમાણે જ્યારે સ્ટેટ પીએસયુના શેરની માર્કેટ પ્રાઇસ અથવા તેની બુક વેલ્યૂ તેના મૂલ્યના 50 ગણા કરતાં વધી જાય ત્યારે, ફરજિયાત શેરનું વિભાજન કરવું પડશે. અલબત્ત, આવા કેસમાં શેરની પ્રવર્તમાન કેસ વેલ્યૂ 31 કરતાં વધારે હોવી જરૂરી છે. રાજ્ય સરકારની લિસ્ટેડ કંપનીઓ તથા સ્ટેટ પીએસયુ માટે જાહેર કરાયેલી આ નવી નીતિ સંદર્ભમાં નાણાવિભાગે મંગળવારે ઠરાવ બહાર પાડયો છે. આ કંપનીઓ માટે ફરજિયાત ડિવિડન્ડ અને બોનસ શેર માટે જાહેર કરાયેલી આ નવી નીતિથી કંપનીઓ તથા સ્ટેટ પીએસયુના મૂલ્યાંકનમાં વધારો થશે, એવી રાજ્ય સરકારને આપેક્ષા છે.

નવી નીતિ આ કંપનીઓને લાગુ પડશે

સરકારી કંપનીઓ

  • ગુજરાત ગેસ
  • જીએસએફસી
  • જીએનએફસી
  • જીએમડીસી
  • જીએસીએલ
  • જીએસપીએસ
  • જીઆઇપીસીએલ

અન્ય સ્ટેટ પીએસયુ

  • જીઆઇડીસી
  • જીયુવીએનએલ
  • જેટકો

રોકાણકારોને શુ ફાયદો ?

  • કરવેરા પછીના પ્રોફિટ આફ્ટર ટેક્સના લઘુતમ 30 ટકા અથવા નેટવર્થના 5 ટકા, બેમાંથી જે વધારે હોય તે પ્રમાણે ડિવિડન્ડ મળશે
  • કંપની-પીએસયુની નેટવર્થ ઓછામાં ઓછી 3. 2 હજાર કરોડ હોય અને બેન્ક બેલેન્સ ઓછામાં ઓછું 3.1 હજાર કરોડ હોય તે  કંપની શેર બાયબેક કરશે
  • જે પીએસયુ પાસે પેઇડ અપ ઈક્વિટી શેર કેપિટલની 10 ગણી રકમ જેટલી કે તેથી વધુ નિર્ધારિત રિઝર્વ અને સરપ્લસ છે, તેઓ શેર હોલ્ડર્સને બોનસ શેર આપશે
  • પીએસયુના શેરની માર્કેટ પ્રાઇસ અથવા તેની બુક વેલ્યૂ તેના મૂલ્યના 50 ગણા કરતાં વધી જાય ત્યારે, ફરજિયાત શેરનું વિભાજન કરવું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.