Abtak Media Google News

બાયોમેડિકલ વેસ્ટ કેટેગરી અને સેગ્રીગેશન પઘ્ધતિ અને રોગચાળા વિષયક ‘અબતક ચાય પે ચર્ચા’

આપણા ઘરનો સુકો-ભીનો કચરો બહુ મોટુ નુકસાન કરતો નથી પણ હોસ્પિટલ વેસ્ટ ભયંકર નુકસાન-રોગચાળો લાવી શકે છે. પ્રવર્તમાન કોરોના મહામારીમાં આપણે સૌ સભાનતા સાથે તકેદારી રાખતા થયા છીએ. અત્યારે આપણી વધુ પડતી સાવચેતીને કારણે બીજા બધા રોગો ઓછા જોવા મળે છે. બાયોમેડિકલ વેસ્ટ ૨૦૧૬ના કાયદા અનુસાર તેનો યોગ્ય પઘ્ધતિસરનો નિકાલ થવો ખુબ જ જરૂરી છે.

બાયોમેડિકલ વેસ્ટ સાથે તેની સેગ્રીગેશન પઘ્ધતિ અને તેમાંથી થતા ઈન્ફેકશન જેવી બાબતોની અબતક ચાય પે ચર્ચા યોજવામાં આવી હતી. જેમાં આ વિષયક નિષ્ણાંતો કિરણ અવાસીયા તથા અરૂણ દવેએ ચર્ચામાં ભાગ લીધો હતો. ભારતમાં હવા-પાણી, ખોરાક સૌને શુઘ્ધ મળવા જોઈએ પણ પ્રવર્તમાન સમયમાં નથી મળતાને સૌથી મોટી સમસ્યા છે. દર કલાકે દુષિત પાણીથી બાળકનું મોત થાય છે. પ્રદુષણને કારણે કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધતા કેન્સર જેવા રોગો વધે છે તેમ ચર્ચામાં તજજ્ઞ અરૂણ દવેએ જણાવેલ હતું.

ઘર અને હોસ્પિટલના કચરા કલેકશનની એક ચોકકસ વ્યવસ્થા છે. હોસ્પિટલ વેસ્ટ ડિસ્ટ્રોમેડ બાયોકલીન કલેકટ કરીને તેના પ્લાન્ટ ઉપર સરકારી ચોકકસ ગાઈડલાઈન મુજબ નાશ કરે છે. પીળા, લાલ, બ્લુ, સફેદ આ ચાર પ્રકારનો વેસ્ટ બાયોમેડિકલની વ્યાખ્યામાં આવે છે. ચારેય કેટેગરીમાં અલગ-અલગ પ્રકારના વેસ્ટ હોય છે તેમ એક પ્રશ્ર્નના જવાબમાં પ્લાન્ટ ડાયરેકટર કિરણ અવાસીયાએ અબતકને જણાવ્યું હતું.

બાયો મેડિકલ વેસ્ટથી થતા નુકસાન બાબતે ચર્ચામાં જૈવ તબીબી કચરો એટલે કે દર્દીની સારવાર, નિદાન, રસીકરણ દરમિયાન ઉત્પન્ન થતો કચરાનું યોગ્ય નિકાલ ન થાય તો ચેપ લાગવાની શકયતા રહે છે. પેરામેડિકલ સ્ટાફને તથા વેસ્ટ કલેકશન કરતા કામદારો વધુ શકયતાઓ રહે છે. એટલે જ આવો વેસ્ટ જાહેરમાં ફેકી શકાતો નથી, ગુન્હો બને છે. બાયોમેડિકલ વેસ્ટમાં ડોકટરો, હોસ્પિટલોની વિશેષ જવાબદારી છે. નિયમિત તેનો યોગ્ય નિકાલ અલગ-અલગ કેટેગરી વાઈઝ કલેકશન થઈ જાય તે જવાબદારી તેની રહે છે. જોકે આ કલેકશન બાબતે વિવિધ રૂટ વાઈઝ વાહન ફાળવેલ જ હોવાથી બહુ મુશ્કેલી ઉભી થતી નથી તેમ ચાય પે ચર્ચામાં કિરણ અવાસીયાએ જણાવેલ હતું.

સ્માર્ટસીટીમાં પણ સોલીડ વેસ્ટ અને બાયો મેડિકલ વેસ્ટના નિકાલ-નાશ કરવા બાબતની ચોકકસ ગાઈડલાઈન છે અને આ વેસ્ટને કારણે રોગચાળો ન થાય તેવી તકેદારી સૌએ રાખવી જોઈએ તેમ એક પ્રશ્ર્નનાં જવાબમાં કિરણ અવાસીયાએ જણાવેલ છે. કોરોનાને કારણે સરકારી ગાઈડલાઈન મુજબ તકેદારી રખાય છે. મહામારી સામે દરરોજ નવી નવી માર્ગદર્શિકા જાહેર કરાતા હાલના સંજોગોમાં પ્રાથમિકતા આપવી જ પડે છે. બીજાને ચેપ ન લાગે તે માટે સાવચેતી રાખીને કામ કરવું જરૂરી છે. આ વેસ્ટ કલેકટ કરતા કામદારો જ ખરેખર યોઘ્ધા-કોરોના વોરિયર છે તેને એક સલામ કરવી જ પડે તેમ બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટનાં ડાયરેકટર કિરણ અવાસીયાએ જણાવેલ હતું.

કલર કોડીંગ બેગ કે ક્ધટેનર વિષયક પ્રશ્ર્નમાં માહિતી આપતા કિરણ અવાસીયાએ જણાવેલ કે પીળા કલરમાં પ્લાસન્ટા, શરીરની માંસપેશી, માનવ અંગો જેવા હ્યુમન એનેટોમીકલ વેસ્ટ વિગેરે હોય છે. લાલ કલરમાં ડિસ્પોઝલ વસ્તુઓ જેવી કે આઈવીસેટ આઈવી બોટલ, નીડલ વગરની સીરીજ, કેથેટર્સ, ટયુબીંગ, યુરીન બેગ, વેકસીનેટેડ સીરીજ જેવો રીસાયકલેબલ વેસ્ટ હોય છે. બ્લુ કલરમાં કાચની વસ્તુઓમાં તુટેલા-વપરાયેલા ગ્લાસ જેવા કે ગ્લાસ બોટલ, ઈન્ફેકશનવાયરલ, મેટાલીક બોડી ઈમ્પલાન્સ હોય છે. સફેદ કલરમાં શાર્પ વેસ્ટમાં પંકચર અને ઈજા થાય તેવી ધારદાર વસ્તુઓ બર્નાકટ કરેલી નિડલ, બ્લેડ, સ્કાલ્પવેઈન, આઈવી સેટ નીડલ, ટાંકા લેવાની નીડલ વગેરે વેસ્ટ સામેલ છે. બાયોમેડિકલ વેસ્ટના યોગ્ય વર્ગીકરણની સંપૂર્ણ જવાબદારી જનરેટર્સ એટલે કે હોસ્પિટલ કલીનીક છે તેમ ચાય પે ચર્ચામાં અબતક સાથેની વાતચીતમાં કિરણ અવાસીયાએ વધુમાં જણાવેલ હતું.

જૈવ તબીબી કચરા અન્વયે પેરામેડિકલ સ્ટાફ અને કામદારોએ સૌથી વધુ તકેદારી રાખવી પડે છે. ચેપી રોગના દર્દીની સારવાર દરમ્યાન સોય વાગવાથી જે મેડિકલ સ્ટાફને રોગ ફેલાય તેજ કચરાના ઢગલા વિણતી વ્યકિતઓને સોય વાગવાથી રોગ ફેલાય શકે છે તેમ અરૂણ દવેએ જણાવેલ છે. ઈન્સીનરેશન પ્રક્રિયા વિશે માહિતી આપતા કિરણ અવાસીયાએ જણાવેલ કે માનવ અંગો, માનવપેશી, લેબોરેટરી કલ્ચર, ડ્રેસીંગ મટીરીયલ, કોટન વેસ્ટ જેવી ૮૫૦ થી ૧૧૦૦ સેન્ટીગ્રેડ જેટલા ઉંચા તાપમાને નિકાલ કરાય છે. હોસ્પિટલેથી જ યોગ્ય વર્ગીકૃત કરીને જો અપાય તો મુશ્કેલી ના પડે અન્યથા પર્યાવરણ પર અસર પડે છે.

જૈવ તબીબ કચરાનો યોગ્ય નિકાલ શા માટે જરૂરી છે તે બાબતની ચર્ચાના જવાબમાં કિરણ અવાસીયાએ જણાવેલ કે દર્દીની સારવાર દરમ્યાન આ વેસ્ટ ઉત્પન્ન થાય છે જેમાં બેકટેરીયા હોય છે, અનેક વિષાણુ પણ હોય છે. જો આનો યોગ્ય નિકાલ ન થાય તો. જો અન્ય કચરા સાથે કોહવાય તો બેકટેરીયા, વિષાણુવધે છે, પરિણામે માખીઓ દ્વારા તે મનુષ્ય સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત પ્લાસ્ટીક વેસ્ટ જેમ કે સીરીજ, આઈવીસેટ, કેથેટર્સ, બાટલા વિગેરેનો યોગ્ય નિકાલ ન થાય તો હીપેટાઈટીસ-બી, એચ.આઈ.વી., એચ.સી.વી. જેવા રોગો થવાનો ખતરો વધી જાય છે.

ઓટોકલેવ/ માઈક્રોવેવ પ્રક્રિયાને કારણે નાના-નાના ટુકડામાં વિભાજીત થતા તેનો ફરી ઉપયોગ થવાની શકયતા નથી રહેતી તેમ કિરણ અવાસીયાએ જણાવેલ હતું. અત્યારે હોમ કવોરન્ટાઈનમાં દર્દીને કારણે ઘરોમાં પણ વેસ્ટ હોય છે જો પ્લાન્ટને જાણ કરાય તો હોસ્પિટલની જેમ ઘેરથી પણ કલેકટ કરીએ જ છીએ. તંદુરસ્ત સમાજ નિર્માણમાં સૌનો ફાળો અગત્યનો છે, અમારી પણ સામાજીક જવાબદારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.